Archive for August, 2007

અનામિકાને પત્ર: 25

.

પ્રિય અનામિકા,

સંસ્કૃત સાહિત્ય અંગે હું મૌન કેમ છું, તેવો તારો પ્રશ્ન મને તદ્દન વ્યાજબી લાગે છે. મેં ક્યારેય સંસ્કૃત સાહિત્યની મહાન કૃતિનો પરિચય નથી કરાવ્યો? મારી જ ભૂલ.

સવાલ હંમેશા રહે છે કે કોઈ પણ મહાન સાહિત્યકૃતિનો આસ્વાદ એક પત્રમાં કઈ રીતે કરાવવો? કૃતિ સંક્ષિપ્ત કરવામાં ઘણા પાત્રોને અને પ્રસંગોને આછા-પાતળા સ્વરૂપમાં ઢાળવા પડે; જાણ્યે-અજાણ્યે અન્યાય થઈ જાય કે રસભંગ પણ થઈ જાય. તેથી પહેલાં જ ક્ષમાયાચના કરી લેવા દે!!

આમ છતાં મેં વાંચેલી ઉત્તમ સાહિત્યકૃતિઓનો પરિચય તને કરાવવાનો લોભ છૂટતો નથી! શાળાભ્યાસ દરમ્યાન સંસ્કૃત સાહિત્યકૃતિઓના કેટલાક અંશો મૂળ રૂપમાં વાંચ્યા. પણ સાચી મઝા તો સંપૂર્ણ કૃતિઓના ગુજરાતી અનુવાદો/ રૂપાંતરો વાંચવામાં જ આવી. સંસ્કૃત ભાષાના મહાન સર્જકો કાલિદાસ, ભવભૂતિ, ભાસ, માઘ આદિની પ્રસિદ્ધ કૃતિઓ ગુજરાતીમાં કિશોરાવસ્થામાં હોંશે હોંશે વાંચી. હતી. મેઘદૂત, કુમારસંભવ અને શકુંતલા તો કદી ન ભૂલાય.

આજે તો તને સ્વપ્નવાસવદત્તા (“સ્વપ્નવાસવદત્તમ્ ”) ની અતિ સંક્ષિપ્ત કથા કહીશ. પછી તારે પૂરું નાટક વાંચવું જ પડશે.

સ્વપ્નવાસવદત્તમ્ ઈસ્વીસન પૂર્વે ચોથી સદીના મહાન સંસ્કૃત સર્જક ભાસની અનુપમ નાટ્યકૃતિ છે.

તેનાં મુખ્ય પાત્રો છે રાજા ઉદયન,, તેની રાણી વાસવદત્તા તથા અમાત્ય યૌગંધરાયણ.

વત્સ દેશની રાજધાની કૌશાંબીના રાજા ઉદયન સામર્થ્યવાન અને ગુણવાન હોવાથી તેમની કીર્તિ ચતુર્દિશ ફેલાયેલ હતી. ઉદયનની યશગાથાથી ઉજ્જૈનના રાજા પ્રદ્યોત ચંડમહાસેન પ્રભાવિત થયા. સ્વાર્થવશ રાજા મહાસેને કૌશાંબીનરેશ ઉદયનને કેદી બનાવ્યો.

મહાસેનને એવી ઈચ્છા કે પોતાની રાજકુમારી વાસવદત્તાને ઉદયન વીણાવાદન શીખવે; યુવાન હૈયાં વચ્ચે પ્રીતિ જાગે અને બંનેનાં લગ્ન થાય! પરંતુ પિતાની યોજનાથી વાસવદત્તા અજાણ હતી. સંગીત શીખતાં ઉદયન અને વાસવદત્તા પ્રેમમાં પડ્યાં તો ખરાં, પણ મહાસેનની ઈચ્છાથી અજાણ હોઈ, ડરથી ભાગી જઈને તેમણે વત્સ દેશમાં પહોંચી લગ્ન કર્યાં. વાસવદત્તાનાં માતાપિતાએ મન મનાવી લીધું.

રાજા ઉદયન અને રાણી વાસવદત્તા સ્વર્ગીય સુખ ભોગવતાં હતાં, ત્યાં શત્રુ દેશના રાજા આરુણિએ આક્રમણ કરી વત્સ દેશને જીતી લીધો. રાજા ઉદયન, રાણી વાસવદત્તા અને મંત્રી યૌગંધરાયણ વત્સ દેશ છોડી અન્યત્ર રહેવા લાગ્યાં.

નજીકના મગધ દેશના યુવાન રાજા દર્શકની બહેન પદ્માવતી રૂપવાન- ગુણવાન, શીલવાન હતી. તે જોઈ કૂટનીતિના જાણકાર યૌગંધરાયણે યોજના કરી.. જો પદ્માવતીનાં લગ્ન રાજા ઉદયન સાથે થાય, તો મગધના સમર્થ રાજાની સહાયથી રાજા ઉદયન પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવી શકે. પોતાના પતિના સુખ માટે રાણી વાસવદત્તા તમામ ભોગ આપવા તૈયાર હતી.

એક બનાવટી નાટ્યાત્મક “દુર્ઘટના” માં વાસવદત્તા અને યૌગંધરાયણ “માર્યાં ગયાં” (!); હકીકતમાં યૌગંધરાયણ અને વાસવદત્તા છૂપા વેશે સ્થળાંતર કરી ગયાં. છૂપા વેશમાં વાસવદત્તા રાજકુમારી પદ્માવતી પાસે રહી.

રાજા ઉદયનનાં લગ્ન મગધની રાજકુમારી પદ્માવતી સાથે થયાં. મગધની સહાયથી ઉદયને પોતાનો વત્સ દેશ પાછો મેળવ્યો. પછી સંયોગો ઊભા કરી, યોગ્ય સમયે યૌગંધરાયણ રાણી વાસવદત્તાને લઈ રાજા ઉદયન સમક્ષ પ્રગટ થયા.

વાસવદત્તા તથા યૌગંધરાયણ જીવંત છે જાણી રાજા ઉદયનની ખુશીનો પાર ન રહ્યો! સર્વત્ર આનંદ છવાઈ ગયો.બંને રાણીઓના પ્રેમથી પ્રસન્ન રાજા ઉદયને દીર્ઘ કાલ વત્સ દેશ પર રાજ્ય કર્યું.

કવિ ભાસની આ મહાન કૃતિ “સ્વપ્નવાસવદત્તમ્ ” માં પાત્રો, પ્રસંગો અને તેમની ગૂંથણીની ખૂબીઓ મૂળ રૂપમાં સુંદર પ્રગટ થયેલ છે.

તક મળે ત્યારે મૂળ કૃતિ તો જરૂર વાંચજે. સસ્નેહ આશીર્વાદ.


1 comment August 25, 2007

અનામિકાને પત્ર: 24

.

પ્રિય અનામિકા,

તેં ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ)નો ઉલ્લેખ કર્યો!

હું ચોંકી ઊઠું છું. અનામિકા! તારા દિમાગમાં ગુર્જિયેફ ક્યાંથી જાગ્યા!

હું માનું છું કે માનસિક પુખ્તતાના જુદા જુદા સ્તર હોય છે. માનસિક પરિપક્વતા અને વિચારશક્તિ ધીરે ધીરે ખીલે તે સ્વસ્થ જીવનની આવશ્યકતા છે.

રામકૃષ્ણ પરમહંસના વચનોની સરળતા તમને સ્પર્શશે અને તમારા હૃદયમાં ઊતરશે. રમણ મહર્ષિની સ્પષ્ટ ભાષા સામાન્ય બુદ્ધિથી તમારા મગજમાં ઊતરી શકશે. રજનીશજી (ઓશો)  તમારી બુદ્ધિને આકર્ષશે, અને તમારા મગજમાં ધોધ બનીને પડવા લાગશે. જ્યારે મહર્ષિ અરવિંદ સહેલાઈથી મગજમાં ન પણ ઊતરે. કૃષ્ણમૂર્તિ અને નિત્શે માટે તો તમારે ઘણી દિમાગી કસરત કરવી પડે! ગુર્જિયેફને વાંચતાં પહેલાં તમારે મગજને ખાલી કરવું પડે અને છતાં યે તેને ભર્યું ભર્યું હાઈ એલર્ટ પર રાખવું પડે.

મહાન ફિલોસોફરોની નજીક જતાં પહેલાં તમારા મગજે ભારે સાવધાનીઓ રાખવી પડે! ટોચના કેટલાક ફિલોસોફરોની સામાન્ય વાતો યે એવી છે કે તમે તેને સહી પરિપ્રેક્ષ્યમાં ન સમજો, તો તે – વિમલા તાઈ કહે છે તેમ- કાચા પારાની પેઠે ઝેર બનીને તમારા દિમાગમાં પ્રસરે.

અનામિકા! ગુર્જિયેફ વિશે કાંઈ કહેવાની મારી ક્ષમતા નથી. બૌદ્ધિક સ્તરે ગુર્જિયેફે મને જરૂર પ્રભાવિત કર્યો છે. ગુર્જિયેફને સંપૂર્ણ સમજવા હજી મારો અભ્યાસ ચાલુ છે. નિખાલસતાથી કબૂલું કે ચોથા માર્ગને હું પુરો નથી સમજી શકતો, આમ છતાં ચાલ, તારી ઉત્સુકતા સંતોષવા તને ગુર્જિયેફનો ઊડતો પરિચય કરાવીશ.

અનામિકા! તને નવાઈ લાગશે કે ગુર્જિયેફના જીવન વિશે ઘણી વાતો સંદિગ્ધ છે.

ગુર્જિયેફ (George Ivanovitch Gurdjieff) નો જન્મ હાલના આર્મેનિયા (અગાઉના યુ.એસ.એસ.આર - સોવિયેટ સંઘનો ભાગ; Armenia – a part of erstwhile USSR) ના કોઈ સ્થળે 1877 (કે 1866 કે .. ?)માં થયો હતો.

તેમના પિતાને એક વૃદ્ધ પાદરી મિત્ર હતા. બંને મિત્રો વચ્ચે અધ્યાત્મ અને ઈતિહાસ પર ચર્ચા થતી રહેતી જે બાળ ગુર્જિયેફ રસપૂર્વક સાંભળતા. કિશોરવયે તેમને ગૂઢ વિદ્યાઓમાં રસ પડવા લગ્યો. તેઓ ઘર છોડી અગમનાં રહસ્યોની ખોજમાં નીકળી પડ્યા. ગુર્જિયેફ તુર્કસ્તાન, ઈજિપ્ત, મધ્ય એશિયાના દેશોથી લઈ પૂર્વમાં ભારત સુધી રઝળપાટ કરતા રહ્યા.  તેમણે જ્ઞાન મેળવવા સાહસભર્યાં જોખમો ખેડ્યાં. રહસ્યવાદી, મંત્ર-તંત્રજ્ઞ, ફકીર, સાધકોને ચરણે બેઠા.મજૂરી કરી, બૂટ પોલિશ કરી અને ફૂલો પણ વેચ્યાં.

અલગારી રખડપટ્ટી છોડી 1912માં મોસ્કોમાં ઠરીઠામ થયા.

અહીં એક નાનકડી હોટેલમાં પીટર ઉસ્પેન્સ્કી (Peter D. Ouspenski 1878-1947) અને ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ) ની ઐતિહાસિક મુલાકાત થઈ. બંનેએ એકબીજાને પરખી લીધા.

મહાન ‘મિસ્ટીક’, વિચારક, માસ્ટર ગુર્જિયેફના પ્રારંભના પ્રમુખ શિષ્ય તરીકે ઉસ્પેંસ્કી ગણાય છે. અનામિકા! વિધિની વિડંબના કે ઉસ્પેન્સ્કી પાછળથી ગુર્જિયેફથી છૂટા પડ્યા. આમ છતાં તેમની ગુર્જિયેફના પાયાના ચિંતનમાં શ્રદ્ધા અવિચળ રહી. જીવનભર ઉસ્પેન્સ્કીએ ગુર્જિયેફના વિચારોને આદર આપી સંકલિત કર્યા અને ગ્રંથસ્થ કર્યા. ગુર્જિયેફ ના ‘ચોથા માર્ગ’ (the fourth way) ને ઉસ્પેન્સ્કીએ શબ્દદેહ આપ્યો(The Fourth Dimension).

ગુર્જિયેફનું ચિંતન ઉસ્પેન્સ્કીના ગ્રંથ ઈન સર્ચ ઓફ ધ મિરેક્યુલસ (In Search of the Miraculous) માં ઝલકે છે.

ગુર્જિયેફના અન્ય શિષ્યોમાં સમાજના ઉચ્ચ સ્તરના બૌદ્ધિકો, કલાઉપાસકો, વ્યાવસાયિકો આદિ હતા. લેનિનના નેતૃત્વમાં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ (ઓક્ટોબર ક્રાંતિ) વેગ પકડતી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધના કારણે વાતાવરણ ડહોળાયેલું હતું ત્યારે ગુર્જિયેફને ફરીથી પોતાનાં શિષ્યો સાથે રઝળપાટ કરવી પડી.

છેવટે 1922માં ફ્રાંસમાં પેરિસની દક્ષિણે ફોન્ટેંબ્લુ-એવન ખાતે ગુર્જિયેફની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન’ (Institute for the Harmonious Development of Man, Fontainebleau-Avon, Paris, France founded by Gurdjieff. Also known as Le Prieure) ની સ્થાપના થઈ.

જીવનનાં ગૂઢ રહસ્યોને ખોજવા માર્ગદર્શક બનતી ગુર્જિયેફની આ સંસ્થા વિશ્વપ્રસિદ્ધ અધ્યાત્મકેન્દ્રી સ્કૂલ (esoteric spiritual school of Gurdjieff) બની.

1949માં ગુર્જિયેફનું અવસાન થયું.

તારા મિત્રો સાથે આ વિષયમાં આદાન-પ્રદાન કરજે અને મને વિગતે જણાવજે. સસ્નેહ આશીર્વાદ.


5 comments August 19, 2007

અનામિકાને પત્ર: 23

.

પ્રિય અનામિકા!
કેટલીક પ્રતિભાવાન મહિલાઓએ સંજોગો સામે સંઘર્ષ કરીને જીવનમાં એ સ્થાન હાસિલ કર્યું છે જ્યાંથી તેઓએ પોતાના દેશ કે દુનિયાના ઈતિહાસને ભારે પ્રભાવિત કરેલ છે! આપણે તેમની નીતિ-રીતિ-પદ્ધતિ-માન્યતાઓ સાથે સંમત ન હોઈએ તો પણ તેમના પ્રભાવની નોંધ સૌએ લેવી ઘટે! શ્રી લંકા (સિલોન)ના બંડારનાયક (બંદારનાયક કે ભંડારનાયક) ફેમિલીની વાત જોઈ.

થોડે દૂરના દેશ પર નજર દોડાવીએ..

ફિલિપાઈન્સ (Philippines).

એક શ્રીમંત જમીનદારની પુત્રી કોરેઝોન ( કોરાઝોન Corazon)નાં લગ્ન બેનિગ્નો નિનોય એક્વિનો (એક્વીનો ; Benigno Ninoy Aquino) સાથે થયાં. તને કદાચ ખબર હશે કે 1965માં ફિલિપાઈન્સના પ્રમુખપદે ફર્ડિનાન્ડ માર્કોસ (Fardinand Marcos) ચૂંટાયા. તેમણે પ્રારંભમાં લોકોને આંજી દીધા.

અનામિકા! સત્તાલાલસા અને રાજકારણ શું ખેલ ન કરાવે? પ્રજાનો વિશ્વાસ જીતી લઈ 1972માં માર્કોસ દેશના સરમુખત્યાર બની ગયા. વિરોધપક્ષના નેતાઓને તેમણે જેલમાં નાખ્યા બેનિગ્નો એક્વિનો પણ બંદી બન્યા.

1983માં એક નાટ્યાત્મક રાજકીય કાવતરાની ઓથે બેનિગ્નો નિનોય એક્વિનો ની ફિલિપાઈન્સની રાજધાની મનિલાના એરપોર્ટ પર ક્રૂર હત્યા થઈ.

શ્રીમતી કોરેઝોન એક્વિનો પર આભ તૂટી પડ્યું! માર્કોસ અને તેમનાં પત્ની ઈલ્ડા માર્કોસના જુલમી શાસન સામે મેદાને પડ્યાં. પ્રજા તેમની પડખે રહેવા લાગી. સત્તા પર ચીટકી રહેવા માર્કોસ દંપતિએ ખૂબ હવાતિયાં માર્યાં, પણ આખરે 1986માં તેમણે ફિલિપાઈન્સ છોડી ભાગવું પડ્યું.

માર્ચ 1986માં શ્રીમતી કોરેઝોન એક્વિનો (કોરાઝોન એક્વીનો) ફિલિપાઈન્સના પ્રમુખપદે આરૂઢ થયાં.

શ્રીમતી કોરેઝોન એક્વિનો એશિયાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં.

અન્યાયી શાસન સામે માથું ઊંચકનાર એક અન્ય સબળા ઠેઠ દક્ષિણ અમેરિકાના નાનકડા દેશ નિકારાગુઆ (Nicaragua)ની છે. નામ વાયોલેટા શેમોરો (Violeta Chamorro).

પચાસેક લાખની વસ્તી ધરાવતા નિકારાગુઆની રાજધાની માનાગુઆ છે. નિકારાગુઆના પાડોશી દેશો હોન્ડુરાસ અને કોસ્ટા રિકા છે. નિકારાગુઆ આમ તો પછાત લેટિન અમેરિકન દેશ. ત્યાં માથાભારે સોમોઝો (Somozo) કુટુંબની વર્ષોથી આપખુદ સત્તા ચાલે. લેટિન અમેરિકાના ઘણા દેશોમાં રાજકીય અખાડાઓ તો એવા થતા રહ્યા છે કે કાચા પોચાનું ત્યાં કામ જ નહીં..

આપણે ચારેક દાયકા પહેલાના ભૂતકાળમાં ડોકિયું કરીએ.

નિકારાગુઆનું રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત અખબાર “લા પ્રેન્સા”. તેના પ્રકાશક પેડ્રો જોઆકીન શેમોરો.

પેડ્રો શેમોરો સોમોઝા શાસનના કટ્ટર વિરોધી. કહેવાની જરૂર ખરી કે ભડભડતા રાજકીય દાવાનળમાં પેડ્રો શેમોરોના શા હાલ થયા હશે?

10 જૂન, 1978ના રોજ પેડ્રો શેમોરોની દગાપૂર્વક હત્યા થઈ. પેડ્રોનું સ્થાન તેમની વિધવા પત્ની વાયોલેટા શેમોરોએ સંભાળ્યું. વર્ષોની રાજકીય ઊથલપાથલ પછી 1990માં વાયોલેટા શેમોરો નિકારાગુઆનાં પ્રમુખ  તરીકે ચૂંટાયાં.

વાયોલેટા શેમોરો સમગ્ર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડોના દેશોમાં ચૂંટાયેલા પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં. (In 1990, Violeta Barrios de Chamorro of Nicaragua became the first female president democratically elected in the Americas. )

અનામિકા! કેવી પ્રભાવિત કરી જાય છે આ વિરલ મહિલાઓની ગાથા! સંજોગોએ જીવનને ભાંગી દીધું હોય, પરિસ્થિતિ સાવ જ હતાશાભરી હોય અને આશાનું કિરણ પણ ન દેખાતું હોય ત્યારે આ વિરલ મહિલાઓએ પડકાર ઝીલી આગવી જીવન કેડી અંકારી છે.

ઈતિહાસ પર તેઓએ અમીટ છાપ છોડી છે. આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું ભાથું બક્ષ્યું છે. સસ્નેહ આશીર્વાદ.


1 comment August 17, 2007

અનામિકાને પત્ર: 22

.
પ્રિય અનામિકા!
સ્ત્રી અબળા કે સબળા? સમાજમાં સ્ત્રીનું સ્થાન શું?

પ્રાચીન કાળથી બહુચર્ચિત પ્રશ્ન છે. સમય સમય પર ઘણા વિચારકો અને સમાજશાસ્ત્રીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં રહ્યાં છે.

ભારત વર્ષમાં એક કાળે સ્ત્રી શાસ્ત્રાર્થ કરતી. ગાર્ગીને આપણે ક્યાં નથી જાણતાં? વૈદિક સમયથી અર્વાચીન સમય સુધી સમાજમાં સ્ત્રીરત્નો પાકતાં રહ્યાં છે, જે સમાજને, દેશને રાહ ચીંધતાં રહ્યાં છે.

અનામિકા! વિશ્વમાં મહાન સ્ત્રીઓએ કેવું અનોખું યોગદાન આપ્યું છે! જગતના વિવિધ દેશોનાં નારીરત્નોનું સ્મરણ થતાંવેંત રોમાંચ થઈ આવે છે. રાજકારણના મહાપેચીદા ક્ષેત્રે મહિલાઓએ કેટલીક મહિલાઓએ અસામાન્ય સંજોગોમાં અસાધારણ પડકારોનો સામનો કર્યો છે અને ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે.

અનામિકા! તાજેતરના દાયકાઓ પર નજર નાખીએ.

આપણી પહેલી નજરે ચઢે છે આપણા પાડોશી દેશ સિલોન(હવે શ્રી લંકા) (Ceylon, now Sri Lanka)ના પ્રથમ મહિલા વડાપ્રધાન સિરિમાવો બંડારનાયક (બંદારનાયક કે ભંડારનાયક) (Sirimavo Bandaranaike).

ઈ.સ. 1916માં જન્મેલા સિરિમાવોનાં લગ્ન ચોવીસ વર્ષે તત્કાલીન સિલોનના એક પ્રધાન સોલોમન બંડારનાયક સાથે થયાં. તે પછી સિલોન આઝાદ થયું અને સ્વતંત્ર દેશના વડાપ્રધાન સોલોમન બન્યા. 1959માં સોલોમનની હત્યા થતાં સિરિમાવો વિધવા બન્યા. તું માની શકીશ, અનામિકા? ડરી જઈ બેસી રહેવાને બદલે સિરિમાવોએ વિધિનો પડકાર ઝીલ્યો.

1960ની ચૂંટણીમાં સિરિમાવો બંડારનાયક સિલોનના જ નહીં, સમગ્ર વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં. 1960-65 તથા બીજી વાર 1970-77 દરમ્યાન સિરિમાવો બંડારનાયક શ્રી લંકા (પહેલાનું સિલોન)ના વડાપ્રધાનપદે રહ્યાં.

અનામિકા! રસપ્રદ વાત એ કે તેમનાં પુત્રી ચંદ્રિકા બંડારનાયક પણ તેમનાં જ પગલે ચાલ્યાં પિતા સોલોમનની હત્યા થઈ ત્યારે ચંદ્રિકાની ઉંમર માત્ર ચૌદ વર્ષની. તે પછી ચંદ્રિકાની સગાઈ થઈ. રે નસીબ! તે યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું. 1978માં 33 વર્ષની ચંદ્રિકાનાં લગ્ન શ્રી લંકાના લોકપ્રિય અભિનેતા વિજય રણતુંગા સાથે થયાં.

કહે છે ને કે ઈતિહાસ પુનરાવર્તિત થતો રહે છે. 1988માં પતિ વિજય રણતુંગાની હત્યા થતાં ચંદ્રિકા વિધવા બન્યાં. પરંતુ પોતાની માતાની જેમ હિંમત દાખવી પડકાર ઝીલતાં ઝીલતાં છેવટે શ્રી લંકાના વડાપ્રધાન બન્યાં.

પિતા, માતા અને પુત્રી ત્રણે ય વડાપ્રધાનપદે રહ્યાં હોય તેવું વિશ્વનું આ એક માત્ર ઉદાહરણ શ્રી લંકાના બંડારનાયક કુટુંબનું છે.

બંડારનાયક કુટુંબની કહાણી અહીં પણ અટકતી નથી. પાછળથી આ કહાણીમાં સત્તાલાલસા ભળે છે.

1994માં ચંદ્રિકા રણતુંગા બંડારનાયક શ્રી લંકાના પ્રમુખ બન્યાં અને તેમનાં માતા સિરિમાવો બંડારનાયક ફરી એક વાર દેશનાં વડાપ્રધાન બન્યાં. આ વળી એક વિરલ ઘટના!

અનામિકા! હજી અન્ય બેએક મહિલાઓની વાત તને લખવી છે. પણ બહાર મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાં ભેજ ખૂબ છે અને કોમ્પ્યુટરને આરામની જરૂર છે. રાત્રિનો અંધકાર મને ઠંડીની ચાદર ઓઢાડી રહ્યો છે. હું પણ જરા આરામ કરી લઉં? સસ્નેહ આશીર્વાદ.

.


1 comment August 14, 2007


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

Harsukh Thanki on અનામિકાને …
વિશ્વદ… on અનામિકાને …
ઇન્ડિય… on અનામિકાને …
nilam doshi on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …
2012નું વર… on અનામિકાને …
Chirag Patel on અનામિકાને …
chandravadan on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats