Posts filed under 'સિરિમાવો બંડારનાયક'

અનામિકાને પત્ર: 22

.
પ્રિય અનામિકા!
સ્ત્રી અબળા કે સબળા? સમાજમાં સ્ત્રીનું સ્થાન શું?

પ્રાચીન કાળથી બહુચર્ચિત પ્રશ્ન છે. સમય સમય પર ઘણા વિચારકો અને સમાજશાસ્ત્રીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં રહ્યાં છે.

ભારત વર્ષમાં એક કાળે સ્ત્રી શાસ્ત્રાર્થ કરતી. ગાર્ગીને આપણે ક્યાં નથી જાણતાં? વૈદિક સમયથી અર્વાચીન સમય સુધી સમાજમાં સ્ત્રીરત્નો પાકતાં રહ્યાં છે, જે સમાજને, દેશને રાહ ચીંધતાં રહ્યાં છે.

અનામિકા! વિશ્વમાં મહાન સ્ત્રીઓએ કેવું અનોખું યોગદાન આપ્યું છે! જગતના વિવિધ દેશોનાં નારીરત્નોનું સ્મરણ થતાંવેંત રોમાંચ થઈ આવે છે. રાજકારણના મહાપેચીદા ક્ષેત્રે મહિલાઓએ કેટલીક મહિલાઓએ અસામાન્ય સંજોગોમાં અસાધારણ પડકારોનો સામનો કર્યો છે અને ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે.

અનામિકા! તાજેતરના દાયકાઓ પર નજર નાખીએ.

આપણી પહેલી નજરે ચઢે છે આપણા પાડોશી દેશ સિલોન(હવે શ્રી લંકા) (Ceylon, now Sri Lanka)ના પ્રથમ મહિલા વડાપ્રધાન સિરિમાવો બંડારનાયક (બંદારનાયક કે ભંડારનાયક) (Sirimavo Bandaranaike).

ઈ.સ. 1916માં જન્મેલા સિરિમાવોનાં લગ્ન ચોવીસ વર્ષે તત્કાલીન સિલોનના એક પ્રધાન સોલોમન બંડારનાયક સાથે થયાં. તે પછી સિલોન આઝાદ થયું અને સ્વતંત્ર દેશના વડાપ્રધાન સોલોમન બન્યા. 1959માં સોલોમનની હત્યા થતાં સિરિમાવો વિધવા બન્યા. તું માની શકીશ, અનામિકા? ડરી જઈ બેસી રહેવાને બદલે સિરિમાવોએ વિધિનો પડકાર ઝીલ્યો.

1960ની ચૂંટણીમાં સિરિમાવો બંડારનાયક સિલોનના જ નહીં, સમગ્ર વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં. 1960-65 તથા બીજી વાર 1970-77 દરમ્યાન સિરિમાવો બંડારનાયક શ્રી લંકા (પહેલાનું સિલોન)ના વડાપ્રધાનપદે રહ્યાં.

અનામિકા! રસપ્રદ વાત એ કે તેમનાં પુત્રી ચંદ્રિકા બંડારનાયક પણ તેમનાં જ પગલે ચાલ્યાં પિતા સોલોમનની હત્યા થઈ ત્યારે ચંદ્રિકાની ઉંમર માત્ર ચૌદ વર્ષની. તે પછી ચંદ્રિકાની સગાઈ થઈ. રે નસીબ! તે યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું. 1978માં 33 વર્ષની ચંદ્રિકાનાં લગ્ન શ્રી લંકાના લોકપ્રિય અભિનેતા વિજય રણતુંગા સાથે થયાં.

કહે છે ને કે ઈતિહાસ પુનરાવર્તિત થતો રહે છે. 1988માં પતિ વિજય રણતુંગાની હત્યા થતાં ચંદ્રિકા વિધવા બન્યાં. પરંતુ પોતાની માતાની જેમ હિંમત દાખવી પડકાર ઝીલતાં ઝીલતાં છેવટે શ્રી લંકાના વડાપ્રધાન બન્યાં.

પિતા, માતા અને પુત્રી ત્રણે ય વડાપ્રધાનપદે રહ્યાં હોય તેવું વિશ્વનું આ એક માત્ર ઉદાહરણ શ્રી લંકાના બંડારનાયક કુટુંબનું છે.

બંડારનાયક કુટુંબની કહાણી અહીં પણ અટકતી નથી. પાછળથી આ કહાણીમાં સત્તાલાલસા ભળે છે.

1994માં ચંદ્રિકા રણતુંગા બંડારનાયક શ્રી લંકાના પ્રમુખ બન્યાં અને તેમનાં માતા સિરિમાવો બંડારનાયક ફરી એક વાર દેશનાં વડાપ્રધાન બન્યાં. આ વળી એક વિરલ ઘટના!

અનામિકા! હજી અન્ય બેએક મહિલાઓની વાત તને લખવી છે. પણ બહાર મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાં ભેજ ખૂબ છે અને કોમ્પ્યુટરને આરામની જરૂર છે. રાત્રિનો અંધકાર મને ઠંડીની ચાદર ઓઢાડી રહ્યો છે. હું પણ જરા આરામ કરી લઉં? સસ્નેહ આશીર્વાદ.

.

1 comment August 14, 2007


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

હરીશ દવે on અનામિકાને પત્ર: 54
Pancham Shukla on અનામિકાને પત્ર: 49
PARESH on અનામિકાને પત્ર: 50
esha on અનામિકાને પત્ર: 50
santhosh on અનામિકાને પત્ર: 50
હિમાંશુ કીકાણી on અનામિકાને પત્ર: 50
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 49
Pinki on અનામિકાને પત્ર: 47

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats