Posts filed under ‘ચીનુભાઈ ચીમનલાલ’

અનામિકાને પત્ર: 15

.

પ્રિય અનામિકા,

અમેરિકા સ્થિત મારા એક મિત્ર હમણાં અમદાવાદની મુલાકાતે આવી ગયા.. સાત વર્ષે તેમણે પોતાના વતન અમદાવાદને જોયું. નવાઈ પામી ગયા. ગુજરાતની અવિરત પ્રગતિને પગલે અમદાવાદ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. નવા રસ્તાઓ પર નવા નવા શોપિંગ મૉલ્સ અને મલ્ટિપ્લેક્સની ઝાકમઝાળ સૌને પ્રભાવિત કરે છે.

આ તો થઈ આજની વાત. પણ આઝાદી પછી આધુનિક અમદાવાદની નવરચનાનો શ્રેય અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનલાલને આપવો ઘટે. ચાલ, આજે તને તેમના વિષે થોડી વાત કરી લઉં. તારા મિત્રો સાથે આ વાત કરવામાં તને ખુશી થશે. 

ચીનુભાઈ ચીમનલાલનો જન્મ 1909માં અમદાવાદમાં. લક્ષ્મીદાસ ઝવેરીના વંશજ એવા ચીનુભાઈ સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ભત્રીજા થાય.  

ચીનુભાઈ 1949માં અમદાવાદ મુનિસિપાલિટીના પ્રમુખ (President) તરીકે ચૂંટાયા. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ ત્યારે ચીનુભાઈ ચીમનલાલ અમદાવાદ શહેરના પ્રથમ મેયર બન્યા.  ચીનુભાઈએ અગિયારેક વર્ષ અમદાવાદના મેયર તરીકે સેવા આપી. 

અમદાવાદ શહેરના વિકાસ અર્થે ચીનુભાઈએ ચિરસ્મરણીય કાર્યો કર્યાં છે. તેમણે 1958માં નવરંગપુરા વિસ્તાર તથા 1960માં વાસણા વિસ્તારને અ.મ્યુ.કો.માં ભેળવ્યો. નવા રસ્તાઓ બાંધી ફ્લોરેસન્ટ લાઈટ્સથી રોશન કર્યા.  દૂધેશ્વર વોટર વર્ક્સનું આધુનિકીકરણ કર્યું. અનામિકા! બાળપણમાં સ્કૂલમાંથી તમને કાંકરિયા પિકનિક જવાની ખૂબ મઝા આવતી હતી. બાળકોને આ ખુશી આપી ચીનુભાઈએ. ચીનુભાઈએ કાંકરિયા તળાવ વિસ્તારનું આયોજન કરી પ્રસિદ્ધ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકા બનાવ્યાં. અમદાવાદનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ(નવરંગપુરા), લાલ દરવાજાનું સ્નાનાગાર તથા જૂના પ્રેમાભાઈ હોલને સ્થાને નવા પ્રેમાભાઈ હોલનું આયોજન કર્યું. શહેરમાં સંસ્કારપ્રવૃત્તિ વિષે તેમની આગવી દ્રષ્ટિ હતી.

અનામિકા! તને પાલડી મ્યુઝિયમ યાદ છે  ને?  વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ફ્રાંસના લા કોર્બુઝિયરની સેવાથી ચીનુભાઈએ બેનમૂન મ્યુઝિયમ સંસ્કારકેન્દ્રની રચના કરી. મશહૂર સ્થપતિ બાલકૃષ્ણ દોશીને ટાગોર હોલનું આયોજન સોંપી તેમને અમદાવાદ સ્થાયી થવા પ્રેર્યા. અમદાવાદની શાન નહેરુ બ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ, સુંદર પરિમલ ગાર્ડન – આ બધાના આયોજનની પ્રેરણા મેયર ચીનુભાઈ ચીમનલાલની. કેવી દૂરદર્શિતા! કેવી દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું આયોજન! કેવા વિશાળ ફલક પર લોકોપયોગી કાર્યો! 

મેયર ચીનુભાઈને અમદાવાદની રૂપરેખા પલટવામાં મદદરૂપ બે નિષ્ઠાવાન અધિકારીઓને યાદ કરવા ઘટે. એક તો કમિશ્નર શ્રી બી. પી. પટેલ (આઈ. એ. એસ.), બીજા અમદાવાદ શહેરના ચીફ એન્જીનિયર શ્રી કે. એમ. કાંટાવાલા. અમદાવાદના અદ્યતન સ્વરૂપના પાયામાં  તેમની રાતદિનની કાર્યનિષ્ઠા ધરબાઈ છે. સલામ તેમને!

અનામિકા! હું મારા વિવિધ બ્લોગ્સ દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવવા પ્રયત્નશીલ છું. અમેરિકામાં સ્થિત તમે ગુજરાતીઓ આપણા પૂર્વજ ગરવા ગુજરાતીઓને સ્મરતા રહેશો. તેમના વિષે ક્યારેક ક્યારેક કાર્યક્રમ આયોજન કરશો .. મને કાર્યસાફલ્યનો સંતોષ મળશે.. …..  સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * *
જીવન ઝરમર: મેયર ચીનુભાઈ ચીમનલાલ

January 21, 2007 at 9:37 am 1 comment


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.