Posts filed under ‘વિષય: સાહિત્ય’

અનામિકાને પત્ર: 1205

.

.

પ્રિય અનામિકા,

યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની,  ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી.

વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ જીવનવ્યવહાર માટે શેર બજારમાં શેર બ્રોકર તરીકે તકદીર અજમાવ્યું. ફાજલ સમયમાં તેમણે જાણવા જેવી હકીકતોની નોંધ રાખવી શરૂ કરી; વળી સાહિત્યસર્જન પણ શરૂ કર્યું.

1859માં સ્કોટલેંડ – ઇંગ્લેન્ડ સુધી લાંબી સમુદ્રયાત્રા કરી. તે સમયે ઇંગ્લેન્ડમાં લંડનના પોર્ટ પર  બંધાઇ રહેલ વિશ્વવિખ્યાત જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ જૂલે વર્નના દિલમાં વસી ગયું.  તું કદાચ જાણતી હોઇશ, અનામિકા! તે જમાનાના સૌથી મોટા આ મહાતોતિંગ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’નો ઉપયોગ પાછળથી પ્રશાંત મહાસાગર – એટલાંટિક સમુદ્ર (Atlantic Ocean) ના તળિયે ટેલિગ્રાફ કેબલ્સ બિછાવવામાં થયો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસ પછી તેમની કલ્પનાને નવી પાંખો ફૂટવા લાગી. 1861માં તેમણે બલૂનમાં આફ્રિકાના પ્રવાસની કાલ્પનિક સાહસકથા લખી. આ વાર્તા લઇને જૂલે વર્ન ફ્રેંચ પ્રકાશક હેઝલ પાસે પહોંચ્યા. સ્ટોરી વાંચી હેઝલે તેને વિસ્તૃત નવલકથા રૂપે લખવા સૂચન કર્યું. તે સાહસ-પ્રવાસકથા વિસ્તૃત નવલકથા તરીકે ‘ફાઇવ વિક્સ ઇન અ બલૂન’ નામથી પ્રકાશિત થઇ. તેને વાચકોનો ભારે  પ્રતિસાદ મળ્યો. બસ , અનામિકા,  તે પછી જૂલે વર્નની કલમ ક્યારેય રોકાઇ નહીં અને વિશ્વને લેખક–પ્રકાશકની એક અમર જોડી મળી.

જૂલે વર્નની ઘણી ખરી કૃતિઓ પહેલાં સામયિકોમાં સિરિયલ રૂપે અને ત્યાર બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. સાહસકથા – વિજ્ઞાનકથાઓ ઉપરાંત તેમને નાટકમાંથી પણ ધૂમ કમાણી થઇ. તેમણે બ્રિટીશ જહાજ ‘ગ્રેટ ઇસ્ટર્ન’ પર મુસાફરી કરી ઘણી પ્રેરણા મેળવી. જૂલે વર્ન પોતાનાં અંગત શીપ  ‘સેંટ માઇકલ’’ જહાજ પર મુસાફરી કરતાં કરતાં લખતાં.

તને જાણીને દુ:ખ થશે, અનામિકા, કે તેમની પાછલી જિંદગી ઉપાધિઓના ઘેરામાં વીતી. જેણે જૂલે વર્નનાં પુસ્તકોને દુનિયા સમક્ષ મૂક્યાં તે પ્રકાશક મિત્ર હેઝલ, પ્રેમાળ માતા અને આત્મીય ભાઇ સ્વર્ગે સિધાવ્યાં. કાન અને આંખો દગો દેવા લાગ્યાં. અર્ધપાગલ ભત્રીજાએ આકસ્મિક રીતે પગમાં ગોળી મારી તેમને લંગડાતા કરી દીધા હતા. ડિપ્રેશનમાં આવીને જૂલે વર્ન  પોતાનો પત્રવ્યવહાર, નોંધો, નોટબુક્સ, કેટલીક પ્રકાશિત- અપ્રકાશિત હસ્તપ્રતોનો કીમતી ખજાનો નાશ કરતા ગયા. 25 માર્ચ 1905ના દિવસે જૂલે વર્ન દુનિયા છોડી ગયા.

જૂલે વર્નનાં ખ્યાતનામ પુસ્તકોમાં ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’  (1864), ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મુન’ (1865), ‘ટ્વેંટી થાઉઝંડ લીગ્સ અંડર ધ સી’ (1869) તેમજ  ‘અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ’ (1872)નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં છે. વિજ્ઞાનકથાઓના સાહિત્યમાં જૂલે વર્ન અમર રહેશે!

સસ્નેહ આશીર્વાદ.

* ** *

March 29, 2012 at 10:17 am Leave a comment

અનામિકાને પત્ર: 1204

.

.

પ્રિય અનામિકા,

યુનાઇટેડ આર્ટિસ્ટ્સના ઉલ્લેખ સાથે તેં “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ”  (Around the World in Eighty Days) ફિલ્મને યાદ કરી અને મને આપણી ગુજરાતી ભાષાના મહાન સેવક મૂળશંકર ભટ્ટ યાદ આવ્યા. તું વિચારમાં પડી જઇશ કે વાત ક્યાં ફિલ્મથી શરૂ થઇ અને હું ક્યાં સાહિત્ય સર્જક મૂળશંકર ભટ્ટ સુધી પહોંચ્યો!

“અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ” (1957) દિગ્દર્શક માઇક ટોડની ફિલ્મ. ડેવિડ નિવેન અને શર્લિ મેકલિન જેવા કલાકારો સાથે હોલિવુડની મોટા ફલક પરની ફિલ્મ. તેની ફરી ક્યારેક વાત. આજે તને “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ” પુસ્તકના વિશ્વવિખ્યાત ફ્રેંચ લેખક જૂલે વર્નની વાત કરું.

નવ દસ વર્ષની ઉંમરે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં જૂલે વર્ન સાથે મારી દોસ્તી થઇ. જૂલે વર્ન સાથે અમને દોસ્તી કરાવનાર મૂળશંકર ભટ્ટ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિની જવાબદારીઓની સાથે મૂળશંકરભાઇનું  વિપુલ સાહિત્યસર્જન ભારે પ્રશંસનીય, તેમાંયે   ફ્રેંચ લેખક જૂલે વર્નનાં પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને મૂળશંકરભાઇએ કમાલનું કામ કર્યું છે. ‘સાગર સમ્રાટ’ તથા કેપ્ટન નેમો અને સબમરીન નોટિલસ, ‘80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા’ તથા ‘ચંદ્રલોકમાં’ કેમ કરી ભૂલાય? અનામિકા! આજે જિંદગીના છ દાયકા વીતવા આવ્યા  છે, ત્યારે મારી ભીની આંખોમાં મૂળશંકરદાદા પ્રત્યે કૃતજ્ઞતા છલકાય છે. વિજ્ઞાન આધારિત સાહસકથાઓમાં ગુજરાતી બાળકોની રુચિ વધારનાર મૂળશંકરદાદા પ્રતિ સમગ્ર ગુજરાત હંમેશા ઋણી રહેશે.

તને જૂલે વર્નની વાતમાં રસ પડશે! સાયંસ ફિક્શનના પ્રણેતાઓમાં એચ. જી. વેલ્સ અને જૂલે વર્નનાં નામ મોખરે આવે. જૂલે વર્ન વિજ્ઞાનકથાઓના જનક. તેમની કલ્પના શક્તિ અને કોઠાસૂઝ અજબની. જે જમાનામાં ઇલેક્ટ્રિક યંત્રો, પેટ્રોલ એન્જીન,  મોટરબોટ કે એરોપ્લેન ન હતાં ત્યારે જૂલે વર્નની નવલકથાઓમાં સબમરીન દ્વારા સમુદ્રના પેટાળની મુસાફરી અને અવકાશ યાન દ્વારા ચંદ્રના પ્રવાસની  કલ્પનાકથાઓ  આલેખાઇ હતી. તે કથાઓમાં કેટલાક હકીકત–દોષ હોવા છતાં તેમાંની ઘણી કલ્પનાઓ આજના વિજ્ઞાનયુગમાં નક્કર હકીકત બની તે સત્ય રોચક નથી?

સસ્નેહ આશીર્વાદ.

* ** *

March 17, 2012 at 9:46 am Leave a comment

અનામિકાને પત્ર: 43

.

પ્રિય અનામિકા,

ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે.

આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું?

હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘કુમારસંભવમ્’ તો પ્રથમ હરોળમાં જ હોય ને! મેઘદૂતમાં રામગિરિ પર્વત પર બેઠેલો યક્ષ હતો તો હિમાલયનો નિવાસી. હિમાલયની અલકાનગરીના રાજવી કુબેર અને કુબેરના ચિત્રરથ બાગનો રક્ષક તે આપણો ભગ્નહૃદયી યક્ષ. મેઘદૂત એટલે હૃદયના તારોને ઝણઝણાવી જતી કથા.

અનામિકા! હિમાલયની યાદ અપાવતી કાલિદાસની અન્ય કૃતિ તે કુમારસંભવ.

સાહિત્યનાં વિવિધ રસોમાં તરબોળ કુમારસંભવની કથા પરાકાષ્ઠાએ રૌદ્ર રસ અને વીર રસ દ્વારા રોમાંચ પ્રેરે છે.

પર્વતરાજ હિમાલયનાં લગ્ન મેનકા સાથે થયાં હતાં. મેનકાના ગર્ભમાં પ્રજાપિતા દક્ષની દુહિતા સતીએ પ્રવેશ કર્યો.. તું જાણે છે, અનામિકા, કે પૂર્વજન્મમાં દક્ષપુત્રી સતી ભગવાન શિવજીનાં ધર્મપત્ની હતાં. આ જન્મમાં સતીજી પર્વતરાજનાં પુત્રી તરીકે અવતર્યાં, તેથી પાર્વતી કહેવાયાં. નારદ મુનિએ પાર્વતીજી આ જન્મમાં પણ ભગવાન શંકરનાં અર્ધાંગિની બનશે તેવી ભવિષ્યવાણી કરી. યૌવના પાર્વતીજી તપમાં લીન મહાદેવ શંકરની સેવામાં રત થયાં.

તે સમયે તારકાસુર નામક મહાબલી રાક્ષસ સર્વત્ર મહાત્રાસ વર્તાવી રહ્યો હતો. તારકાસુરથી ત્રસ્ત, ભયભીત દેવરાજ ઇંદ્રને બ્રહ્માજીએ સૂચન કર્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને તેમનો જે કુમાર (પુત્ર) સંભવે, તે મહાપરાક્રમી કુમાર જ તારકાસુરનો વધ કરી શકશે. દેવરાજ ઇંદ્રના અનુરોધથી કામદેવ તથા ઋતુરાજ વસંતની લીલાથી  શિવજીના તપમાં ભંગ થયો. તપભંગ થવાથી કોપિત મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને તેમાંથી પ્રગટેલ ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મીભૂત થયા. પણ સાથે જ, શિવજીને પાર્વતીજી પર અનુરક્તિ જાગી.

ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો. પાર્વતીજીએ પરમ વીર, તેજસ્વી પુત્ર કાર્તિકેયને જન્મ આપ્યો. યુવાવસ્થામાં મહા વીર કાર્તિકેય દેવોના સૈન્યના સેનાપતિ બન્યા. કાર્તિકેયની નિશ્રામાં દેવસેનાએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું.

સ્વયં કાર્તિકેય અને તારકાસુર વચ્ચે મહાસંગ્રામ થયો. ભારે શૌર્ય દાખવી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો.

અધર્મ, અનીતિનો પરાજય થયો. સંસારમાં પુનઃ ધર્મની સ્થાપના થઈ. અનામિકા! મહાકવિ કાલિદાસના કુમારસંભવની ગાથા તારી ડાયરીમાં ટપકાવી લેજે.

સસ્નેહ આશીર્વાદ.

.

August 25, 2008 at 3:20 pm 3 comments

અનામિકાને પત્ર: 31

.

પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે.

કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી જર્નલ વધારે સ્પર્શી ગઈ છે.

કેથેરાઇન મેન્સફિલ્ડ ન્યૂઝીલેંડના વતની.

અનામિકા! ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે.

ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ.

બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે.

અનામિકા! કેથેરાઇનના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે  કેથેરાઇન અભ્યાસાર્થે લંડન (ઇંગ્લેન્ડ) આવ્યાં. લંડનની ક્વીન્સ કોલેજમાં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી.

અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે વેલિંગ્ટનના બંધનોમાં ક્યાંથી લાગે? કેથેરાઇન ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં. ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!

અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું.

ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં જહોન મરી નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો

તેમણે ફ્રાન્સમાં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં.

આખરી દિવસોમાં કેથેરાઇન ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં.

ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન (ફોન્ટેન્બ્લો-એવન, પેરિસ) ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ હેમરેજ-  થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું.

અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.

તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ પુસ્તક પ્રગટ થયું.

ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે.

અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.

*   *    **    *   **

Katherine Mansfield (1888 – 1923) 

Wellington, New Zealand  

John Murry  

Gurdjieff   

Institute for the Harmonious Development of Man  

Fontainebleau-Avon, Paris, France

.

October 24, 2007 at 9:10 am Leave a comment

અનામિકાને પત્ર: 18

પ્રિય અનામિકા,

તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.

આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.

તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?

નાનકડો જવાબ આપું?

સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.

આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?

સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * * * * *

April 30, 2007 at 7:22 am 3 comments

અનામિકાને પત્ર: 7 Anamika: 7

.

પ્રિય અનામિકા,

તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.

તારા યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર અબ્રાહમ લિંકનને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર આંતરવિગ્રહ (1861-1865)ને કેમ ભૂલાય?

સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) દ્વારા લખાયેલ “અંકલ ટોમ્સ કેબિન”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતો રહું છું.

આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)

અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.

હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!

નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.

નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. ભરબજારે બેડીઓથી જકડાયેલ અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.

હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે વોશિંગ્ટનના “નેશનલ એરા” માં પ્રસિદ્ધ થવી શરૂ થઈ (1851) અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન પાસે વિકલ્પ ન હતો. અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (1861-65). ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.

કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!

ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?

“Beloved”ની કહાણી જુદી છે. પરંતુ, અનામિકા! હવે તું તારી આગવી દ્રષ્ટિથી તેને મૂલવી શકીશ. વિચારજે અને તારા મિત્રો સાથે ચર્ચા કરજે. … સસ્નેહ આશીર્વાદ.

December 23, 2006 at 4:10 am Leave a comment

અનામિકાને પત્ર: 5

.

પ્રિય અનામિકા,

ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.

વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા……

1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.

મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં હોય છે. કૂતુહલવશ ટોસ્ટોય પણ ભીડ પાસે પહોંચે છે. આઘાત પામે છે. એક સ્વરૂપવાન યૌવનાનો મૃતદેહ પડેલો છે. યુવતી ટ્રેઈન નીચે કૂદીને કપાઈ ગઈ છે. પોલિસ પૂછપરછ કરી રહી છે.

ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.

તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના કેરેનિના”.

ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.

અન્નાના લગ્ન થયા છે એલેક્સી સાથે. પતિ-પત્ની પિટર્સબર્ગમાં રહે છે.

એલેક્સી ઉંમરમાં અન્ના કરતાં વીસેક વર્ષ મોટો છે. ઊંચી પદવી પર ઓફિસર છે. માન-મરતબો છે. નામ છે. તે પ્રેમાળ છે, પરંતુ કારકિર્દી બનાવવામાં એવો વ્યસ્ત છે કે તેનું અંગત જીવન ખાડે જતું જાય છે. ઉષ્માવિહીન દાંપત્યજીવનથી અન્ના દુ:ખી છે. સાત વર્ષના પુત્રના સહારે તે આશા રાખીને જીવન પસાર કરતી રહે છે.

અન્નાનો ભાઈ ઓબ્લોન્સ્કી વૈભવી પાટનગર મોસ્કોમાં રહે છે. ઓબ્લોન્સ્કીને વગદાર શ્રીમંતો સાથે ઘરોબો છે. કિટ્ટી તેની યુવાન સાળી છે, જે પોતાનું મિત્ર-વર્તુળ વધારી રહી છે. કિટ્ટી બે શ્રીમંતોથી આકર્ષાઈ છે, પરંતુ તેને સમજાતું નથી કે તે કોના પ્રેમમાં છે…..એક છે ઉમરાવ કાઉન્ટ વ્રોન્સ્કી; બીજો છે જમીનદાર લેવિન. રંગીન મિજાજ વ્રોન્સ્કી ભ્રમરવૃત્તિનો છે. લેવિન વિચારશીલ, ઠરેલ પ્રકૃતિનો છે.

એક વાર અન્ના મોસ્કો પોતાના ભાઈ ઓબ્લોન્સ્કીને ત્યાં આવે છે. બસ, પાર્ટી અને મોજશોખમાં તે ડૂબી જાય છે. તેના શુષ્ક જીવનમાં કૂંપળો ફૂટવા લાગે છે. એક ડાન્સ પાર્ટીમાં વ્રોન્સ્કી કિટ્ટીને પડતી મૂકી અન્નાને પોતાની પાર્ટનર બનાવે છે.

બસ, આ ટર્નિગ પોઈંટ છે. અન્ના વ્રોન્સ્કીના મોહક ઈશ્કમાં પાગલ બની બેસે છે. ભારે હૈયે પતિગૃહે પાછી તો ફરે છે, પણ ઘણું બધું ખોઈને … તેની પાછળ પાછળ વ્રોન્સ્કી પણ પિટર્સબર્ગ પહોંચે છે. અન્નાના દાંપત્યજીવનમાં તોફાન જાગે છે. પતિ સમજાવે છે; અન્ના અંધ થતી જાય છે. સમાજમાં બદનામીના ડરથી એલેક્સી પત્નીને તલાક આપવા તૈયાર નથી. મજબૂર થઈ લાચાર એલેક્સી અન્નાની બેવફાઈ નિભાવ્યે જાય છે.

મોસ્કોમાં કિટ્ટી સમજદારીથી જીવન સંભાળી લે છે. તે ધીર, ગંભીર લેવિન સાથે પોતાનો સંસાર સજાવી લે છે. તેમનું દાંપત્ય જીવન સુખી બને છે.

અન્ના તમામ મર્યાદાઓ તોડીને વ્રોન્સ્કીને સર્વસ્વ અર્પણ કરે છે અને વ્રોન્સ્કીની પુત્રીને જન્મ આપે છે. પરંતુ લગ્નવિચ્છેદ સિવાય અન્ના વ્રોન્સ્કીનો સંસાર સજાવે કેવી રીતે? એલેક્સી તલ્લાક માટે તૈયાર નથી. પતિ અને પ્રેમી વચ્ચે અન્ના પિસાતી રહે છે….. રિબાતી રહે છે. છેવટે ધસમસતી ગુડ્ઝ ટ્રેઈન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવે છે.

ટોલ્સ્ટોયની આ કરૂણાંતિકા “અન્ના કેરેનિના” ઘણી પ્રસિદ્ધિ પામી છે.

વર્તમાન સમયમાં ગુજરાતી યુવાન-યુવતીઓ વિશ્વના ‘ક્લાસિક’ સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોવાનું ઘણી વખત કહેવાય છે. તેઓ ઘણી વાર પ્રશ્નો કરે છે: સર, અમે શું વાંચીએ? કદાચ ગદ્ય કરતાં પદ્ય તરફ ઝોક વધ્યો છે. ભલે; તેમાં ખોટું કાંઈ નથી. પણ ‘ક્લાસિક’ ગદ્યનો રિશ્તો પણ રહેવો જોઈએ. દોસ્તો! મુનશી અને દર્શક વાંચો; શરદબાબુ અને પ્રેમચંદ વાંચો …. રોમાં રોલાં કે દોસ્તોએવ્સ્કી પણ વાંચો ….. જો બધાની કૃતિઓ વાંચવી શક્ય ન હોય તો તેમના વિષે જાણવાનું તો ન જ ચૂકો. કૃતિઓ અને કૃતિકારનો સાધારણ પરિચય તો અવશ્ય મેળવો જ. તે તમારા જીવનમાં રંગ પૂરશે! બસ, મારે આટલું જ જોઈએ છે!

સસ્નેહ આશીર્વાદ .

December 21, 2006 at 3:53 am Leave a comment


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.