Posts filed under 'વિષય: પરિચય'
અનામિકાને પત્ર: 54
.
પ્રિય અનામિકા,
આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા.
શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે પણ સંસાર ત્યજી માતાના આશ્રમમાં શરણ લીધું.
શ્રી કૃષ્ણપ્રેમના એક ખાસ અંગ્રેજ મિત્ર ડોકટર એલેક્ઝાંડર બાહોશ સર્જન હતાં. લખનૌના ખ્યાતનામ તબીબ હતા. શ્રી કૃષ્ણપ્રેમને પગલે. ડોકટર એલેક્ઝાંડર પણ સંન્યાસી બન્યા અને સ્વામી હરિદાસજી નામ ધારણ કરી યશોદામાના શિષ્ય બની ઉત્તર વૃંદાવન આશ્રમમાં સ્થાયી થયા. પાછળથી અન્ય એક અંગ્રેજ યુવાન પણ શ્રી કૃષ્ણપ્રેમથી પ્રભાવિત થયા; ઇંગ્લેંડ છોડી ભારત આવ્યા અને સ્વામી માધવ આશિષ નામ ધારણ કરી મીરતોલા ઉત્તર વૃંદાવન આશ્રમમાં નિવાસી થયા. સૌના સહયોગથી મીરતોલા-અલમોડાનો ઉત્તર વૃંદાવન આશ્રમ હિંદુસ્તાન બહાર પણ નામના પામ્યો.
અનામિકા! યશોદા માએ 1944માં સમાધિ લીધી. તે પછી ટૂંક સમયમાં લલિતાજી અને સ્વામી હરિદાસજી પણ સ્વર્ગવાસી થયાં. 1965માં 67 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણપ્રેમ પણ સ્વર્ગે સિધાવ્યા. સ્વામી માધવ આશિષની નિશ્રામાં ઉત્તર વૃંદાવન આશ્રમની પ્રવૃત્તિઓ ફૂલીફાલી અને ભારત સરકારે 1992માં સ્વામી માધવ આશિષને પદ્મશ્રીના એવોર્ડથી સન્માન્યા. 1997માં સ્વામી માધવ આશિષ સ્વર્ગવાસ પામ્યા.
યશોદામા અને શ્રી કૃષ્ણપ્રેમના ભક્તિમાર્ગને તેમના ગુણાનુરાગી સહયાત્રી અને મહાયોગી મહર્ષિ અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય અને ઇંદિરાદેવીએ કેવી રીતે પ્રતિષ્ઠિત કર્યો તેની વાત પણ ક્યારેક આલેખીશું. . . . . . .. સસ્નેહ આશીર્વાદ.
1 comment October 15, 2009
અનામિકાને પત્ર: 53
.
પ્રિય અનામિકા,
ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું?
સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર છોડી સંન્યાસ અપનાવ્યો.
અનામિકા! સંન્યસ્ત-દીક્ષા પછી ગુરુમા મોનિકાદેવી “શ્રી યશોદા મા” અને શિષ્ય રોનાલ્ડ નિકસન “શ્રી કૃષ્ણપ્રેમ”નાં નામે ઓળખાયાં. 1930માં તેમણે ઉત્તર ભારતમાં અલમોડા (હાલ ઉત્તરાંચલ) થી પચ્ચીસેક કિમી દૂર મીરતોલા ગામે “ઉત્તર વૃંદાવન આશ્રમ”ની સ્થાપના કરી. આશ્રમની સ્થાપનામાં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને તેમના મિત્રોનો સહયોગ મળ્યો. 1943માં મા આનંદમયીમાએ પણ ઉત્તર વૃંદાવન આશ્રમનું આતિથ્ય માણ્યું હતું.
તું અમેરિકાના વિખ્યાત દાર્શનિક ચિંતક ઇમર્સનનું નામ જાણે છે, અનામિકા? અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાડો ઈમર્સનનાં એક પુત્રી અલમોડા પાસે પોતાના ભારતીય પતિ શ્રી સેન સાથે રહેતાં. અમેરિકન ફિલોસોફર ઈમર્સનને ભારતીય તત્વચિંતન – ખાસ કરીને વેદ-વેદાંત અને અદ્વૈતવાદ – માં રસ હતો. અલમોડા-સ્થિત સેન દંપતિને શ્રી કૃષ્ણપ્રેમ પ્રતિ ભારે આસ્થા હતી.
“ઉત્તર વૃંદાવન આશ્રમ” વિશે થોડી વધુ વાતો આવતા પત્રમાં.. . . . સસ્નેહ આશીર્વાદ.
Add comment September 13, 2009
અનામિકાને પત્ર: 52
.
પ્રિય અનામિકા,
તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે.
મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી તરીકે ઓળખાતાં હતાં. આપણે 1920ના દાયકામાં જઇને ઇતિહાસ ખોલવો પડશે.
ઉત્તર પ્રદેશના લખનૌમાં 1920-21ના વર્ષમાં લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થઇ. લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીની નિમણૂક થઇ. ડો. ચક્રવર્તીનાં પત્ની મોનિકાદેવી પાશ્ચાત્ય ઢબછબથી પ્રભાવિત ફેશનેબલ નારી હતાં. બોબ્ડ હેર અને વિશિષ્ટ રીતે સાડી પહેરીને તે ક્લબ-મેળાવડા-સમારંભોમાં છાઈ રહેતાં. દર બે-ત્રણ વર્ષે એક વાર વિદેશયાત્રા કરનાર મોનિકાદેવી ધાણી ફૂટે તેમ અંગ્રેજી બોલતાં .આમ છતાં તેમના હૃદયમાં તો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રતિ ભરપૂર આસ્થા હતી અને તે નિયમિતપણે પૂજાપાઠ પણ કરતાં.
અનામિકા! ડો. ચક્રવર્તી દંપતીને થિયોસોફીમાં રસ હતો. વારાણસીના ગંગાકિનારે તેમના મહાલયમાં ફિલોસોફી, અધ્યાત્મવાદ, ધર્મ, શિક્ષણ, કલા, સંગીત આદિ ક્ષેત્રોના વિદ્વાનોની બેઠક થતી અને વિવિધ વિષયો પર વિચારવિનિમય થતો રહેતો.. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ત્રેવીસેક વર્ષના યુવાન બ્રિટીશ – સ્કોટીશ પ્રોફેસર રોનાલ્ડ નિકસન જોડાયા. તને નવાઇ લાગશે, અનામિકા! રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 1918) સમયે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સના પાયલોટ રહી ચૂક્યા હતા તથા મશહૂર કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. નિકસનને કઈ ઝંખના હિંદુસ્તાન ખેંચી લાવી? નિકસનને ભારતીય દર્શન અને અધ્યાત્મમાં રુચિ હતી. નવયુવાન અંગ્રેજ પ્રોફેસર નિકસન સ્વાભાવિક રીતે ડો. ચક્રવર્તી દંપતી પ્રતિ આકર્ષાયા.
એક દિવસ ડો. ચક્રવર્તીને ત્યાં બૌદ્ધિકોની હાજરીમાં નિકસને પોતાના જીવનમાં બનેલ એક ચમત્કારિક ઘટનાનું ભાવવાહી વર્ણન કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇંગ્લેંડની વાયુસેનાએ જર્મન પ્રદેશો પર હવાઈ હુમલા આદરેલા. ઘટનાના દિવસે રોયલ એર ફોર્સના બોમ્બર પ્લેનના પાયલોટ તરીકે નિકસન ડ્યુટી પર હતા. એક હવાઇ હુમલામાં પોતાના બોમ્બર પ્લેનમાં રહેલા નિકસનની નજર પોતાની જમણી તરફ ઊડી રહેલ વિમાનોના એક કાફલા પર પડી. દોડાદોડીની ટેન્શન ભરી ક્ષણોમાં નિકસન તેને પોતાનો સાથી કાફલો સમજી પોતાના પ્લેનને તે કાફલા તરફ વાળવા લાગ્યા. કોઇ એક ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના કાંડાને પકડી લીધું. નિકસન જોર કરી ફરી પોતાના પ્લેનને જમણી તરફ વાળવા ગયા તો ‘અદ્રશ્ય શક્તિ’એ ભારે તાકાતથી તેમના પ્લેનને ડાબી દિશામાં વાળી દીધું! પાછળથી તેમના સાથીદારોએ નિકસનને સમજાવ્યું કે જે તરફ તેઓ પહેલાં વળી રહ્યા હતા, તે જમણી બાજુ તો દુશ્મન વિમાનોનો કાફલો હતો !!! ત્યારે નિકસનને સ્પષ્ટ થયું કે કોઇ અગમ્ય ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના પ્લેનને દુશ્મનના કાફલાથી દૂર રાખી તેમને મોતના મોઢામાંથી બચાવ્યા હતા. બસ, ત્યારથી નિકસનને ફિલોસોફી અને થિયોસોફીમાં વિશેષ ઉત્સુકતા જાગી. અધ્યાત્મનો ઝોક પ્રબળ બન્યો ત્યારે રોનાલ્ડ નિકસન ભારત ખેંચાઈ આવ્યા. આ પત્રને અહીં અટકાવું,, અનામિકા! ત્યાર પછીની વાત આવતા પત્રમાં ….
સસ્નેહ આશીર્વાદ.
Add comment August 5, 2009
અનામિકાને પત્ર: 49
પ્રિય અનામિકા,
ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?
ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!
અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.
રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.
1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો – નાબાલિગ – હોવાથી તેના મામાએ તેના ‘પ્રોટેક્ટર ઓફ કિંગ’ તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.
1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.
પાંચેક વર્ષના શાસનકાળ (1553 – 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.
આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.
એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 – 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!
તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.
.
2 comments November 24, 2008
અનામિકાને પત્ર: 48
.
પ્રિય અનામિકા,
તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે. કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.
બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.
આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. ‘મેગ્ના કાર્ટા’ અને ‘હેબિયસ કોર્પસ એક્ટ’ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા ‘The King’s Story’ વાંચી.
પછી ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો. હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.
આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.
મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.
અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.
1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!
ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?
શેષ વાતો આવતા પત્રમાં…. સસ્નેહ આશીર્વાદ.
.
Add comment November 24, 2008
અનામિકાને પત્ર: 42
.
પ્રિય અનામિકા,
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમાચારોની રસપ્રદ લિંક્સ વાંચી.
સૌને પ્રશ્ન થઈ રહ્યો છે: યુએસએના 44મા પ્રેસિડેન્ટ કોણ બનશે?
અમેરિકાના પ્રમુખપદના લોકપ્રિય અશ્વેત ઉમેદવાર ઓબામા વિશે ઢગલાબંધ વાતો ચર્ચામાં છે. સ્થાનિક મીડિયાએ ઓબામાની હનુમાન ભક્તિ ગાઈ-વગાડીને ચગાવી છે. આમે ય, અમેરિકન પ્રમુખપદ અને અમેરિકાના પ્રમુખો અંગે ચોવટ થતી જ રહેતી હોય છે.
અમેરિકાના પ્રેસિડેન્ટસ વિશે બેશુમાર જાણી-અજાણી વાતો મળતી રહે છે. તારા અમેરિકન મિત્રો સાથે થોડી અવનવી વાતો કરવી છે?
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (1789-97) હતા તમે જાણો જ છો. વર્તમાન અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ યુએસએના 43મા પ્રમુખ છે; પરંતુ જો પ્રમુખોનાં વ્યક્તિગત નામોની યાદી જોઈએ તો જ્યોર્જ બુશનો ક્રમાંક 42મો છે. આનું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડ છે. અમેરિકાના પ્રમુખપદ પર ગ્રોવર ક્લીવલેન્ડ બે અક્રમિક મુદત – નન-કન્સીક્યુટિવ ટર્મ્સ – માટે ચૂંટાયા: પ્રથમ ટર્મ 1885-1889 માટે 22મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર ગ્રોવર ક્લીવલેન્ડ બીજી ટર્મ 1893-97 માટે 1893માં પ્રમુખપદે ફરી ચૂંટાયા, ત્યારે તેમને અમેરિકાના 24મા પ્રમુખ ગણવામાં આવ્યા.
અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ (1933-45) બાર વર્ષો સુધી વ્હાઈટ હાઉસ રહ્યા. પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટના સમય સુધી નવ-નિર્વાચિત અમેરિકન પ્રમુખનો સોગંદવિધિ 4 માર્ચના રોજ થતો; તેમના સત્તાકાળમાં અમેરિકન બંધારણમાં ફેરફાર થતાં સોગંદવિધિ 20 જાન્યુઆરીએ કરાવવાની પ્રથા શરૂ થઈ. આમ, પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટ 1933માં 4થી માર્ચના રોજ સત્તા સંભાળનાર છેલ્લા પ્રમુખ બન્યા: સાથે જ 1937માં 20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રથમ અમેરિકન પ્રમુખ પણ રૂઝવેલ્ટ બન્યા.
ચાર અમેરિકન પ્રમુખોની તેમના પ્રમુખપદના હોદ્દા દરમ્યાન હત્યા થઈ છે: અબ્રાહમ લિંકન (1861-65), જેમ્સ ગારફિલ્ડ (1881), વિલિયમ મેકકિન્લી (1897-1901) તથા જહોન એફ. કેનેડી (1961-63).
અમેરિકાના 9મા પ્રેસિડેન્ટ વિલિયમ હેંન્રી હેરિસન (1841)ની કરૂણતા એ કે પ્રમુખપદે ચૂંટાયાના (4 માર્ચ,1841) એક જ મહિનામાં ન્યૂમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું (4 એપ્રિલ, 1841).
અને છેલ્લે એક હળવી વાત કરી લઉં? અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ ટાફ્ટ (1908-1913) હતા. પ્રેસિડેન્ટ ટાફ્ટ તેમના પુરોગામી પ્રમુખોની માફક તાજા દૂધ માટે વ્હાઈટ હાઉસમાં ગાય રાખતા હતા. વિલિયમ ટાફ્ટ વ્હાઈટ હાઉસમાં ગાય પાળનાર છેલ્લા પ્રમુખ હતા!!! છે ને ચટપટી વાતો? સસ્નેહ આશીર્વાદ.
.
1 comment July 31, 2008
અનામિકાને પત્ર: 41
.
પ્રિય અનામિકા,
સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.
મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.
અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.
અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.
મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.
માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC– 900 AD) માં પૂરબહારમાં વિકસી. મધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.
અનામિકા! નવાઈની વાત એ કે તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.
જે ગણી ગાંઠી પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.
સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.
લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.
માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012 સુધીનું છે.
શું 2012માં દુનિયા નાશ પામશે?
માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.
2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.
અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.
જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર પરથી પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.
આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.
* * * * *
7 comments June 3, 2008
અનામિકાને પત્ર: 30
.
પ્રિય અનામિકા,
અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર.
મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે.
પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી મારે ત્યાં આવ્યો- આવતાં વેંત પેઈન્ટિંગ સામે થીજી ગયો. મારી સામે ફરી સસ્મિત બોલ્યો – “ઈમ્પ્રેશનિઝમ? ”
મારો આ ભત્રીજો ફાઈન આર્ટસની ડિગ્રી સાથે એનિમેશનની દુનિયામાં ઊભરતી પ્રતિભા છે. ઈન્દોરમાં તે કારકિર્દી કંડારી રહ્યો છે. કાર્ટૂન – એનિમેશનના ફિલ્ડમાં તેની માસ્ટરી છે. તે પેઈન્ટિંગ પારખી ગયો.
હા, તે પેઈન્ટિંગ “ઈમ્પ્રેશનિઝમ” ના પ્રણેતા મોને (Claude Monet 1840-1926) નું છે. મોનેની પ્રખ્યાત વોટરલિલિ સિરિઝ નું ચિત્ર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિન્ટ થઈ તૈયાર થયું છે. યુરોપના પ્રવાસેથી પાછા ફરતા મારા એક કલાચાહક બાળ-મિત્ર મારા માટે લેતા આવ્યા છે. આભાર એ મિત્રનો!
કલાક્ષેત્રનો રસ જીવનપોષક હોય છે.
અનામિકા! સ્કૂલના અભ્યાસ દરમ્યાન મેં વડોદરાની બરોડા જુનિયર ચેમ્બર દ્વારા યોજિત એક રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં સર્ટિફીકેટ મેળવ્યું ત્યારથી આજ સુધી ચિત્રકલામાં મારો રસ જળવાઈ રહ્યો છે. સ્કૂલમાં “સાહિત્ય પાઠાવલિ” તથા સ્વ. ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિના ઈતિહાસમાં પણ સુંદર ચિત્રો રહેતાં. પાઠ્યપુસ્તકોએ ચિત્રકલા અને શિલ્પકલાને માણતાં શીખવ્યું.
વડોદરા હું દસેક વર્ષ રહ્યો. સમય મળ્યે હું કોઈ એક મ્યુઝિયમ પહોંચી જતો. મેં કલાકો વડોદરા સયાજી બાગ મ્યુઝિયમ અને પેલેસ મ્યુઝિયમના ચિત્રો અને શિલ્પકૃતિઓ સામે ગુજાર્યા છે.
સચિત્ર પાઠ્યપુસ્તકોના કારણે માઈકલએંજેલો (Michelangelo 1475 – 1564) , રાફેલ (Raphael 1483 – 1520) અને લિયોનાર્ડો દ વિન્ચી (વિન્શી) (Leonardo da Vinci 1452 – 1519) પર બાળપણથી ખૂબ પ્રેમ. પણ પાબ્લો પિકાસો (Pablo Picasso 1881 -1973) માં મને સાધારણ રસ પડ્યો. મારી કલાદ્રષ્ટિની મર્યાદા કે ઊણપ પણ હોઈ શકે.
પૉલ સિઝાન (સિઝન્ન) (Paul Cezanne 1839 – 1906) અને વિન્સેન્ટ વાન ગો ( વિન્સેન્ટ વાન ગોઘ Vincent Van Gogh 1853 – 1890) સ્વીકાર્ય, પણ પિકાસો નહીં.
અનામિકા! ઈમ્પ્રેશનિઝમ (Impressionism) મુવમેન્ટ ફ્રાંસમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થઈ.
સિઝાન અને રેનોર (Pierre Auguste Renoir) સાથે મોનેએ તેના પ્રસારમાં યોગદાન આપ્યું. સિઝાન જેવા ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટરની પાયાની માન્યતા કંઈક એવી કે કુદરતમાં પ્રકૃતિતત્વોનું સ્વરૂપ ભૌમિતિક આકારોમાંથી પ્રગટ થાય છે. ઈમ્પ્રેશનિસ્ટ માત્ર રંગોના લસરકાઓથી પ્રકાશની અવનવી અસરો ઊભી કરી કોઈ સબ્જેક્ટની ઝલક મેળવે છે.
પિકાસોએ વળી ભૌમિતિક આકારોમાં ચોરસ અને લંબચોરસ જેવા આકારોને પ્રાધાન્ય આપી પેઈન્ટ કરવાનું શરૂ કર્યું. પિકાસોની ચિત્રકલા-શૈલી ક્યુબિઝમ (Cubism) ને નામે ઓળખાઈ.
અનામિકા! અમૃતા શેરગીલ પર એક અતિ સુંદર સચિત્ર પુસ્તક થોડો સમય પહેલાં મેં જોયું હતું. પ્રકાશનની વિગતો યાદ નથી. ધ્યાનમાં આવશે તો તને જરૂર મોકલીશ. સસ્નેહ આશીર્વાદ.
.
1 comment September 15, 2007
અનામિકાને પત્ર: 14
.
પ્રિય અનામિકા!
તારી પ્રગતિના સમાચાર ચિ. અમરે ફોનથી આપ્યા. આજે તારો ઈ-મેઈલ પણ મળ્યો. અમને ખૂબ જ ખુશી થઈ, સાથે ગર્વ પણ.
અનામિકા! શિક્ષકને પોતાના દરેક વિદ્યાર્થી પ્રત્યે સમભાવ હોય જ, આમ છતાં તેમાંથી કોઈક વિશેષ સિદ્ધિ મેળવે ત્યારે તો સ્નેહભાવ ઓર છલકાઈ જ જાય! શિષ્યગણ જીવનમાં વિકાસ સાધે તે ગુરુ માટે ગૌરવની વાત. અમારા આશીર્વાદ તમારી સાથે છે.
એક વાત મેં નોંધી છે, અનામિકા, વિદેશ સ્થિત ગુજરાતીઓ ગુજરાત માટે તથા ગુજરાતી ભાષાના સન્માન તેમજ વિકાસ માટે પ્રયત્નશીલ છે. સાહિત્ય જ નહીં, ડોકટર જેવા પ્રોફેશનલ્સ કે સ્વતંત્ર વ્યવસાય અથવા નોકરી-ધંધા-કારોબારમાં પ્રવૃત્ત ગુજરાતીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ગયા અઠવાડિયે મારા એક અમેરિકન ગુજરાતી મિત્ર સાથે વાત થઈ. તેમણે ન્યૂ યોર્ક ના ગુજરાતી સર્જન ડોકટર નીલેશ પટેલની સફળ તબીબી કારકિર્દીના સમાચાર વિગતે જણાવ્યા. મને અંગત રીતે ગર્વ થયો. જો મારી યાદશક્તિ મને બરાબર સાથ આપતી હોય તો, ડો. નીલેશ આણંદ-ચરોતરના સુપ્રતિષ્ઠિત સર્જન ડો. ઉમેદભાઈ પટેલના પુત્ર. વર્ષો અગાઉ, હું જ્યારે ફાર્મા કંપનીમાં મેનેજરપદે હતો, ત્યારે વર્ષમાં બે-ચાર વખત તો ડો. ઉમેદભાઈને અવશ્ય મળતો. પ્રભાવશાળી અને અસરકારક, યાદ રહી જાય તેવું વ્યક્તિત્વ. ઉમેદભાઈનું આણંદ અને પૂરા ચરોતરમાં, ખેડા જીલ્લામાં મોટું નામ. ધૂમ પ્રેક્ટિસ. પરંતુ મારે તેમની સાથે અંગત સંબંધ ડેવલપ થયેલા. વ્યસ્ત હોય તો પણ અમને ત્વરિત મુલાકાત ગોઠવી આપતા. ભાઈ નીલેશ તે વખતે અભ્યાસ કરે. આજે કાર્ડિયાક સર્જરીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હાર્ટ સર્જન તરીકે ડો. નીલેશ પટેલનું નામ આપણને ગર્વ અપાવે છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ!
અનામિકા! આણંદની વાત કરતા હોઈએ ત્યારે ન્યૂ જર્સીના આલ્બર્ટ જસાણીને કેમ ભૂલાય? આલ્બર્ટભાઈની “રેગ્સ ટૂ રિચીઝ” જેવી જીવન કહાણી દરેક માટે પ્રેરક બની રહે છે. ન્યૂ જર્સીમાં “રોયલ આલ્બર્ટ પેલેસ” તો આલ્બર્ટભાઈની સફળતાનું એક પ્રતીક. આપણે ગુજરાતી તરીકે આલ્બર્ટ જસાણીને સલામ કરીએ તેમના સરદાર પટેલના બેનમૂન “સ્મારક” માટે! સરદાર પટેલના સ્ટેચ્યુ દ્વારા આલ્બર્ટ જસાણીએ મહાન ગુજરાતી સપૂત સરદાર પટેલનું જ નહીં, પણ ગુજરાતનું નામ અમેરિકામાં, સારાયે વિશ્વમાં રોશન કર્યું છે. આવા તો ઘણા ગુજરાતીઓએ વિદેશમાં ગુજરાતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. નામી-અનામી આ સૌ ગુજરાતી મિત્રોને સલામ!
મારા ગુજરાતી મિત્રો! તમે પ્રસિદ્ધિમાં હો કે ન હો, તમારી કર્તવ્યનિષ્ઠા દ્વારા ગુજરાતનું અને હિંદુસ્તાનનું સત્વ સર્વત્ર પ્રગટાવતા રહેજો!
અનામિકા! કોઈ ગુજરાતીની નોંધપાત્ર વિગત જાણવા મળે કે તરત મને લખજે. આપણે જરૂરથી તેમની વાતો મિત્રો-વાચકો સુધી પહોંચાડતા રહીશું. સસ્નેહ આશિષ.
4 comments January 17, 2007