અનામિકાને પત્ર: 33
December 9, 2007
.
પ્રિય અનામિકા,
મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.
મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.
અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.
મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.
સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.
ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.
તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.
ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.
અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.
ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.
હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.
અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.
શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.
અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.
.
Entry Filed under: અનામિકાને પત્રો, ખંડ: એશિયા, મહાયોગી શ્રી અરવિંદ, વિષય: ચિંતન/ફિલોસોફી, વિષય: જીવનકથા. Tags: , Anamika, અનામિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, શ્રી અરવિંદ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Gujarati Net Jagat, Harish Dave, Shri Aravind.
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed