Posts filed under ‘અંગ્રેજી સાહિત્ય’

અનામિકાને પત્ર: 31

.

પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે.

કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી જર્નલ વધારે સ્પર્શી ગઈ છે.

કેથેરાઇન મેન્સફિલ્ડ ન્યૂઝીલેંડના વતની.

અનામિકા! ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે.

ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ.

બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે.

અનામિકા! કેથેરાઇનના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે  કેથેરાઇન અભ્યાસાર્થે લંડન (ઇંગ્લેન્ડ) આવ્યાં. લંડનની ક્વીન્સ કોલેજમાં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી.

અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે વેલિંગ્ટનના બંધનોમાં ક્યાંથી લાગે? કેથેરાઇન ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં. ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!

અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું.

ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં જહોન મરી નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો

તેમણે ફ્રાન્સમાં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં.

આખરી દિવસોમાં કેથેરાઇન ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં.

ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન (ફોન્ટેન્બ્લો-એવન, પેરિસ) ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ હેમરેજ-  થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું.

અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.

તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ પુસ્તક પ્રગટ થયું.

ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે.

અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.

*   *    **    *   **

Katherine Mansfield (1888 – 1923) 

Wellington, New Zealand  

John Murry  

Gurdjieff   

Institute for the Harmonious Development of Man  

Fontainebleau-Avon, Paris, France

.

October 24, 2007 at 9:10 am Leave a comment


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.