અનામિકાને પત્ર: 8 Anamika: 8
December 23, 2006
.
પ્રિય અનામિકા,
તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્!
તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય જ કહેવાય. ક્યારેક શ્રી ”મ” વિષે જરૂર લખીશ. આજે રોમાં રોલાંની વાત કરું?
વિશ્વસાહિત્યમાં ફ્રેંચ સર્જક રોમાં રોલાં(1866-1944)નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. તેમનો ફ્રાંસમાં જન્મ. પેરિસમાં રહી ઈતિહાસમાં વિશારદ થયા. રોમમાં કલા તથા શિલ્પશાસ્ત્રમાં તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. નાટક તથા સંગીતનો ઊંડો અભ્યાસ કર્યો. જીવન અધ્યાપન અને લેખનને સમર્પિત કર્યું.
અનામિકા! રોમાં રોલાંને મહામાનવ જ કહેવાય! સાચા અર્થમાં માનવપ્રેમી મહાપુરુષ! પ્રથમ વિશ્વયુદ્ધમાં રેડ ક્રોસ સાથે રહી ઘાયલ સૈનિકોની તેમણે સ્વયં સેવા કરી. ફ્રાંસ છોડી સ્વિટ્ઝર્લેંડમાં સ્થાયી થયા. “સિદ્ધાર્થ”ના લેખક હેરમાન હેસ તેમના પાકા ચાહક-મિત્ર.
રોલાં ટોલ્સ્ટોય, ગાંધીજી અને અન્ય ઘણા મહાનુભાવોના સંપર્કમાં રહ્યા. ગાંધીજી તો બીજી ગોળમેજી પરિષદ(1931)માંથી પાછા ફરતાં ચારેક દિવસ રોલાંના મહેમાન બનીને તેમની સાથે રહ્યા હતા. આલ્પ્સની બર્ફીલી પહાડીઓ વચ્ચે, રમણીય સરોવરને તીરે, પ્રકૃતિની ગોદમાં વિલ્યનોવ(વિલ્નોવ) ગામે આ બે વિશ્વવિભૂતિઓનો સત્સંગ કેવો અનોખો હશે!
રોમાં રોલાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનમાં કલા અને સૌંદર્યદ્રષ્ટિના ઉપાસક હતા. જીવનના એક એક ક્ષેત્રમાં કલાત્મક સર્જકતા ખીલવવાની તેમનામાં અદભુત શક્તિ હતી. શેક્સપિયરના પ્રશંસક. બિથોવનના આશિક. સ્વયં સંગીતના ઊંડા અભ્યાસી. તેમણે બિથોવન, ચિત્રકાર માઈકલ એંજેલો, લિયો ટોલ્સ્ટોય વગેરેનાં રસપ્રદ જીવન ચરિત્રો લખ્યાં છે.
રોલાં પ્રખર અધ્યાત્મવાદી હતા. ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય દર્શનમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. ભારતીય તત્ત્વજ્ઞાનનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કરેલો. તેમણે રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ તથા ગાંધીજીના ચિંતનીય જીવનચરિત્રો લખ્યાં છે.
તને યાદ હશે, અનામિકા! તારી સાથે મહર્ષિ અરવિંદના પ્રબુદ્ધ શિષ્ય દિલીપકુમાર રાય વિષે ઘણી વાર ચર્ચા કરી હતી. રોમાં રોલાં પ્રત્યે મોકળા મને આદરનાં પુષ્પ વરસાવ્યાં હોય તો દિલીપ કુમાર રાયે. દિલીપ કુમાર તેમને સ્વિટ્ઝરલેંડમાં છ વખત મળેલા. આ મુલાકાતોનું ભાવવાહી વર્ણન તેમનાં પુસ્તકોમાં છે. “જાઁ ક્રિસ્તોફ”થી તો દિલીપકુમાર ભારે પ્રભાવિત હતા. આ બધા વિષે ફરી ક્યારેક વાતો કરીશું?
સંભાળીને, જીવનના ઘટનાક્રમને સમજીને રહેશો …. સપ્રેમ આશીર્વાદ.
Entry Filed under: અનામિકાને પત્રો, ખંડ: એશિયા, ખંડ: યુરોપ, ગાંધીજી મહાત્મા ગાં, દિલીપકુમાર રાય, રોમાં રોલાં, વિષય: ચિંતન/ફિલોસોફી, વિષય: પરિચય, સિદ્ધાર્થ, હરમાન હેસ. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
nilam doshi | March 17, 2007 at 11:31 pm
અનામિકા સીરીઝ આજે આખી વાંચી.અભિનન્દન. ખૂબ સરસ
keep it up