Posts filed under ‘સ્વપ્નવાસવદત્તા’

અનામિકાને પત્ર: 25

.

પ્રિય અનામિકા,

સંસ્કૃત સાહિત્ય અંગે હું મૌન કેમ છું, તેવો તારો પ્રશ્ન મને તદ્દન વ્યાજબી લાગે છે. મેં ક્યારેય સંસ્કૃત સાહિત્યની મહાન કૃતિનો પરિચય નથી કરાવ્યો? મારી જ ભૂલ.

સવાલ હંમેશા રહે છે કે કોઈ પણ મહાન સાહિત્યકૃતિનો આસ્વાદ એક પત્રમાં કઈ રીતે કરાવવો? કૃતિ સંક્ષિપ્ત કરવામાં ઘણા પાત્રોને અને પ્રસંગોને આછા-પાતળા સ્વરૂપમાં ઢાળવા પડે; જાણ્યે-અજાણ્યે અન્યાય થઈ જાય કે રસભંગ પણ થઈ જાય. તેથી પહેલાં જ ક્ષમાયાચના કરી લેવા દે!!

આમ છતાં મેં વાંચેલી ઉત્તમ સાહિત્યકૃતિઓનો પરિચય તને કરાવવાનો લોભ છૂટતો નથી! શાળાભ્યાસ દરમ્યાન સંસ્કૃત સાહિત્યકૃતિઓના કેટલાક અંશો મૂળ રૂપમાં વાંચ્યા. પણ સાચી મઝા તો સંપૂર્ણ કૃતિઓના ગુજરાતી અનુવાદો/ રૂપાંતરો વાંચવામાં જ આવી. સંસ્કૃત ભાષાના મહાન સર્જકો કાલિદાસ, ભવભૂતિ, ભાસ, માઘ આદિની પ્રસિદ્ધ કૃતિઓ ગુજરાતીમાં કિશોરાવસ્થામાં હોંશે હોંશે વાંચી. હતી. મેઘદૂત, કુમારસંભવ અને શકુંતલા તો કદી ન ભૂલાય.

આજે તો તને સ્વપ્નવાસવદત્તા (“સ્વપ્નવાસવદત્તમ્ ”) ની અતિ સંક્ષિપ્ત કથા કહીશ. પછી તારે પૂરું નાટક વાંચવું જ પડશે.

સ્વપ્નવાસવદત્તમ્ ઈસ્વીસન પૂર્વે ચોથી સદીના મહાન સંસ્કૃત સર્જક ભાસની અનુપમ નાટ્યકૃતિ છે.

તેનાં મુખ્ય પાત્રો છે રાજા ઉદયન,, તેની રાણી વાસવદત્તા તથા અમાત્ય યૌગંધરાયણ.

વત્સ દેશની રાજધાની કૌશાંબીના રાજા ઉદયન સામર્થ્યવાન અને ગુણવાન હોવાથી તેમની કીર્તિ ચતુર્દિશ ફેલાયેલ હતી. ઉદયનની યશગાથાથી ઉજ્જૈનના રાજા પ્રદ્યોત ચંડમહાસેન પ્રભાવિત થયા. સ્વાર્થવશ રાજા મહાસેને કૌશાંબીનરેશ ઉદયનને કેદી બનાવ્યો.

મહાસેનને એવી ઈચ્છા કે પોતાની રાજકુમારી વાસવદત્તાને ઉદયન વીણાવાદન શીખવે; યુવાન હૈયાં વચ્ચે પ્રીતિ જાગે અને બંનેનાં લગ્ન થાય! પરંતુ પિતાની યોજનાથી વાસવદત્તા અજાણ હતી. સંગીત શીખતાં ઉદયન અને વાસવદત્તા પ્રેમમાં પડ્યાં તો ખરાં, પણ મહાસેનની ઈચ્છાથી અજાણ હોઈ, ડરથી ભાગી જઈને તેમણે વત્સ દેશમાં પહોંચી લગ્ન કર્યાં. વાસવદત્તાનાં માતાપિતાએ મન મનાવી લીધું.

રાજા ઉદયન અને રાણી વાસવદત્તા સ્વર્ગીય સુખ ભોગવતાં હતાં, ત્યાં શત્રુ દેશના રાજા આરુણિએ આક્રમણ કરી વત્સ દેશને જીતી લીધો. રાજા ઉદયન, રાણી વાસવદત્તા અને મંત્રી યૌગંધરાયણ વત્સ દેશ છોડી અન્યત્ર રહેવા લાગ્યાં.

નજીકના મગધ દેશના યુવાન રાજા દર્શકની બહેન પદ્માવતી રૂપવાન- ગુણવાન, શીલવાન હતી. તે જોઈ કૂટનીતિના જાણકાર યૌગંધરાયણે યોજના કરી.. જો પદ્માવતીનાં લગ્ન રાજા ઉદયન સાથે થાય, તો મગધના સમર્થ રાજાની સહાયથી રાજા ઉદયન પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવી શકે. પોતાના પતિના સુખ માટે રાણી વાસવદત્તા તમામ ભોગ આપવા તૈયાર હતી.

એક બનાવટી નાટ્યાત્મક “દુર્ઘટના” માં વાસવદત્તા અને યૌગંધરાયણ “માર્યાં ગયાં” (!); હકીકતમાં યૌગંધરાયણ અને વાસવદત્તા છૂપા વેશે સ્થળાંતર કરી ગયાં. છૂપા વેશમાં વાસવદત્તા રાજકુમારી પદ્માવતી પાસે રહી.

રાજા ઉદયનનાં લગ્ન મગધની રાજકુમારી પદ્માવતી સાથે થયાં. મગધની સહાયથી ઉદયને પોતાનો વત્સ દેશ પાછો મેળવ્યો. પછી સંયોગો ઊભા કરી, યોગ્ય સમયે યૌગંધરાયણ રાણી વાસવદત્તાને લઈ રાજા ઉદયન સમક્ષ પ્રગટ થયા.

વાસવદત્તા તથા યૌગંધરાયણ જીવંત છે જાણી રાજા ઉદયનની ખુશીનો પાર ન રહ્યો! સર્વત્ર આનંદ છવાઈ ગયો.બંને રાણીઓના પ્રેમથી પ્રસન્ન રાજા ઉદયને દીર્ઘ કાલ વત્સ દેશ પર રાજ્ય કર્યું.

કવિ ભાસની આ મહાન કૃતિ “સ્વપ્નવાસવદત્તમ્ ” માં પાત્રો, પ્રસંગો અને તેમની ગૂંથણીની ખૂબીઓ મૂળ રૂપમાં સુંદર પ્રગટ થયેલ છે.

તક મળે ત્યારે મૂળ કૃતિ તો જરૂર વાંચજે. સસ્નેહ આશીર્વાદ.

August 25, 2007 at 8:40 am 2 comments


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.