Posts filed under 'અનામિકાને પત્રો'

અનામિકાને પત્ર: 38

.

.

 

પ્રિય અનામિકા,

અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે.

અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં 75-76ના અરસામાં, લીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) મને અનાયાસે હાથ લાગેલી. ત્યારે તે નોવેલ મેં વાંચી.

પાંચ-છ વર્ષ પછી બ્રિટીશ લાયબ્રેરી (અમદાવાદ)માં એક મેગેઝિનમાં ફિલ્મ ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) નો આસ્વાદ વાંચ્યો હતો. રોબર્ટ મુલિગનના દિગ્દર્શનમાં બનેલી ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) પ્રશંસા પામી. કમનસીબે મને આ ફિલ્મ જોવા નથી મળી. (જો કે અમદાવાદમાં રોબર્ટ મુલિગનની અન્ય  ફિલ્મ સમર ઓફ 42 કદાચ 74-75માં જોયેલી).

અનામિકા! ટુ કિલ અ મોકિંગ બર્ડ ફિલ્મમાં મને રસ પડ્યો હોલિવુડના અભિનેતા ગ્રેગરી પેકના લીધે. તે ફિલ્મમાં લોયર એટીકન ફીંચના પાત્રમાં ઉત્તમ અભિનય માટે ગ્રેગરી પેકને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર (એકેડેમી એવોર્ડ) મળ્યો.

ગ્રેગરી પેકના યાદગાર અભિનયવાળી બે ફિલ્મો મને ફટાકથી યાદ આવે છે. એક તો આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉન્ડ, તથા બીજી ધ ગન્સ ઓફ નેવરોન.

60 ના દાયકાના અંતમાં, ધ ગન્સ ઓફ નેવરોન પ્રથમ વખત જોયેલી તેવું આછું આછું યાદ આવે છે. ધ ગન્સ ઓફ નેવરોન માં કેપ્ટન કીથ મેલરી તરીકે ગ્રેગરી પેકનો અભિનય જાનદાર હતો. ફિલ્મમાં એન્થની ક્વિન તથા એન્થની ક્વેલ પણ મઝાનો અભિનય આપી ગયા.

આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉંડ 80 ના દશકમાં દૂરદર્શન પર જોવા મળી હતી. અનામિકા! દૂરદર્શનનું નામ સાંભળીને ચમકી ગઈ ને? જરૂર નવાઈ લાગે, અનામિકા! પણ તે અરસામાં દૂરદર્શન પર દેશી-વિદેશી સર્વોત્કૃષ્ટ ફિલ્મો પ્રસારિત થઈ. હોલિવુડની સ્પેલબાઉંડમાં ગ્રેગરી પેક સામે પ્રતિભાવાન અભિનેત્રી ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય હતો. સ્પેલબાઉંડ આલ્ફ્રેડ હિચકોકની ચિરસ્મરણીય ફિલ્મ બની રહી છે. 

છેલ્લે- ગ્રેગરી પેક વિશે એક વાત ઉમેરું. અનામિકા! હોલિવુડની મશહૂર અભિનેત્રી  ઓડ્રી હીપબર્નની ડેબ્યુ ફિલ્મ વિશે તું જાણે છે?

ઓડ્રી હીપબર્નની પ્રથમ ફિલ્મ પેરેમાઉંટ પિક્ચર્સની રોમન હોલિડે. હોલિવુડના મશહૂર ફિલ્મ દિગ્દર્શક વિલિયમ વાયલર (બેન હર  ફેઈમ ડાયરેક્ટર) ની ફિલ્મ રોમન હોલિડેમાં અભિનેત્રી તરીકે પ્રથમ વાર ચમકતી ઓડ્રી હીપબર્નને આ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર (એકેડેમી) એવોર્ડ મળ્યો. રોમન હોલિડેમાં હીરોઇન ઓડ્રી હીપબર્ન અને હીરો તરીકે ગ્રેગરી પેક.

 

અનામિકા! કેવી કેવી મઝેદાર છે આ બધી વાતો! આવી અવનવી જાણકારી સાથે ફિલ્મોને માણવાની મઝા કોઈ ઓર જ હોય છે. સસ્નેહ આશીર્વાદ.


Add comment April 30, 2008

અનામિકાને પત્ર: 37

.

*

પ્રિય અનામિકા,

વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !

તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.

હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ -  તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!

આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.

થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.

રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ - જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.

‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.

અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.

બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક - સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો.  અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!

સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.

જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.

1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.

 આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?

અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.

*  *  *


Add comment March 9, 2008

અનામિકાને પત્ર: 36

.

પ્રિય અનામિકા,

લાંબા સમયગાળા પછી તને પત્ર લખી રહ્યો છું.

મારી વિદ્યાર્થિની ચિ. પ્રીતિને તું જાણે છે. પ્રીતિના લગ્નપ્રસંગને કારણે અમે ઘણા વ્યસ્ત રહ્યા.

તમે ત્યાં બરફની ચાદર ઓઢીને બેઠા છો તેવો તમારો ફોન અહીં અમને ઠંડી ચડાવી ગયો છે. અઠવાડિયાથી વાતાવરણ થીજી ગયું છે. અનામિકા! ઘણા વર્ષો પછી આવી રોમ રોમ હરખાવતી ઠંડી અમે માણીએ છીએ.

અનામિકા! હવે ગયા પત્રના અનુસંધાને મુદ્દાની વાત પર આવું.

નટસમ્રાટ જયશંકર ‘સુંદરી’ 1926માં ફરી ‘મુંબઈ-ગુજરાતી નાટક મંડળી’માં જોડાયા ત્યારે ગુજરાતી પ્રજાને સિનેમા- ચલચિત્રનું ઘેલું લાગી ચૂક્યું હતું અને નાટક પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું હતું.

રમણભાઈ નીલકંઠના ‘રાઈનો પર્વત’માં યાદગાર અભિનય પછી 1932માં જયશંકર ‘સુંદરી’ પોતાને વતન ઉત્તર ગુજરાતના વિસનગર ખાતે પહોંચી ગયા. આમ છતાં, ‘સુંદરી’ પ્રસંગોપાત નાટ્યરસિકોને માર્ગદર્શન આપતા રહ્યા; રસિકલાલ પરીખ અને જશવંત ઠાકર જેવા સમર્થ નટકલા ઉપાસકોને નાટ્યપ્રવૃત્તિઓમાં ‘સુંદરી’ એ ઘણો સહયોગ આપ્યો.

1949માં ‘ગુજરાત વિદ્યાસભા’નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે રમણભાઈ નીલકંઠના અમર સર્જન ‘રાઈનો પર્વત’ના નાટ્યપ્રયોગની જવાબદારી જયશંકર ‘સુંદરી’એ લીધી. તને નવાઈ લાગશે, અનામિકા! જાલકાનું પાત્ર રમણભાઈના પુત્રી વિનોદિની નીલકંઠ દ્વારા ભજવાયું. જયશંકર ‘સુંદરી’ના દિગ્દર્શનમાં નાટક એવું સુંદર ભજવાયું કે ગુજરાતી રંગભૂમિના વિકાસ માટે ‘ગુજરાત વિદ્યાસભા’એ નક્કર આયોજન ઘડી કાઢ્યું. તે અનુસાર રંગભૂમિ માટે ‘નાટ્યવિદ્યામંદિર’ અને તેના પ્રાયોગિક ઘટક તરીકે ‘નટમંડળ’ની રચના કરી. આ સમગ્ર પ્રવૃત્તિઓના સંકલન અર્થે ગુરુપદે જયશંકર ‘સુંદરી’ની વરણી થઈ. રંગમંચના કલાકારો-દિગ્દર્શકોંની તાલીમાર્થે ‘સુંદરી’એ ભારે વિચાર-વિમર્શ પછી અભ્યાસક્રમ ઘડ્યો.

અનામિકા! ગુજરાતી રંગભૂમિની પદ્ધતિસર તાલીમ માટેનો આ પ્રથમ વ્યવસ્થિત અભ્યાસક્રમ.

ભારતમાં નાટ્યશાસ્ત્ર-રંગભૂમિની આવી સર્વાંગી, ઘનિષ્ઠ તાલીમ વિશે કોઇએ કદી વિચાર્યું નહતું.

1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં  ગુજરાતી નાટ્યકાર ચં.ચી. મહેતાના પ્રયત્નોથી નાટ્યવિભાગનો આરંભ થયો અને ડ્રામેટિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસની શરૂઆત થઈ. ઉપકુલપતિ હંસાબહેન મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની) ને પણ તેનો શ્રેય જાય છે.

એમ. એસ. યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્ર-રંગભૂમિનો સ્નાતક અભ્યાસક્રમ ઘડવા માટે જયશંકર ‘સુંદરી’નો ‘નાટ્યવિદ્યામંદિર’નો અભ્યાસક્રમ આધાર બન્યો. પછી તો જશવંત ઠાકરના પ્રયત્નોથી 1960માં અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તે પછી 1970માં અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં પણ નાટ્યવિભાગ શરૂ થયો.  આમ, જયશંકર ‘સુંદરી’એ આરંભેલ કાર્યપ્રવૃત્તિ ગુજરાતમાં આવકાર પામી.

અનામિકા! ‘સુંદરી’ના કેટલાક વિશિષ્ટ નાટ્યપ્રયોગોની વાત હવે પછી તને લખીશ.  ચિ. ગુડિયા તેના નવા એમપીથ્રી પ્લેયર પર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી તને યાદ કરે છે તેમ તેનો ફોન હતો.

ચિ. અમરને સંભાળીને ડ્રાઈવ કરવા કહેજે. તમારા બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થું છું. સસ્નેહ આશીર્વાદ.

* *  * *  * *  * *


2 comments February 3, 2008

અનામિકાને પત્ર: 35

* 

.

પ્રિય અનામિકા,

અમદાવાદના નાટ્યગૃહ જયશંકર સુંદરી હૉલ ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!

એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ,  ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?

કવિ નાટ્યકાર દલપતરામના લક્ષ્મી કે  સ્ત્રીસંભાષણ જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં  ગુજરાતી પરિચિત હશે?

ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી? 

એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ જયશંકર સુંદરી કોણ? આવા પ્રશ્નો કરતાં તો થયાં.

અનામિકા! જયશંકર સુંદરીનું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં પારસી-ઉર્દુ નાટક મંડળીમાં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી મુંબઈ ગુજરાતી નાટક મંડળી માં જોડાયા.

1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ સૌભાગ્યસુંદરી નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.

જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ  હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.

અનામિકા! તને નવાઈ લાગશે કે સૌભાગ્યસુંદરી નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.

અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર સુંદરી તરીકે ઓળખવા લાગ્યા.

સૌભાગ્યસુંદરી નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા,  કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર સુંદરી સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં કામલતા નાટકમાં પણ જયશંકર સુંદરી અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! કામલતા નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.

વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી આર્ય સુબોધ નાટક મંડળીમાં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.

ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.

અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.

ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.

*  *  *


Add comment January 7, 2008

અનામિકાને પત્ર: 34

 .

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.

બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.

અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.

કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!

પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!

લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.

શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.

નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!

અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા!  આ કેવી વિધિની વક્રતા!

સ્ટીમરથી સમુદ્રમાર્ગે  મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.

આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.

સસ્નેહ આશીર્વાદ.

* *  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (http://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ.  * * * *

* * * *


Add comment December 19, 2007

અનામિકાને પત્ર: 33

.

પ્રિય અનામિકા,

મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.

મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.

અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.

મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.

સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.

ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.

તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.

ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.

અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.

ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.

હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.

અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.

શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.

અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.

.


Add comment December 9, 2007

અનામિકાને પત્ર: 32

.

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદ દર્શન પરનાં વ્યાખ્યાનોનો તેં લાભ લીધો તે એક સત્કર્મ જ ગણાય.

મહાયોગી શ્રી અરવિંદ વિશે તને થયા તેવા પ્રશ્નો ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી અરવિંદના પૂર્વાશ્રમ વિશે, ખાસ કરીને બાલ્યાવસ્થા વિશે થોડું જાણે છે.

શ્રી અરવિંદનો જન્મ ઈસ 1872ની પંદરમી ઑગસ્ટના દિને બંગાળના કલકત્તામાં થયો હતો.

તેમના પિતાનું નામ ડો. કૃષ્ણધન ઘોષ. ડો. કૃષ્ણધન ઘોષ કલકત્તાની મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવી 1859માં ડોક્ટર થયા. યુવાન અને મહત્વાકાંક્ષી ડો. કૃષ્ણધન ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત (ઇંગ્લેંડ) ગયા. ઇંગ્લેંડમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી, સર્જન બની ડો. કૃષ્ણધન ભારત પાછા ફર્યા. ઉત્તર-પૂર્વ હિંદુસ્તાનમાં તેમણે સર્જન તરીકે નામના મેળવી.

ડો. કૃષ્ણધનનાં લગ્ન બંગાળના સામાજીક આગેવાન રાજનારાયણ બોઝનાં પુત્રી સ્વર્ણલતાદેવી સાથે થયાં. સ્વર્ણલતાદેવી વિદ્વત્તાનો અવતાર હતાં.

અનામિકા! મોટી નવાઈની વાત એ કે શ્રી અરવિંદના પિતા ડો. કૃષ્ણધન પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇંગ્લિશ સમાજથી ભારે પ્રભાવિત હતા. સંતાનોનો ઉછેર અંગ્રેજી ઢબ-છબથી થાય તે માટે તેમણે પોતાના ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો.

1879માં શ્રી અરવિંદની ઉંમર સાતેક વર્ષની હતી ત્યારે ડો. કૃષ્ણધન અને સ્વર્ણલતાદેવી પોતાનાં ચાર સંતાનો -ત્રણ પુત્રો અને પુત્રી સરોજિની –ને લઈ ઇંગ્લેંડ પહોંચ્યાં. અનામિકા! એક મહત્વની ઘટના એ ઘટી કે ઇંગ્લેંડમાં જ સ્વર્ણલતાદેવીએ પોતાના ચોથા પુત્રને જન્મ આપ્યો (આ ચોથા પુત્ર તે શ્રી અરવિંદના સૌથી નાના ભાઈ અને બંગાળના ક્રાંતિવીર બારીન્દ્ર ઘોષ).

ઘોષ દંપતિએ ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેંડના માંચેસ્ટરમાં એક પાદરીને ત્યાં ઉછેર માટે મૂક્યા. બધી વ્યવસ્થા કરી, ડો. કૃષ્ણધન પત્ની સાથે સરોજિની અને બાળ બારીન્દ્રને લઈ ભારત પાછા ફર્યા.

ઇંગ્લેંડમાં રહી ભાઈઓ સાથે શ્રી અરવિંદ અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતા ગયા. શ્રી અરવિંદ અંગ્રેજી ઉપરાંત પ્રાચીન-અર્વાચીન ભાષાઓ ગ્રીક , લેટિન, ફ્રેંચ, ઇટાલિયન અને જર્મનમાં પારંગત બન્યા.

ચૌદ વર્ષ ઇંગ્લેંડમાં ગાળી શ્રી અરવિંદ એકવીસ વર્ષની ઉંમરે 1893ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા.

અનામિકા! આ શ્રી અરવિંદના બાળપણની એક ઝલક. તેમની પૂરી જીવનઝાંખી રોમાંચક છે.

પણ ફરી ક્યારેક બીજી વાતો. સસ્નેહ આશીર્વાદ.

.


4 comments November 15, 2007

અનામિકાને પત્ર: 31

.

પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે.

કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી જર્નલ વધારે સ્પર્શી ગઈ છે.

કેથેરાઇન મેન્સફિલ્ડ ન્યૂઝીલેંડના વતની.

અનામિકા! ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે.

ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ.

બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે.

અનામિકા! કેથેરાઇનના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે  કેથેરાઇન અભ્યાસાર્થે લંડન (ઇંગ્લેન્ડ) આવ્યાં. લંડનની ક્વીન્સ કોલેજમાં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી.

અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે વેલિંગ્ટનના બંધનોમાં ક્યાંથી લાગે? કેથેરાઇન ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં. ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!

અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું.

ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં જહોન મરી નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો

તેમણે ફ્રાન્સમાં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં.

આખરી દિવસોમાં કેથેરાઇન ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં.

ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન (ફોન્ટેન્બ્લો-એવન, પેરિસ) ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ હેમરેજ-  થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું.

અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.

તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ પુસ્તક પ્રગટ થયું.

ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે.

અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.

*   *    **    *   **

Katherine Mansfield (1888 – 1923) 

Wellington, New Zealand  

John Murry  

Gurdjieff   

Institute for the Harmonious Development of Man  

Fontainebleau-Avon, Paris, France

.


Add comment October 24, 2007

અનામિકાને પત્ર: 30

.

પ્રિય અનામિકા,

અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર.

મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે.

પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી મારે ત્યાં આવ્યો- આવતાં વેંત પેઈન્ટિંગ સામે થીજી ગયો. મારી સામે ફરી સસ્મિત બોલ્યો – “ઈમ્પ્રેશનિઝમ? ”

મારો આ ભત્રીજો ફાઈન આર્ટસની ડિગ્રી સાથે એનિમેશનની દુનિયામાં ઊભરતી પ્રતિભા છે. ઈન્દોરમાં તે કારકિર્દી કંડારી રહ્યો છે. કાર્ટૂન – એનિમેશનના ફિલ્ડમાં તેની માસ્ટરી છે. તે પેઈન્ટિંગ પારખી ગયો.

હા, તે પેઈન્ટિંગ “ઈમ્પ્રેશનિઝમ” ના પ્રણેતા મોને (Claude Monet 1840-1926) નું છે. મોનેની પ્રખ્યાત વોટરલિલિ સિરિઝ નું ચિત્ર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિન્ટ થઈ તૈયાર થયું છે. યુરોપના પ્રવાસેથી પાછા ફરતા મારા એક કલાચાહક બાળ-મિત્ર મારા માટે લેતા આવ્યા છે. આભાર એ મિત્રનો!

કલાક્ષેત્રનો રસ જીવનપોષક હોય છે.

અનામિકા! સ્કૂલના અભ્યાસ દરમ્યાન મેં વડોદરાની બરોડા જુનિયર ચેમ્બર દ્વારા યોજિત એક રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં સર્ટિફીકેટ મેળવ્યું ત્યારથી આજ સુધી ચિત્રકલામાં મારો રસ જળવાઈ રહ્યો છે. સ્કૂલમાં “સાહિત્ય પાઠાવલિ” તથા સ્વ. ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિના ઈતિહાસમાં પણ સુંદર ચિત્રો રહેતાં. પાઠ્યપુસ્તકોએ ચિત્રકલા અને શિલ્પકલાને માણતાં શીખવ્યું.

વડોદરા હું દસેક વર્ષ રહ્યો. સમય મળ્યે હું કોઈ એક મ્યુઝિયમ પહોંચી જતો. મેં કલાકો વડોદરા સયાજી બાગ મ્યુઝિયમ અને પેલેસ મ્યુઝિયમના ચિત્રો અને શિલ્પકૃતિઓ સામે ગુજાર્યા છે.

સચિત્ર પાઠ્યપુસ્તકોના કારણે માઈકલએંજેલો (Michelangelo 1475 – 1564) , રાફેલ (Raphael 1483 – 1520) અને લિયોનાર્ડો દ વિન્ચી (વિન્શી) (Leonardo da Vinci 1452 – 1519) પર બાળપણથી ખૂબ પ્રેમ. પણ પાબ્લો પિકાસો (Pablo Picasso 1881 -1973) માં મને સાધારણ રસ પડ્યો. મારી કલાદ્રષ્ટિની મર્યાદા કે ઊણપ પણ હોઈ શકે.

પૉલ સિઝાન (સિઝન્ન) (Paul Cezanne 1839 – 1906) અને વિન્સેન્ટ વાન ગો ( વિન્સેન્ટ વાન ગોઘ Vincent Van Gogh 1853 – 1890) સ્વીકાર્ય, પણ પિકાસો નહીં.

અનામિકા! ઈમ્પ્રેશનિઝમ (Impressionism) મુવમેન્ટ ફ્રાંસમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થઈ.

સિઝાન અને રેનોર (Pierre Auguste Renoir) સાથે મોનેએ તેના પ્રસારમાં યોગદાન આપ્યું. સિઝાન જેવા ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટરની પાયાની માન્યતા કંઈક એવી કે કુદરતમાં પ્રકૃતિતત્વોનું સ્વરૂપ ભૌમિતિક આકારોમાંથી પ્રગટ થાય છે. ઈમ્પ્રેશનિસ્ટ માત્ર રંગોના લસરકાઓથી પ્રકાશની અવનવી અસરો ઊભી કરી કોઈ સબ્જેક્ટની ઝલક મેળવે છે.

પિકાસોએ વળી ભૌમિતિક આકારોમાં ચોરસ અને લંબચોરસ જેવા આકારોને પ્રાધાન્ય આપી પેઈન્ટ કરવાનું શરૂ કર્યું. પિકાસોની ચિત્રકલા-શૈલી ક્યુબિઝમ (Cubism) ને નામે ઓળખાઈ.

અનામિકા! અમૃતા શેરગીલ પર એક અતિ સુંદર સચિત્ર પુસ્તક થોડો સમય પહેલાં મેં જોયું હતું. પ્રકાશનની વિગતો યાદ નથી. ધ્યાનમાં આવશે તો તને જરૂર મોકલીશ. સસ્નેહ આશીર્વાદ.

.


1 comment September 15, 2007

અનામિકાને પત્ર: 29

.

પ્રિય અનામિકા,

તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો.

કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત!

મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?

અનામિકા! તેં અંગ્રેજી ફિલ્મો પર મારી સલાહ માગી છે. આના પર વાત માંડું તો દિવસો નીકળી જાય. તું માનીશ? અનામિકા ! 16 એમ એમ પડદા પર લોરેલ-હાર્ડીની ફિલ્મ શાળાજીવનમાં જોઈ હતી.

કોલેજમાં આવ્યા સુધી મેં ભાગ્યે જ બીજી કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ હશે. ગ્રેજ્યુએશન પછી અંગ્રેજી ફિલ્મમાં રસ પડ્યો.

અમદાવાદમાં અંગ્રેજી ફિલ્મ્સ માટે બે થિયેટર્સમાં જવાનું વધારે થતું : ભદ્ર પાસે એડવાન્સ ટોકિઝ અને આશ્રમ રોડ પર નટરાજ ટોકિઝ..

તે સમયે કલાત્મક અંગ્રેજી ફિલ્મો પ્રસિદ્ધિમાં ઓછી આવતી. મારી જોયેલી શરૂઆતની ફિલ્મ્સમાં મસાલા મુવીઝ પણ હતી. મેટ્રો-ગોલ્ડવિન-મેયર (એમજીએમ) દ્વારા નિર્મિત રિચાર્ડ બર્ટનનું “વ્હેર ઈગલ્સ ડેર”, લી માર્વિન અને સાથી બારકસોનું “ડર્ટી ડઝન”, સ્ટેન્લી કુબ્રિકનું “સ્પાર્ટકસ”, કોલંબિયાનું “ગન્સ ઓફ નેવરોન”…. સ્પાર્ટકસ અમદાવાદના રૂપાલી થિયેટરના વિશાળ 70 એમએમ સ્ક્રીન પર જોઈ હતી તેવું યાદ છે.

યુવાનીમાં, જે ફિલ્મોએ સિનેમાને કલા તરીકે જોવાની દ્રષ્ટિ આપી તેમાં સેસિલ બી. ડેમિલીની “ટેન કમાન્ડમેન્ટ્સ” અને સ્ટેન્લી કુબ્રિની “2001 : અ સ્પેસ ઓડેસી” થી લઈ જેક નિકોલસન અભિનીત “વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ”નો સમાવેશ થાય.

“ટેન કમાન્ડમેન્ટ્સ” અને “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ” અવારનવાર સ્ટાર મુવિઝ કે અન્ય ચેનલ્સ પર આવતાં રહે છે; હું જોવાનું ચૂકતો નથી!

ડેવિડ લીન ના “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ”માં એલેક ગિનેસનો યાદગાર અભિનય અને ફિલ્મની લાજવાબ સિનેમેટોગ્રાફી જીવનભર નહીં ભૂલાય “ ધ મેગ્નિફિસંટ સેવન” ના યુલ બ્રાયનર, સ્ટીવ મેક્વીન અને ચાર્લ્સ બ્રોન્સનને કોઈ ભૂલી શકે? “ગન્સ ઓફ નેવરોન” માં એંથની ક્વીન અને એંથની ક્વેઈલ સાથે ગ્રેગરી પેકના સાહસો રોમાંચક લાગતાં.

ઉત્તમ ફોટોગ્રાફીની વાત આવે તો “લોરેન્સ ઓફ અરેબિયા” અચૂક યાદ આવે. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર ફ્રેડરીક યંગ (ફ્રેડી યંગ / એફ. એ. યંગ) ની ફોટોગ્રાફી થિયેટરના વિશાળ પડદે તો ઘણી માણી હતી, છતાં આજે ચેનલ પર આ ફિલ્મ આવે ત્યારે વારંવાર માણી લેવાની ઈચ્છા રોકી શકાતી નથી.

“લોરેન્સ ઓફ અરેબિયા”નું સ્ટારકાસ્ટ એટલે …. અ…ધ….ધ…..ધ! હોલિવુડના અભિનયના મહારથીઓનો મોટો મેળો! પીટર ઓ’ટૂલી, ઓમર શરીફ, એલેક ગિનેસ, એંથની ક્વીન, એંથની ક્વેઈલ, આર્થર કેનેડી!

ફ્રેડરીક યંગની ફોટોગ્રાફી “રયાન્સ ડોટર”માં પણ સુંદર હતી. રયાન્સ ડોટરમાં આયરીશ મુગ્ધા તરીકે સારાહ માઈલ્સ હતી; ઉપરાંત પાગલ તરીકે જહોન મિલ્સનો અભિનય દાદ માગી લે તેવો હતો. ટ્રેવર હાવર્ડને મેં તે ફિલ્મમાં પ્રથમ વખત જોયા તેવું સ્મરણ છે.

હોલિવુડના ફિલ્મ સંગીતની વાત આવે તો સદાબહાર ફિલ્મ્સમાં “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”, “ફિડલર ઓન ધ રૂફ” અને “માય ફેર લેડી” અવશ્ય યાદ આવે. થીમ મ્યુઝિકમાં મારી પસંદ “ગોડ ફાધર” અને “2001 : અ સ્પેસ ઓડેસી” પર ઊતરે.

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” માં જૂલી એન્ડ્રૂઝના નટખટી અભિનય પર તો આજે ય ફિદા થઈ જવાય. દરેકે જોવા જેવી ફિલ્મ!

હોલિવુડ - અમેરિકા – ઈંગ્લેંડના ફિલ્મ ઉદ્યોગની વાત કરતા હોઈએ ત્યારે ચાર્લી ચેપ્લિન, આલ્ફ્રેડ હિચકોક અને જેમ્સ બોન્ડ વિના તો મારો પત્ર તદ્દન ફિક્કો લાગશે. બીજાં ઘણાં બધાં વિષે હું લખતો જ રહીશ તો યે અંત જ નહીં આવે! એમ તો, એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ માટે મેં હજી ક્યાં લખ્યું છે? પણ હવે તારો વારો.

અનામિકા! તેં આ પૈકી કઈ ફિલ્મ્સ જોયેલી છે? લખજે. સસ્નેહ આશીર્વાદ.


1 comment September 13, 2007

Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

સુરેશ જ… on અનામિકાને …
સુરેશ જ… on અનામિકાને …
અનિમેષ … on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
સુરેશ on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats