Posts filed under ‘અન્ના કેરેનિના’
અનામિકાને પત્ર: 5
.
પ્રિય અનામિકા,
ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.
વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા……
1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.
મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં હોય છે. કૂતુહલવશ ટોસ્ટોય પણ ભીડ પાસે પહોંચે છે. આઘાત પામે છે. એક સ્વરૂપવાન યૌવનાનો મૃતદેહ પડેલો છે. યુવતી ટ્રેઈન નીચે કૂદીને કપાઈ ગઈ છે. પોલિસ પૂછપરછ કરી રહી છે.
ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.
તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના કેરેનિના”.
ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.
અન્નાના લગ્ન થયા છે એલેક્સી સાથે. પતિ-પત્ની પિટર્સબર્ગમાં રહે છે.
એલેક્સી ઉંમરમાં અન્ના કરતાં વીસેક વર્ષ મોટો છે. ઊંચી પદવી પર ઓફિસર છે. માન-મરતબો છે. નામ છે. તે પ્રેમાળ છે, પરંતુ કારકિર્દી બનાવવામાં એવો વ્યસ્ત છે કે તેનું અંગત જીવન ખાડે જતું જાય છે. ઉષ્માવિહીન દાંપત્યજીવનથી અન્ના દુ:ખી છે. સાત વર્ષના પુત્રના સહારે તે આશા રાખીને જીવન પસાર કરતી રહે છે.
અન્નાનો ભાઈ ઓબ્લોન્સ્કી વૈભવી પાટનગર મોસ્કોમાં રહે છે. ઓબ્લોન્સ્કીને વગદાર શ્રીમંતો સાથે ઘરોબો છે. કિટ્ટી તેની યુવાન સાળી છે, જે પોતાનું મિત્ર-વર્તુળ વધારી રહી છે. કિટ્ટી બે શ્રીમંતોથી આકર્ષાઈ છે, પરંતુ તેને સમજાતું નથી કે તે કોના પ્રેમમાં છે…..એક છે ઉમરાવ કાઉન્ટ વ્રોન્સ્કી; બીજો છે જમીનદાર લેવિન. રંગીન મિજાજ વ્રોન્સ્કી ભ્રમરવૃત્તિનો છે. લેવિન વિચારશીલ, ઠરેલ પ્રકૃતિનો છે.
એક વાર અન્ના મોસ્કો પોતાના ભાઈ ઓબ્લોન્સ્કીને ત્યાં આવે છે. બસ, પાર્ટી અને મોજશોખમાં તે ડૂબી જાય છે. તેના શુષ્ક જીવનમાં કૂંપળો ફૂટવા લાગે છે. એક ડાન્સ પાર્ટીમાં વ્રોન્સ્કી કિટ્ટીને પડતી મૂકી અન્નાને પોતાની પાર્ટનર બનાવે છે.
બસ, આ ટર્નિગ પોઈંટ છે. અન્ના વ્રોન્સ્કીના મોહક ઈશ્કમાં પાગલ બની બેસે છે. ભારે હૈયે પતિગૃહે પાછી તો ફરે છે, પણ ઘણું બધું ખોઈને … તેની પાછળ પાછળ વ્રોન્સ્કી પણ પિટર્સબર્ગ પહોંચે છે. અન્નાના દાંપત્યજીવનમાં તોફાન જાગે છે. પતિ સમજાવે છે; અન્ના અંધ થતી જાય છે. સમાજમાં બદનામીના ડરથી એલેક્સી પત્નીને તલાક આપવા તૈયાર નથી. મજબૂર થઈ લાચાર એલેક્સી અન્નાની બેવફાઈ નિભાવ્યે જાય છે.
મોસ્કોમાં કિટ્ટી સમજદારીથી જીવન સંભાળી લે છે. તે ધીર, ગંભીર લેવિન સાથે પોતાનો સંસાર સજાવી લે છે. તેમનું દાંપત્ય જીવન સુખી બને છે.
અન્ના તમામ મર્યાદાઓ તોડીને વ્રોન્સ્કીને સર્વસ્વ અર્પણ કરે છે અને વ્રોન્સ્કીની પુત્રીને જન્મ આપે છે. પરંતુ લગ્નવિચ્છેદ સિવાય અન્ના વ્રોન્સ્કીનો સંસાર સજાવે કેવી રીતે? એલેક્સી તલ્લાક માટે તૈયાર નથી. પતિ અને પ્રેમી વચ્ચે અન્ના પિસાતી રહે છે….. રિબાતી રહે છે. છેવટે ધસમસતી ગુડ્ઝ ટ્રેઈન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવે છે.
ટોલ્સ્ટોયની આ કરૂણાંતિકા “અન્ના કેરેનિના” ઘણી પ્રસિદ્ધિ પામી છે.
વર્તમાન સમયમાં ગુજરાતી યુવાન-યુવતીઓ વિશ્વના ‘ક્લાસિક’ સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોવાનું ઘણી વખત કહેવાય છે. તેઓ ઘણી વાર પ્રશ્નો કરે છે: સર, અમે શું વાંચીએ? કદાચ ગદ્ય કરતાં પદ્ય તરફ ઝોક વધ્યો છે. ભલે; તેમાં ખોટું કાંઈ નથી. પણ ‘ક્લાસિક’ ગદ્યનો રિશ્તો પણ રહેવો જોઈએ. દોસ્તો! મુનશી અને દર્શક વાંચો; શરદબાબુ અને પ્રેમચંદ વાંચો …. રોમાં રોલાં કે દોસ્તોએવ્સ્કી પણ વાંચો ….. જો બધાની કૃતિઓ વાંચવી શક્ય ન હોય તો તેમના વિષે જાણવાનું તો ન જ ચૂકો. કૃતિઓ અને કૃતિકારનો સાધારણ પરિચય તો અવશ્ય મેળવો જ. તે તમારા જીવનમાં રંગ પૂરશે! બસ, મારે આટલું જ જોઈએ છે!
સસ્નેહ આશીર્વાદ .
અનામિકાને પત્ર: 4
.
પ્રિય અનામિકા,
તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે!
તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત.
તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા તો લાંબી થઈ જાય. પણ આપણે તેમની જીવનકહાણીનો સ્કેચ – ટૂંક પરિચય તો મેળવવો જ રહ્યો; તેમના સર્જન અને કાર્યોને અસર કરતાં ઘટકો-પરિબળોને તો સમજવાં જ જોઈએ!
કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. વિશ્વવિખ્યાત રશિયન લેખક.
ટોલ્સ્ટોયનું નામ વાંચતાં જ તેમનાં અમર પાત્રો આસપાસ ઘૂમરાવા લાગે છે. અનામિકા! તને યાદ હશે … મિડલ સ્કૂલમાં મેં તને આકુલ્યા-માલાશાની સ્ટોરી ભણાવી હતી. લેસનનું નામ હતું: “Little girls wiser than man.” મેં મારા અન્ય સ્ટુડન્ટ્સને ટોલ્સ્ટોયની બીજી કેટલીક મઝાની વાર્તાઓ ભણાવી છે: “A grain as big as a hen’s egg”; “How much land does a man need”; “What man lives by” વગેરે …
ટોલ્સ્ટોયની જીવન કહાણી રસપ્રદ છે.
ટોલ્સ્ટોયનો જન્મ 1818માં રશિયાના એક અતિ શ્રીમંત ઉમરાવ પરિવારમાં થયો હતો. નવેક વર્ષની ઉંમર સુધીમાં ટોલ્સ્ટોયે માતાપિતાની છત્રછાયા ગુમાવી.
પિતાનો ધનવૈભવનો ભવ્ય વારસો ટોલ્સ્ટોયના હાથમાં આવ્યો. 42 આલીશાન ખંડોનો ભવ્ય આવાસ; વિશાળ જાગીરદારી, સેંકડો ખેતમજૂરો પર આધિપત્ય. યુવાન ટોલ્સ્ટોય કુસંગે ચડી ગયા. પરંતુ જન્મજાત સંસ્કારને પ્રતાપે તેમના મનમાં ભલા-બૂરા પર મનોમંથન ચાલ્યા કરતું.
તે સમયે રશિયામાં આપખુદ શાસક ઝારનું રાજ્ય હતું. અન્યાયી, જુલ્મી શાસન. પ્રજા અવાજ ઉઠાવતી તો ઝારની સેના નિર્દયતાથી વિરોધને કચડી નાખતી. એક ઉમરાવ-પુત્રના નાતે ટોલ્સ્ટોય ઝારની સેનામાં જોડાયા. યુદ્ધમોરચા પરની ભીષણતા તેમણે નજરે નિહાળી. યુદ્ધની વિનાશકતા અને માનવીની બર્બરતાથી દ્રવિત થઈ તેમણે સેના છોડી દીધી.
1851-62 દરમ્યાન બે વખત તેમણે યુરોપનો પ્રવાસ કર્યો. મુક્ત વિચારધારાનો અનુભવ કર્યો. 1862માં 34 વર્ષની ઉંમરે ટોલ્સ્ટોયે સોફિયા નામની સુશીલ, સંસ્કારસંપન્ન યુવતી સાથે પ્રેમવિવાહ કર્યો. જીવનમાં પ્રેમ-રસ રેડાતાં જ ટોલ્સ્ટોયની સર્જનશક્તિ ખીલી ઊઠી.
તેમણે યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં જીવનનું ચિત્રણ કરતી મહાનવલ “વોર એન્ડ પીસ” લખી જે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા બની. ત્યાર પછી તેમણે માનવસ્વભાવની સંવેદનાઓનું સૂક્ષ્મ રેખાંકન કરતી ભાવવાહી નવલકથા “અન્ના કેરેનીના” લખી, જે લોકપ્રિય બની.
વધતી ઉંમર સાથે ટોલ્સ્ટોયના વિચારો તથા જીવનપદ્ધતિમાં પરિવર્તન આવતાં ગયાં. અમીરીનો ઠાઠ છોડી તેમણે જીવનમાં સાદગી અપનાવી. સામાન્ય ખેડૂતની માફક ખેતરમાં કામ કરવા લાગ્યા. સોફિયા આ પરિવર્તન ન સ્વીકારી શકી. દાંપત્યજીવનમાં ખટરાગ વધતો ચાલ્યો. ટોલ્સ્ટોયની આંતરવ્યથા વધતી ચાલી. ભારે માનસિક સંઘર્ષ વચ્ચે માનવજીવનના એક એક પહેલૂને તેઓ પોતાની કૃતિઓમાં ઉતારતા ગયા.
1910 નું વર્ષ. 82 વર્ષની ઉંમર. હવે ટોલ્સ્ટોય ભાંગી પડ્યા હતા. તેમણે કોઈને કહ્યા વિના, ચૂપચાપ ઘર છોડ્યું. વિશ્વભરમાં સનસની મચી ગઈ. થોડા દિવસો પછી, રશિયાના એક નાનકડા રેલ્વે સ્ટેશન પર, એક રેલ કર્મચારીના નાનકડા ઘરમાં વિશ્વવિખ્યાત મહાન સર્જક, ચિંતક સંત ટોલ્સ્ટોયે દેહત્યાગ કર્યો!
એક મહાન વિભૂતિનો કેવો કરૂણ અંત!
પથપ્રદર્શક વિરલા આમ જ નિરાળું જીવન જીવી જતા હોય છે. ….. સસ્નેહ આશીર્વાદ.
આપના પ્રતિભાવ