Archive for August, 2009

અનામિકાને પત્ર: 52

પ્રિય અનામિકા,

 તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે.

મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી તરીકે ઓળખાતાં હતાં. આપણે 1920ના દાયકામાં જઇને ઇતિહાસ ખોલવો પડશે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં 1920-21ના વર્ષમાં લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થઇ. લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીની નિમણૂક થઇ. ડો. ચક્રવર્તીનાં પત્ની મોનિકાદેવી પાશ્ચાત્ય ઢબછબથી પ્રભાવિત ફેશનેબલ નારી હતાં. બોબ્ડ હેર અને વિશિષ્ટ રીતે સાડી પહેરીને તે ક્લબ-મેળાવડા-સમારંભોમાં છાઈ રહેતાં. દર બે-ત્રણ વર્ષે એક વાર વિદેશયાત્રા કરનાર મોનિકાદેવી ધાણી ફૂટે તેમ અંગ્રેજી બોલતાં .આમ છતાં તેમના હૃદયમાં તો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રતિ ભરપૂર આસ્થા હતી અને તે નિયમિતપણે પૂજાપાઠ પણ કરતાં.

અનામિકા! ડો. ચક્રવર્તી દંપતીને થિયોસોફીમાં રસ હતો. વારાણસીના ગંગાકિનારે તેમના મહાલયમાં ફિલોસોફી, અધ્યાત્મવાદ, ધર્મ, શિક્ષણ, કલા, સંગીત આદિ ક્ષેત્રોના વિદ્વાનોની બેઠક થતી અને વિવિધ વિષયો પર વિચારવિનિમય થતો રહેતો.. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ત્રેવીસેક વર્ષના યુવાન બ્રિટીશ – સ્કોટીશ પ્રોફેસર રોનાલ્ડ નિકસન જોડાયા. તને નવાઇ લાગશે, અનામિકા! રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 1918) સમયે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સના પાયલોટ રહી ચૂક્યા હતા તથા મશહૂર કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. નિકસનને કઈ ઝંખના હિંદુસ્તાન ખેંચી લાવી?  નિકસનને ભારતીય દર્શન અને અધ્યાત્મમાં રુચિ હતી. નવયુવાન અંગ્રેજ પ્રોફેસર નિકસન સ્વાભાવિક રીતે ડો. ચક્રવર્તી દંપતી પ્રતિ આકર્ષાયા.

એક દિવસ ડો. ચક્રવર્તીને ત્યાં બૌદ્ધિકોની હાજરીમાં નિકસને પોતાના જીવનમાં બનેલ એક ચમત્કારિક ઘટનાનું ભાવવાહી વર્ણન કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇંગ્લેંડની વાયુસેનાએ જર્મન પ્રદેશો પર હવાઈ હુમલા આદરેલા. ઘટનાના દિવસે રોયલ એર ફોર્સના બોમ્બર પ્લેનના પાયલોટ તરીકે નિકસન ડ્યુટી પર હતા. એક હવાઇ હુમલામાં પોતાના બોમ્બર પ્લેનમાં રહેલા નિકસનની નજર પોતાની જમણી તરફ ઊડી રહેલ વિમાનોના એક કાફલા પર પડી. દોડાદોડીની ટેન્શન ભરી ક્ષણોમાં નિકસન તેને પોતાનો સાથી કાફલો સમજી પોતાના પ્લેનને તે કાફલા તરફ વાળવા લાગ્યા. કોઇ એક ‘અદ્રશ્ય શક્તિ’એ  તેમના કાંડાને પકડી લીધું. નિકસન જોર કરી ફરી પોતાના પ્લેનને જમણી તરફ વાળવા ગયા તો ‘અદ્રશ્ય શક્તિ’એ ભારે તાકાતથી તેમના પ્લેનને ડાબી દિશામાં વાળી દીધું! પાછળથી તેમના  સાથીદારોએ નિકસનને સમજાવ્યું કે જે તરફ તેઓ પહેલાં વળી રહ્યા હતા, તે જમણી બાજુ તો દુશ્મન વિમાનોનો કાફલો હતો !!! ત્યારે નિકસનને સ્પષ્ટ થયું કે કોઇ અગમ્ય ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના પ્લેનને દુશ્મનના કાફલાથી દૂર રાખી તેમને મોતના મોઢામાંથી બચાવ્યા હતા. બસ, ત્યારથી નિકસનને ફિલોસોફી અને થિયોસોફીમાં વિશેષ ઉત્સુકતા જાગી. અધ્યાત્મનો ઝોક પ્રબળ બન્યો ત્યારે રોનાલ્ડ નિકસન ભારત ખેંચાઈ આવ્યા. આ પત્રને અહીં અટકાવું,, અનામિકા! ત્યાર પછીની વાત આવતા પત્રમાં ….

સસ્નેહ આશીર્વાદ.

Add comment August 5, 2009


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

હરીશ દવે on અનામિકાને પત્ર: 54
Pancham Shukla on અનામિકાને પત્ર: 49
PARESH on અનામિકાને પત્ર: 50
esha on અનામિકાને પત્ર: 50
santhosh on અનામિકાને પત્ર: 50
હિમાંશુ કીકાણી on અનામિકાને પત્ર: 50
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 49
Pinki on અનામિકાને પત્ર: 47

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats