Posts filed under 'વિષય: ચિંતન/ફિલોસોફી'

અનામિકાને પત્ર: 54

.

પ્રિય અનામિકા,

 આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા.

 શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે પણ સંસાર ત્યજી માતાના આશ્રમમાં શરણ લીધું.

શ્રી કૃષ્ણપ્રેમના એક ખાસ અંગ્રેજ મિત્ર ડોકટર એલેક્ઝાંડર બાહોશ સર્જન હતાં. લખનૌના ખ્યાતનામ તબીબ હતા. શ્રી કૃષ્ણપ્રેમને પગલે. ડોકટર એલેક્ઝાંડર પણ સંન્યાસી બન્યા અને સ્વામી હરિદાસજી નામ ધારણ કરી યશોદામાના શિષ્ય બની ઉત્તર વૃંદાવન આશ્રમમાં સ્થાયી થયા. પાછળથી અન્ય એક અંગ્રેજ યુવાન પણ શ્રી કૃષ્ણપ્રેમથી પ્રભાવિત થયા; ઇંગ્લેંડ છોડી ભારત આવ્યા અને સ્વામી માધવ આશિષ નામ ધારણ કરી  મીરતોલા ઉત્તર વૃંદાવન આશ્રમમાં નિવાસી થયા. સૌના સહયોગથી મીરતોલા-અલમોડાનો ઉત્તર વૃંદાવન આશ્રમ હિંદુસ્તાન બહાર પણ નામના પામ્યો.

અનામિકા! યશોદા માએ  1944માં સમાધિ લીધી. તે પછી ટૂંક સમયમાં લલિતાજી અને સ્વામી હરિદાસજી પણ સ્વર્ગવાસી થયાં. 1965માં 67 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણપ્રેમ પણ સ્વર્ગે સિધાવ્યા. સ્વામી માધવ આશિષની નિશ્રામાં ઉત્તર વૃંદાવન આશ્રમની પ્રવૃત્તિઓ ફૂલીફાલી અને ભારત સરકારે 1992માં સ્વામી માધવ આશિષને પદ્મશ્રીના એવોર્ડથી સન્માન્યા. 1997માં સ્વામી માધવ આશિષ સ્વર્ગવાસ પામ્યા.

યશોદામા અને શ્રી કૃષ્ણપ્રેમના ભક્તિમાર્ગને તેમના ગુણાનુરાગી સહયાત્રી અને મહાયોગી મહર્ષિ અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય અને ઇંદિરાદેવીએ કેવી રીતે પ્રતિષ્ઠિત કર્યો તેની વાત પણ ક્યારેક આલેખીશું. . . . . . ..  સસ્નેહ આશીર્વાદ.

1 comment October 15, 2009

અનામિકાને પત્ર: 53

.

પ્રિય અનામિકા, 

ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું?

સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર છોડી સંન્યાસ અપનાવ્યો.

અનામિકા! સંન્યસ્ત-દીક્ષા પછી ગુરુમા મોનિકાદેવી “શ્રી યશોદા મા” અને શિષ્ય રોનાલ્ડ નિકસન “શ્રી કૃષ્ણપ્રેમ”નાં નામે ઓળખાયાં. 1930માં તેમણે ઉત્તર ભારતમાં અલમોડા (હાલ ઉત્તરાંચલ) થી પચ્ચીસેક કિમી દૂર મીરતોલા ગામે “ઉત્તર વૃંદાવન આશ્રમ”ની સ્થાપના કરી. આશ્રમની સ્થાપનામાં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને તેમના મિત્રોનો સહયોગ મળ્યો. 1943માં મા આનંદમયીમાએ પણ ઉત્તર વૃંદાવન આશ્રમનું આતિથ્ય માણ્યું હતું.

તું અમેરિકાના વિખ્યાત દાર્શનિક ચિંતક ઇમર્સનનું નામ જાણે છે, અનામિકા? અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાડો ઈમર્સનનાં એક પુત્રી અલમોડા પાસે પોતાના ભારતીય પતિ શ્રી સેન સાથે રહેતાં. અમેરિકન ફિલોસોફર ઈમર્સનને ભારતીય તત્વચિંતન – ખાસ કરીને વેદ-વેદાંત અને અદ્વૈતવાદ – માં રસ હતો. અલમોડા-સ્થિત સેન દંપતિને શ્રી કૃષ્ણપ્રેમ પ્રતિ ભારે આસ્થા હતી.

 “ઉત્તર વૃંદાવન આશ્રમ” વિશે થોડી વધુ વાતો આવતા પત્રમાં.. . . .   સસ્નેહ આશીર્વાદ. 

Add comment September 13, 2009

અનામિકાને પત્ર: 52

પ્રિય અનામિકા,

 તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે.

મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી તરીકે ઓળખાતાં હતાં. આપણે 1920ના દાયકામાં જઇને ઇતિહાસ ખોલવો પડશે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં 1920-21ના વર્ષમાં લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થઇ. લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીની નિમણૂક થઇ. ડો. ચક્રવર્તીનાં પત્ની મોનિકાદેવી પાશ્ચાત્ય ઢબછબથી પ્રભાવિત ફેશનેબલ નારી હતાં. બોબ્ડ હેર અને વિશિષ્ટ રીતે સાડી પહેરીને તે ક્લબ-મેળાવડા-સમારંભોમાં છાઈ રહેતાં. દર બે-ત્રણ વર્ષે એક વાર વિદેશયાત્રા કરનાર મોનિકાદેવી ધાણી ફૂટે તેમ અંગ્રેજી બોલતાં .આમ છતાં તેમના હૃદયમાં તો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રતિ ભરપૂર આસ્થા હતી અને તે નિયમિતપણે પૂજાપાઠ પણ કરતાં.

અનામિકા! ડો. ચક્રવર્તી દંપતીને થિયોસોફીમાં રસ હતો. વારાણસીના ગંગાકિનારે તેમના મહાલયમાં ફિલોસોફી, અધ્યાત્મવાદ, ધર્મ, શિક્ષણ, કલા, સંગીત આદિ ક્ષેત્રોના વિદ્વાનોની બેઠક થતી અને વિવિધ વિષયો પર વિચારવિનિમય થતો રહેતો.. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ત્રેવીસેક વર્ષના યુવાન બ્રિટીશ – સ્કોટીશ પ્રોફેસર રોનાલ્ડ નિકસન જોડાયા. તને નવાઇ લાગશે, અનામિકા! રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 1918) સમયે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સના પાયલોટ રહી ચૂક્યા હતા તથા મશહૂર કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. નિકસનને કઈ ઝંખના હિંદુસ્તાન ખેંચી લાવી?  નિકસનને ભારતીય દર્શન અને અધ્યાત્મમાં રુચિ હતી. નવયુવાન અંગ્રેજ પ્રોફેસર નિકસન સ્વાભાવિક રીતે ડો. ચક્રવર્તી દંપતી પ્રતિ આકર્ષાયા.

એક દિવસ ડો. ચક્રવર્તીને ત્યાં બૌદ્ધિકોની હાજરીમાં નિકસને પોતાના જીવનમાં બનેલ એક ચમત્કારિક ઘટનાનું ભાવવાહી વર્ણન કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇંગ્લેંડની વાયુસેનાએ જર્મન પ્રદેશો પર હવાઈ હુમલા આદરેલા. ઘટનાના દિવસે રોયલ એર ફોર્સના બોમ્બર પ્લેનના પાયલોટ તરીકે નિકસન ડ્યુટી પર હતા. એક હવાઇ હુમલામાં પોતાના બોમ્બર પ્લેનમાં રહેલા નિકસનની નજર પોતાની જમણી તરફ ઊડી રહેલ વિમાનોના એક કાફલા પર પડી. દોડાદોડીની ટેન્શન ભરી ક્ષણોમાં નિકસન તેને પોતાનો સાથી કાફલો સમજી પોતાના પ્લેનને તે કાફલા તરફ વાળવા લાગ્યા. કોઇ એક ‘અદ્રશ્ય શક્તિ’એ  તેમના કાંડાને પકડી લીધું. નિકસન જોર કરી ફરી પોતાના પ્લેનને જમણી તરફ વાળવા ગયા તો ‘અદ્રશ્ય શક્તિ’એ ભારે તાકાતથી તેમના પ્લેનને ડાબી દિશામાં વાળી દીધું! પાછળથી તેમના  સાથીદારોએ નિકસનને સમજાવ્યું કે જે તરફ તેઓ પહેલાં વળી રહ્યા હતા, તે જમણી બાજુ તો દુશ્મન વિમાનોનો કાફલો હતો !!! ત્યારે નિકસનને સ્પષ્ટ થયું કે કોઇ અગમ્ય ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના પ્લેનને દુશ્મનના કાફલાથી દૂર રાખી તેમને મોતના મોઢામાંથી બચાવ્યા હતા. બસ, ત્યારથી નિકસનને ફિલોસોફી અને થિયોસોફીમાં વિશેષ ઉત્સુકતા જાગી. અધ્યાત્મનો ઝોક પ્રબળ બન્યો ત્યારે રોનાલ્ડ નિકસન ભારત ખેંચાઈ આવ્યા. આ પત્રને અહીં અટકાવું,, અનામિકા! ત્યાર પછીની વાત આવતા પત્રમાં ….

સસ્નેહ આશીર્વાદ.

Add comment August 5, 2009

અનામિકાને પત્ર: 47

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું.

મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી છે. માનવજાતના વિકાસ માટે સંયમપૂર્ણ અને વિવેકપૂર્ણ વિચારવિનિમય અનિવાર્ય છે.

માત્ર ધર્મ અને વિજ્ઞાન જ નહીં, કોઇ પણ વિષય પર એકાંતી દ્રષ્ટિ, ઉપલકિયું જ્ઞાન, અજ્ઞાન, મમત્વ કે અહંકારમાંથી જન્મેલ ‘મારો મત જ સાચો’ તેવો દુરાગ્રહ સભ્યતાને રૂંધે છે.

ધર્મ અને વિજ્ઞાન બંને જીવનનાં અપરિત્યાજ્ય આયામો છે જે સમાજને આધાર આપે છે. જે વ્યક્તિ બંને આયામોને જ્યાં સુધી તેના અંતરંગ સ્વરૂપમાં સમજી ન શકે, ત્યાં સુધી તેના વિશે વિવાદ ન છેડે તે સમાજ માટે ઇષ્ટ છે.

અનામિકા! ધર્મ તથા વિજ્ઞાન બંને, તેમના શુદ્ધ સ્વરૂપમાં, સત્યની ખોજમાં મદદરૂપ છે. કહેવાતા ધર્મના ઠેકેદાર સમા ગણ્યાગાંઠ્યા ‘ધર્મરક્ષકો’ની બુદ્ધિવિહિન  ધર્માંધતા તથા વિજ્ઞાનના ચશ્મા પહેર્યાનો ભ્રમ સેવતા કેટલાક રેશનાલિસ્ટોની બુદ્ધિ-પરિમિત દ્રષ્ટિ – બંને ખતરનાક છે – સમાજ માટે, અને માનવજાત માટે પણ. નર્યા બુદ્ધિવાદને સહારે વિકસતા વિજ્ઞાનને કેટલાં અચલ સત્ય લાધ્યાં છે? એકાંગી દ્રષ્ટિમાં કદી પૂર્ણતા, સમગ્રતા સમાઈ શકે કરી? અસંયમિત ધર્માંધતા કે અપરિપક્વ રેશનાલિઝમ કદી સમાજનું ભલું કરી શક્યા નથી.

તમને જણાતા તમારા કહેવાતા ‘સત્ય’ને સમાજ પર શોર-શરાબાથી કે તાકાતથી ઠોકવું તેમાં મને તો સભ્યતાની અવગતિ જણાય છે. અન્યની દ્રષ્ટિને, ભાવનાને, જીવનકલાને યથોચિત આદર આપવામાં ધર્મનું ગૌરવ છે. તે જ રીતે અન્યના મત કે અભિપ્રાયને, વિચારને, સિદ્ધાંતને ગ્રંથિ-મુક્ત થઈ સહિષ્ણુતાથી અવલોકવો, બુદ્ધિથી ઉપર ઊઠીને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી પરખવો અને ત્યાર પછી જ પોતાને સત્ય જણાતા અવલોકન કે વિચારને ઘોષિત કરવું તે સાચા રેશનાલિસ્ટનું લક્ષણ છે.

પરિશુદ્ધ ધર્મ હૃદયમાં, જીવનમાં વણાઇ જાય છે. તે જીવનમૂલ્યોને ઉજાગર કરી માનવજીવનને સૌંદર્ય બક્ષે છે, જ્યારે મૂળભૂત ધર્મમાંથી ફલિત ધર્મસ્વરૂપો કે આધારવિહોણા સંપ્રદાયો માનવજાતને વાડાઓમાં ધકેલી જીવનને બદસૂરત કરે છે.

પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ધર્મને કયા સ્વરૂપે અપનાવીશું?

ધર્મ અને વિજ્ઞાનની પરિભાષાને ઊંડા મંથન પછી જ સમજી શકાય છે. સાચો બુદ્ધિવાદી, વિવેકશીલ માનવી તો મતમતાંતરોની વ્યર્થ ચર્ચાથી પર રહી, ધર્મ અને વિજ્ઞાનનાં વિશિષ્ટ પ્રયોજનોને સ્વીકારી, બંનેનાં વિવેકપૂર્ણ સમન્વયથી જીવનપથ દીપાવશે. તે પોતાની જીવન યાત્રા સત્યની ખોજમાં ઉચિત માર્ગે નિશ્ચલતાથી આગળ ધપાવશે.

અનામિકા! તું તારા મિત્રોને આ સમજાવજે. ક્ષુલ્લક, અર્થવિહોણા મતભેદોને વળગી સંબંધ તોડવા કે પોતાના દ્રષ્ટિબિંદુને અંતિમ સત્ય માની વાડામાં પૂરાઈ જવામાં બુદ્ધિવાદની હાર છે. તેમના વચ્ચે સંવાદ પુનઃ સ્થાપિત કરજે.

આવો નિખાલસ સંવાદ તમારા મિત્રવર્તુળના જ નહીં, સમાજના અને માનવજાતના હિતમાં છે.

સ્વાસ્થ્ય સંભાળશો. … સસ્નેહ આશીર્વાદ.

.

6 comments October 22, 2008

અનામિકાને પત્ર: 39

.

પ્રિય અનામિકા,

નેશનલ જ્યોગ્રાફિકના પ્રોજેક્ટ પર તારી મિત્રનું યોગદાન મને ગમ્યું.

આફ્રિકાના અંધારા ખૂણાઓમાં આજે પણ લગભગ આદિમ અવસ્થામાં કેટલીક પ્રજાતિઓ વસી રહી છે. તેમની માહિતી દુનિયા સમક્ષ મૂકવી તે અભિનંદનીય યોજના છે.

પ્રશ્ન તે પછી ઉદભવે છે. તે જાતિ-પ્રજાતિઓનો ઉત્કર્ષ શી રીતે કરવો? કયા ક્ષેત્રોમાં કેટલા સ્તર સુધી સુધી કરવો?

આ સંવેદનશીલ પ્રશ્નો છે. તેમનો ઉકેલ આસાન નથી.

સંસ્કૃતિના વિકાસના પાયામાં પ્રાકૃત અવસ્થામાં થતું ગુણાત્મક પરિવર્તન છે. જે પ્રકૃતિગત છે, તેમાં યોગ્ય ક્રિયા-પ્રક્રિયા દ્વારા પરિવર્તન કરવું તે વિકાસનો એક તબક્કો છે.

જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણાત્મક પરિવર્તન કરવામાં આવે છે તેને આપણે સંસ્કારથી ઓળખીએ છીએ.

લોહ તત્ત્વ જમીનમાં કાચા લોખંડના ખનીજ સ્વરૂપે સ્થિત છે. તેને ખોદી કાઢી તેના પર વિવિધ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તે પછી શુદ્ધિકરણ કરાતાં છેવટે લોખંડ ધાતુ રૂપે મળે છે. આ થઈ ધાતુસંસ્કારની વાત. શું માનવજીવનને, માનવસભ્યતાને આ વાત લાગુ નથી પડતી?

જંગલમાં ભટકતો કે ગુફાવાસી આદિ માનવ પ્રાકૃત અવસ્થામાં હતો. તે અસ્તિત્વ ટકાવવા કેટલીયે અવસ્થાઓમાં અગણિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતો રહ્યો. તેનામાં, તેની જીવન પદ્ધતિઓમાં હજારો વર્ષ સુધી ઉત્તરોત્તર પરિવર્તન થતાં રહ્યાં.

ગુણાત્મક પરિવર્તનોથી બાહ્ય અને આંતરિક જીવન વિકાસ પામતું રહ્યું. તેનામાં સંસ્કાર સંચિત થતાં રહ્યાં. હજારો વર્ષો પછી અર્વાચીન માનવી જન્મ્યો.

આમ, સંસ્કાર પ્રાકૃતને સંસ્કૃત બનાવે છે. ફળસ્વરૂપે સભ્યતા, સંસ્કૃતિ ઉદભવે છે.

આવું વિચારું છું ત્યારે બે મુદ્દા મને મહત્ત્વના જણાય છે: પ્રથમ તો, સંસ્કૃતિના ઉચ્ચ સ્તર સુધીની યાત્રા દીર્ઘ હોવા ઉપરાંત ભારે કસોટીરૂપ હોય છે. બીજો મુદ્દો એ કે સંસ્કાર માનવીનું આભૂષણ છે. સંસ્કાર જીવનનું સૌંદર્ય છે.

તારી મિત્ર નેશનલ જ્યોગ્રાફિકના પ્રોજેક્ટ દ્વારા માનવસંસ્કાર અને માનવસંસ્કૃતિના સંવર્ધનમાં બહુમૂલું યોગદાન આપી રહી છે. તેને મારાં અભિનંદન કહેજે. તમારી સૌની પ્રગતિ અર્થે પ્રાર્થું છું. સપ્રેમ આશીર્વાદ.

.

Add comment May 31, 2008

અનામિકાને પત્ર: 34

 .

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.

બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.

અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.

કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!

પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!

લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.

શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.

નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!

અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા!  આ કેવી વિધિની વક્રતા!

સ્ટીમરથી સમુદ્રમાર્ગે  મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.

આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.

સસ્નેહ આશીર્વાદ.

* *  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (http://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ.  * * * *

* * * *

1 comment December 19, 2007

અનામિકાને પત્ર: 33

.

પ્રિય અનામિકા,

મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.

મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.

અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.

મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.

સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.

ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.

તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.

ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.

અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.

ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.

હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.

અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.

શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.

અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.

.

Add comment December 9, 2007

અનામિકાને પત્ર: 32

.

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદ દર્શન પરનાં વ્યાખ્યાનોનો તેં લાભ લીધો તે એક સત્કર્મ જ ગણાય.

મહાયોગી શ્રી અરવિંદ વિશે તને થયા તેવા પ્રશ્નો ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી અરવિંદના પૂર્વાશ્રમ વિશે, ખાસ કરીને બાલ્યાવસ્થા વિશે થોડું જાણે છે.

શ્રી અરવિંદનો જન્મ ઈસ 1872ની પંદરમી ઑગસ્ટના દિને બંગાળના કલકત્તામાં થયો હતો.

તેમના પિતાનું નામ ડો. કૃષ્ણધન ઘોષ. ડો. કૃષ્ણધન ઘોષ કલકત્તાની મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવી 1859માં ડોક્ટર થયા. યુવાન અને મહત્વાકાંક્ષી ડો. કૃષ્ણધન ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત (ઇંગ્લેંડ) ગયા. ઇંગ્લેંડમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી, સર્જન બની ડો. કૃષ્ણધન ભારત પાછા ફર્યા. ઉત્તર-પૂર્વ હિંદુસ્તાનમાં તેમણે સર્જન તરીકે નામના મેળવી.

ડો. કૃષ્ણધનનાં લગ્ન બંગાળના સામાજીક આગેવાન રાજનારાયણ બોઝનાં પુત્રી સ્વર્ણલતાદેવી સાથે થયાં. સ્વર્ણલતાદેવી વિદ્વત્તાનો અવતાર હતાં.

અનામિકા! મોટી નવાઈની વાત એ કે શ્રી અરવિંદના પિતા ડો. કૃષ્ણધન પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇંગ્લિશ સમાજથી ભારે પ્રભાવિત હતા. સંતાનોનો ઉછેર અંગ્રેજી ઢબ-છબથી થાય તે માટે તેમણે પોતાના ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો.

1879માં શ્રી અરવિંદની ઉંમર સાતેક વર્ષની હતી ત્યારે ડો. કૃષ્ણધન અને સ્વર્ણલતાદેવી પોતાનાં ચાર સંતાનો -ત્રણ પુત્રો અને પુત્રી સરોજિની –ને લઈ ઇંગ્લેંડ પહોંચ્યાં. અનામિકા! એક મહત્વની ઘટના એ ઘટી કે ઇંગ્લેંડમાં જ સ્વર્ણલતાદેવીએ પોતાના ચોથા પુત્રને જન્મ આપ્યો (આ ચોથા પુત્ર તે શ્રી અરવિંદના સૌથી નાના ભાઈ અને બંગાળના ક્રાંતિવીર બારીન્દ્ર ઘોષ).

ઘોષ દંપતિએ ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેંડના માંચેસ્ટરમાં એક પાદરીને ત્યાં ઉછેર માટે મૂક્યા. બધી વ્યવસ્થા કરી, ડો. કૃષ્ણધન પત્ની સાથે સરોજિની અને બાળ બારીન્દ્રને લઈ ભારત પાછા ફર્યા.

ઇંગ્લેંડમાં રહી ભાઈઓ સાથે શ્રી અરવિંદ અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતા ગયા. શ્રી અરવિંદ અંગ્રેજી ઉપરાંત પ્રાચીન-અર્વાચીન ભાષાઓ ગ્રીક , લેટિન, ફ્રેંચ, ઇટાલિયન અને જર્મનમાં પારંગત બન્યા.

ચૌદ વર્ષ ઇંગ્લેંડમાં ગાળી શ્રી અરવિંદ એકવીસ વર્ષની ઉંમરે 1893ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા.

અનામિકા! આ શ્રી અરવિંદના બાળપણની એક ઝલક. તેમની પૂરી જીવનઝાંખી રોમાંચક છે.

પણ ફરી ક્યારેક બીજી વાતો. સસ્નેહ આશીર્વાદ.

.

4 comments November 15, 2007

અનામિકાને પત્ર: 18

પ્રિય અનામિકા,

તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.

આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.

તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?

નાનકડો જવાબ આપું?

સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.

આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?

સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * * * * *

3 comments April 30, 2007

અનામિકાને પત્ર: 16

.

પ્રિય અનામિકા,

કેનેડાસ્થિત મારી એક શિષ્યાએ નિર્દોષ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો છે.

અમે અકથ્ય આનંદ અનુભવી રહ્યા છીએ, ત્યારે અમારી એ દીકરીનું હૈયું તો કેવા આનંદથી ઊછળતું હશે! ગોદમાં નવપલ્લવિત દિવ્યતાને નિહાળી તેના હોઠ પરથી શબ્દો સરી પડ્યાં હશે: “પધારો, લક્ષ્મીજી!”

પરમાત્મા કેવા મહાન સર્જક-કલાકાર છે! તેમની એક એક કૃતિમાં પ્રાણ પૂરીને સર્જન કરે છે. તે થકી આપણા જીવનમાં અમીસિંચન કરે છે.

નવશિશુનું આગમન આપણા હૃદયને કેવું ઉલ્લાસથી ભરી દે છે! મારી શિષ્યા-પુત્રીના દાપત્યજીવનમાં ખીલેલું આ ફૂલ તે પતિ-પત્નીના જીવનમાં નવા રંગ ભરી દેશે. તેમના બંનેના કુટુંબોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. તેમના બંનેના માતા-પિતાઓ જ્યાં પણ હશે, આશીર્વાદ વરસાવશે!

અનામિકા! માતૃત્વનું વરદાન પામવું તે ઈશ્વરની કૃપા. કદાચ સવાલ ઊઠે: પુત્ર કે પુત્રી? આ પ્રશ્ન ઊઠતો જ રહેતો હોય છે. પણ આપણે ભૂલીએ છીએ કે નવ-આગંતુક ઈશ્વરની પ્રસાદી છે. આપણે તેને સહર્ષ સ્વીકારીએ. તે ઈશ્વરનું દિવ્ય સર્જન છે. આપણે તેને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ. સાચું પૂછો તો પુત્રીની માતા બનવામાં પણ કોઈ દૈવી સંકેત હોય છે. પુરૂષ એક કુળને શોભાવી રહી જાય છે, જ્યારે સ્ત્રી બે કુળને તારે છે તેવું શાસ્ત્ર વચન છે. હું તો તેથી યે આગળ જઈને એમ કહીશ કે સ્ત્રી બે પરિવાર વચ્ચેનો સેતુ બને છે. માનવસંબંધોના વર્તુળને વિસ્તારે છે. સંબંધોની ગૂંથણીમાં સ્ત્રીનું અપ્રતિમ યોગદાન છે. વળી પુરૂષના રસહીન-શા શુષ્ક જીવનપથને સ્ત્રી રંગોથી સજાવે છે. માનવજીવનમાં કોમળતા, પ્રેમ અને ઉષ્મા ભરે છે. એથી યે વિશેષ, માનવ અસ્તિત્વને ગૌરવ બક્ષી તેનું સંવર્ધન કરે છે.

આ નવશિશુના આગમન સાથે આપણી જવાબદારી વધી છે. આપણે કાંઈક સંકલ્પ લેવા પડશે. આપણે આવનારી પેઢીઓ માટે આપણા જીવનને સુસંસ્કૃત કરીશું અને આપણો વારસો સમૃદ્ધ બનાવીશુ. આ પૃથ્વીને, તેના સઘળાં પ્રકૃતિતત્ત્વોને સંરક્ષીશું. આવનાર આગંતુકો માટે આપણે સુજલામ, શસ્ય શ્યામલા ધરતીમાતાનું નિર્માણ કરીશું.

અનામિકા! આ નવશિશુ ઈશ્વરનો સંદેશ લઈને આવેલ છે. તે આપણને પરમાત્માની અનિર્વચનીય, શાશ્વત, સાતત્યપૂર્ણ સર્જનશક્તિનાં દર્શન કરાવે છે.પ્રભુની દિવ્યતાની ઝાંખી કરાવે છે. આ બાળકી માનવજાતને નવી દિશા ભણી દોરી જશે. તે આપણી આવતી કાલને ઉજાળશે.

આ નવશિશુ આપણા માટે, સમગ્ર માનવજાત માટે આશાનાં નવાં કિરણો લઈને આવે છે. આપણે તેને પ્રેમથી પૃથ્વી પર આપણી વચ્ચે આવકારીએ તેનાં મસ્તક પર પ્રેમાળ મૃદુ સ્પર્શે આપણા આશિષની વર્ષા કરીએ! ભલે પધાર્યાં, લક્ષ્મીજી!

સસ્નેહ આશીર્વાદ.

8 comments February 24, 2007

Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

હરીશ દવે on અનામિકાને પત્ર: 54
Pancham Shukla on અનામિકાને પત્ર: 49
PARESH on અનામિકાને પત્ર: 50
esha on અનામિકાને પત્ર: 50
santhosh on અનામિકાને પત્ર: 50
હિમાંશુ કીકાણી on અનામિકાને પત્ર: 50
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 49
Pinki on અનામિકાને પત્ર: 47

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats