Posts filed under 'વિષય: ચિંતન/ફિલોસોફી'

અનામિકાને પત્ર: 34

 .

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.

બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.

અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.

કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!

પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!

લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.

શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.

નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!

અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા!  આ કેવી વિધિની વક્રતા!

સ્ટીમરથી સમુદ્રમાર્ગે  મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.

આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.

સસ્નેહ આશીર્વાદ.

* *  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (http://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ.  * * * *

* * * *


Add comment December 19, 2007

અનામિકાને પત્ર: 33

.

પ્રિય અનામિકા,

મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.

મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.

અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.

મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.

સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.

ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.

તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.

ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.

અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.

ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.

હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.

અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.

શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.

અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.

.


Add comment December 9, 2007

અનામિકાને પત્ર: 32

.

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદ દર્શન પરનાં વ્યાખ્યાનોનો તેં લાભ લીધો તે એક સત્કર્મ જ ગણાય.

મહાયોગી શ્રી અરવિંદ વિશે તને થયા તેવા પ્રશ્નો ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી અરવિંદના પૂર્વાશ્રમ વિશે, ખાસ કરીને બાલ્યાવસ્થા વિશે થોડું જાણે છે.

શ્રી અરવિંદનો જન્મ ઈસ 1872ની પંદરમી ઑગસ્ટના દિને બંગાળના કલકત્તામાં થયો હતો.

તેમના પિતાનું નામ ડો. કૃષ્ણધન ઘોષ. ડો. કૃષ્ણધન ઘોષ કલકત્તાની મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવી 1859માં ડોક્ટર થયા. યુવાન અને મહત્વાકાંક્ષી ડો. કૃષ્ણધન ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત (ઇંગ્લેંડ) ગયા. ઇંગ્લેંડમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી, સર્જન બની ડો. કૃષ્ણધન ભારત પાછા ફર્યા. ઉત્તર-પૂર્વ હિંદુસ્તાનમાં તેમણે સર્જન તરીકે નામના મેળવી.

ડો. કૃષ્ણધનનાં લગ્ન બંગાળના સામાજીક આગેવાન રાજનારાયણ બોઝનાં પુત્રી સ્વર્ણલતાદેવી સાથે થયાં. સ્વર્ણલતાદેવી વિદ્વત્તાનો અવતાર હતાં.

અનામિકા! મોટી નવાઈની વાત એ કે શ્રી અરવિંદના પિતા ડો. કૃષ્ણધન પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇંગ્લિશ સમાજથી ભારે પ્રભાવિત હતા. સંતાનોનો ઉછેર અંગ્રેજી ઢબ-છબથી થાય તે માટે તેમણે પોતાના ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો.

1879માં શ્રી અરવિંદની ઉંમર સાતેક વર્ષની હતી ત્યારે ડો. કૃષ્ણધન અને સ્વર્ણલતાદેવી પોતાનાં ચાર સંતાનો -ત્રણ પુત્રો અને પુત્રી સરોજિની –ને લઈ ઇંગ્લેંડ પહોંચ્યાં. અનામિકા! એક મહત્વની ઘટના એ ઘટી કે ઇંગ્લેંડમાં જ સ્વર્ણલતાદેવીએ પોતાના ચોથા પુત્રને જન્મ આપ્યો (આ ચોથા પુત્ર તે શ્રી અરવિંદના સૌથી નાના ભાઈ અને બંગાળના ક્રાંતિવીર બારીન્દ્ર ઘોષ).

ઘોષ દંપતિએ ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેંડના માંચેસ્ટરમાં એક પાદરીને ત્યાં ઉછેર માટે મૂક્યા. બધી વ્યવસ્થા કરી, ડો. કૃષ્ણધન પત્ની સાથે સરોજિની અને બાળ બારીન્દ્રને લઈ ભારત પાછા ફર્યા.

ઇંગ્લેંડમાં રહી ભાઈઓ સાથે શ્રી અરવિંદ અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતા ગયા. શ્રી અરવિંદ અંગ્રેજી ઉપરાંત પ્રાચીન-અર્વાચીન ભાષાઓ ગ્રીક , લેટિન, ફ્રેંચ, ઇટાલિયન અને જર્મનમાં પારંગત બન્યા.

ચૌદ વર્ષ ઇંગ્લેંડમાં ગાળી શ્રી અરવિંદ એકવીસ વર્ષની ઉંમરે 1893ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા.

અનામિકા! આ શ્રી અરવિંદના બાળપણની એક ઝલક. તેમની પૂરી જીવનઝાંખી રોમાંચક છે.

પણ ફરી ક્યારેક બીજી વાતો. સસ્નેહ આશીર્વાદ.

.


4 comments November 15, 2007

અનામિકાને પત્ર: 18

પ્રિય અનામિકા,

તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.

આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.

તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?

નાનકડો જવાબ આપું?

સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.

આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?

સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * * * * *


3 comments April 30, 2007

અનામિકાને પત્ર: 16

.

પ્રિય અનામિકા,

કેનેડાસ્થિત મારી એક શિષ્યાએ નિર્દોષ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો છે.

અમે અકથ્ય આનંદ અનુભવી રહ્યા છીએ, ત્યારે અમારી એ દીકરીનું હૈયું તો કેવા આનંદથી ઊછળતું હશે! ગોદમાં નવપલ્લવિત દિવ્યતાને નિહાળી તેના હોઠ પરથી શબ્દો સરી પડ્યાં હશે: “પધારો, લક્ષ્મીજી!”

પરમાત્મા કેવા મહાન સર્જક-કલાકાર છે! તેમની એક એક કૃતિમાં પ્રાણ પૂરીને સર્જન કરે છે. તે થકી આપણા જીવનમાં અમીસિંચન કરે છે.

નવશિશુનું આગમન આપણા હૃદયને કેવું ઉલ્લાસથી ભરી દે છે! મારી શિષ્યા-પુત્રીના દાપત્યજીવનમાં ખીલેલું આ ફૂલ તે પતિ-પત્નીના જીવનમાં નવા રંગ ભરી દેશે. તેમના બંનેના કુટુંબોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. તેમના બંનેના માતા-પિતાઓ જ્યાં પણ હશે, આશીર્વાદ વરસાવશે!

અનામિકા! માતૃત્વનું વરદાન પામવું તે ઈશ્વરની કૃપા. કદાચ સવાલ ઊઠે: પુત્ર કે પુત્રી? આ પ્રશ્ન ઊઠતો જ રહેતો હોય છે. પણ આપણે ભૂલીએ છીએ કે નવ-આગંતુક ઈશ્વરની પ્રસાદી છે. આપણે તેને સહર્ષ સ્વીકારીએ. તે ઈશ્વરનું દિવ્ય સર્જન છે. આપણે તેને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ. સાચું પૂછો તો પુત્રીની માતા બનવામાં પણ કોઈ દૈવી સંકેત હોય છે. પુરૂષ એક કુળને શોભાવી રહી જાય છે, જ્યારે સ્ત્રી બે કુળને તારે છે તેવું શાસ્ત્ર વચન છે. હું તો તેથી યે આગળ જઈને એમ કહીશ કે સ્ત્રી બે પરિવાર વચ્ચેનો સેતુ બને છે. માનવસંબંધોના વર્તુળને વિસ્તારે છે. સંબંધોની ગૂંથણીમાં સ્ત્રીનું અપ્રતિમ યોગદાન છે. વળી પુરૂષના રસહીન-શા શુષ્ક જીવનપથને સ્ત્રી રંગોથી સજાવે છે. માનવજીવનમાં કોમળતા, પ્રેમ અને ઉષ્મા ભરે છે. એથી યે વિશેષ, માનવ અસ્તિત્વને ગૌરવ બક્ષી તેનું સંવર્ધન કરે છે.

આ નવશિશુના આગમન સાથે આપણી જવાબદારી વધી છે. આપણે કાંઈક સંકલ્પ લેવા પડશે. આપણે આવનારી પેઢીઓ માટે આપણા જીવનને સુસંસ્કૃત કરીશું અને આપણો વારસો સમૃદ્ધ બનાવીશુ. આ પૃથ્વીને, તેના સઘળાં પ્રકૃતિતત્ત્વોને સંરક્ષીશું. આવનાર આગંતુકો માટે આપણે સુજલામ, શસ્ય શ્યામલા ધરતીમાતાનું નિર્માણ કરીશું.

અનામિકા! આ નવશિશુ ઈશ્વરનો સંદેશ લઈને આવેલ છે. તે આપણને પરમાત્માની અનિર્વચનીય, શાશ્વત, સાતત્યપૂર્ણ સર્જનશક્તિનાં દર્શન કરાવે છે.પ્રભુની દિવ્યતાની ઝાંખી કરાવે છે. આ બાળકી માનવજાતને નવી દિશા ભણી દોરી જશે. તે આપણી આવતી કાલને ઉજાળશે.

આ નવશિશુ આપણા માટે, સમગ્ર માનવજાત માટે આશાનાં નવાં કિરણો લઈને આવે છે. આપણે તેને પ્રેમથી પૃથ્વી પર આપણી વચ્ચે આવકારીએ તેનાં મસ્તક પર પ્રેમાળ મૃદુ સ્પર્શે આપણા આશિષની વર્ષા કરીએ! ભલે પધાર્યાં, લક્ષ્મીજી!

સસ્નેહ આશીર્વાદ.


8 comments February 24, 2007

અનામિકાને પત્ર: 8 Anamika: 8

.

પ્રિય અનામિકા,

તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્!

તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય જ કહેવાય. ક્યારેક શ્રી ”મ” વિષે જરૂર લખીશ. આજે રોમાં રોલાંની વાત કરું?

વિશ્વસાહિત્યમાં ફ્રેંચ સર્જક રોમાં રોલાં(1866-1944)નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. તેમનો ફ્રાંસમાં જન્મ. પેરિસમાં રહી ઈતિહાસમાં વિશારદ થયા. રોમમાં કલા તથા શિલ્પશાસ્ત્રમાં તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. નાટક તથા સંગીતનો ઊંડો અભ્યાસ કર્યો. જીવન અધ્યાપન અને લેખનને સમર્પિત કર્યું.

અનામિકા! રોમાં રોલાંને મહામાનવ જ કહેવાય! સાચા અર્થમાં માનવપ્રેમી મહાપુરુષ! પ્રથમ વિશ્વયુદ્ધમાં રેડ ક્રોસ સાથે રહી ઘાયલ સૈનિકોની તેમણે સ્વયં સેવા કરી. ફ્રાંસ છોડી સ્વિટ્ઝર્લેંડમાં સ્થાયી થયા. “સિદ્ધાર્થ”ના લેખક હેરમાન હેસ તેમના પાકા ચાહક-મિત્ર.

રોલાં ટોલ્સ્ટોય, ગાંધીજી અને અન્ય ઘણા મહાનુભાવોના સંપર્કમાં રહ્યા. ગાંધીજી તો બીજી ગોળમેજી પરિષદ(1931)માંથી પાછા ફરતાં ચારેક દિવસ રોલાંના મહેમાન બનીને તેમની સાથે રહ્યા હતા. આલ્પ્સની બર્ફીલી પહાડીઓ વચ્ચે, રમણીય સરોવરને તીરે, પ્રકૃતિની ગોદમાં વિલ્યનોવ(વિલ્નોવ) ગામે આ બે વિશ્વવિભૂતિઓનો સત્સંગ કેવો અનોખો હશે!

રોમાં રોલાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનમાં કલા અને સૌંદર્યદ્રષ્ટિના ઉપાસક હતા. જીવનના એક એક ક્ષેત્રમાં કલાત્મક સર્જકતા ખીલવવાની તેમનામાં અદભુત શક્તિ હતી. શેક્સપિયરના પ્રશંસક. બિથોવનના આશિક. સ્વયં સંગીતના ઊંડા અભ્યાસી. તેમણે બિથોવન, ચિત્રકાર માઈકલ એંજેલો, લિયો ટોલ્સ્ટોય વગેરેનાં રસપ્રદ જીવન ચરિત્રો લખ્યાં છે.

રોલાં પ્રખર અધ્યાત્મવાદી હતા. ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય દર્શનમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. ભારતીય તત્ત્વજ્ઞાનનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કરેલો. તેમણે રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ તથા ગાંધીજીના ચિંતનીય જીવનચરિત્રો લખ્યાં છે.

તને યાદ હશે, અનામિકા! તારી સાથે મહર્ષિ અરવિંદના પ્રબુદ્ધ શિષ્ય દિલીપકુમાર રાય વિષે ઘણી વાર ચર્ચા કરી હતી. રોમાં રોલાં પ્રત્યે મોકળા મને આદરનાં પુષ્પ વરસાવ્યાં હોય તો દિલીપ કુમાર રાયે. દિલીપ કુમાર તેમને સ્વિટ્ઝરલેંડમાં છ વખત મળેલા. આ મુલાકાતોનું ભાવવાહી વર્ણન તેમનાં પુસ્તકોમાં છે. “જાઁ ક્રિસ્તોફ”થી તો દિલીપકુમાર ભારે પ્રભાવિત હતા. આ બધા વિષે ફરી ક્યારેક વાતો કરીશું?

સંભાળીને, જીવનના ઘટનાક્રમને સમજીને રહેશો …. સપ્રેમ આશીર્વાદ.


1 comment December 23, 2006

અનામિકાને પત્ર: 3

.

.

પ્રિય અનામિકા,

તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ!

આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ.

તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ, અને વિચારીએ; આ વ્યવસ્થા સર્જાય છે વિચારશીલતાથી, કર્તવ્યશીલતાથી, સર્જનશીલતાથી.

વિશ્વવ્યવસ્થાનાં કેટલાંક પરિબળો છે, પરંતુ સાચું પૂછો તો દુનિયાને દોરવે છે થોડા મૂઠી ઊંચેરા માનવી. નોખી ભાત પાડતા અસાધારણ ચરિત્રો.

આ વિરલા એક તેજ લિસોટા સમાન જીવન જીવી જાય છે; સમાજમાં તરંગો જગાવી જાય છે; સદીઓને ઝળાંહળાં કરી જાય છે.આ વિરલાઓ વિચારક હોય છે, સર્જક હોય છે, પથ-પ્રદર્શક હોય છે. તેમનાં વિચારો, તેમનાં કાર્યો, તેમની કૃતિઓ ઈતિહાસનાં નવાં પૃષ્ઠો રચે છે. ફલત: સંસ્કૃતિનું આલેખન થતું રહે છે, જતન પણ થતું રહે છે.

પ્રાચીન કાળથી આજ સુધી વિભિન્ન પ્રદેશોમાં પથપ્રદર્શક જન્મતા જ  રહ્યા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ વિરલાઓનું અદભુત યોગદાન રહ્યું છે. તેમની સપૂર્ણ યાદી કઈ રીતે બનાવી શકાય? અસંભવ!

આપણા અતિપ્રાચીન વૈદિક કાળના ઋષિ-મુનિઓથી લઈ મહર્ષિ અરવિંદ, સોક્રેટિસ થી નિત્શે, વાલ્મિકીથી કાલિદાસ, એરિસ્ટોટલથી આઈન્સ્ટાઈન, હોમર, શેક્સપિયર, ચંદ્રગુપ્ત-ચાણક્ય,  ઓગસ્ટસ સિઝર, લિયોનાર્ડો દ વિંચિ (વિંશિ),  રાફેલ અને રેમ્બ્રાં, બિથોવન અને મોઝાર્ટ ….. કોને યાદ કરો? કોને નહીં? વિવાદ થતા રહેશે અને  યાદી લંબાતી જ રહેશે. પરંતુ તે સૌના જીવન અને વિચારો-કાર્યો વિશે જાણવું તે સંસ્કૃત મનુષ્યનું લક્ષણ છે.

આવા અસંખ્ય નામી-અનામી વિરલાઓએ આપણા માનવ-અસ્તિત્વને અર્થ આપ્યો છે. આપણે આ સત્ય કદી ન ભૂલીએ! …..  સસ્નેહ આશીર્વાદ.


Add comment December 21, 2006

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા,

અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે.

અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે.

પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં?

પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન આવિષ્કારોથી જીવન તથા સમાજને સમૃદ્ધ કરવાં.એક વિશેષ મહત્ત્વનું લક્ષણ : સમાજ પ્રત્યેની જવાબદારીઓ સ્વીકારવી તથા નિભાવવી તથા. સમાજના સૌ ઘટકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો.

જો કે હું અમેરિકન સમાજ તેમજ સંસ્કૃતિંને પૂર્ણતયા આદર્શ નથી ગણતો, છતાં  અમેરિકાને આધુનિક સંસ્કૃતિના વિશિષ્ટ ઉદાહરણ તરીકે ખુલ્લા મનથી સ્વીકારું છું.

અમેરિકા એક સુંદર દેશ છે. પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે, સચવાયું પણ છે. અમાપ સાગરતટ, સુંદર સરોવરો સરિતાઓ, લીલીછમ વનરાજિ. માનવ સર્જિત સૌંદર્ય પણ કમ નથી. વિશાળ શહેરો, તેમાં અદ્યતન સુવિધાઓ; સુખ, સલામતિ અને શાંતિ બક્ષતું વ્યવસ્થાતંત્ર જે વ્યક્તિસ્વાતંત્ર્યનું પોષક બની રહે છે. સાથે પ્રત્યેક વ્યક્તિમાં કર્તવ્યશીલતા. ફરજ પ્રત્યે સભાનતા. નિરંતર પ્રગતિશીલ સમાજ. નવીન આવિષ્કારો, ઉપકરણો, સેવાઓ, વ્યવસ્થાઓનું સર્જન, આમ છતાં સમાજનાં કોઈ ઘટકો વચ્ચે વિસંવાદિતા ન ટકે; પરસ્પર સમન્વય દ્વારા દ્વારા સમાજની નિરંતર આગેકૂચ થતી રહે. સંસ્કૃત માનવજીવનની આવી સમૃદ્ધિ કેટલા દેશોમાં જોવા મળશે?

પણ આ જ સિક્કાની બીજી બાજુ ક્યારેક ઝંખવાતી લાગે છે.

અમેરિકન સમાજ અતિ ઝડપી ભૌતિક વિકાસની સાથે જન્મતાં દૂષણોનો ભોગ બનેલ છે અને તેની કિમત ચૂકવી રહ્યો છે તે દુ:ખદ હકીકત છે. …. સસ્નેહ આશીર્વાદ.


Add comment December 20, 2006


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

સુરેશ જ… on અનામિકાને …
સુરેશ જ… on અનામિકાને …
અનિમેષ … on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
સુરેશ on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats