Posts filed under 'સંગીત/ચિત્ર/લલિતકલા'

અનામિકાને પત્ર: 38

.

.

 

પ્રિય અનામિકા,

અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે.

અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં 75-76ના અરસામાં, લીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) મને અનાયાસે હાથ લાગેલી. ત્યારે તે નોવેલ મેં વાંચી.

પાંચ-છ વર્ષ પછી બ્રિટીશ લાયબ્રેરી (અમદાવાદ)માં એક મેગેઝિનમાં ફિલ્મ ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) નો આસ્વાદ વાંચ્યો હતો. રોબર્ટ મુલિગનના દિગ્દર્શનમાં બનેલી ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) પ્રશંસા પામી. કમનસીબે મને આ ફિલ્મ જોવા નથી મળી. (જો કે અમદાવાદમાં રોબર્ટ મુલિગનની અન્ય  ફિલ્મ સમર ઓફ 42 કદાચ 74-75માં જોયેલી).

અનામિકા! ટુ કિલ અ મોકિંગ બર્ડ ફિલ્મમાં મને રસ પડ્યો હોલિવુડના અભિનેતા ગ્રેગરી પેકના લીધે. તે ફિલ્મમાં લોયર એટીકન ફીંચના પાત્રમાં ઉત્તમ અભિનય માટે ગ્રેગરી પેકને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર (એકેડેમી એવોર્ડ) મળ્યો.

ગ્રેગરી પેકના યાદગાર અભિનયવાળી બે ફિલ્મો મને ફટાકથી યાદ આવે છે. એક તો આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉન્ડ, તથા બીજી ધ ગન્સ ઓફ નેવરોન.

60 ના દાયકાના અંતમાં, ધ ગન્સ ઓફ નેવરોન પ્રથમ વખત જોયેલી તેવું આછું આછું યાદ આવે છે. ધ ગન્સ ઓફ નેવરોન માં કેપ્ટન કીથ મેલરી તરીકે ગ્રેગરી પેકનો અભિનય જાનદાર હતો. ફિલ્મમાં એન્થની ક્વિન તથા એન્થની ક્વેલ પણ મઝાનો અભિનય આપી ગયા.

આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉંડ 80 ના દશકમાં દૂરદર્શન પર જોવા મળી હતી. અનામિકા! દૂરદર્શનનું નામ સાંભળીને ચમકી ગઈ ને? જરૂર નવાઈ લાગે, અનામિકા! પણ તે અરસામાં દૂરદર્શન પર દેશી-વિદેશી સર્વોત્કૃષ્ટ ફિલ્મો પ્રસારિત થઈ. હોલિવુડની સ્પેલબાઉંડમાં ગ્રેગરી પેક સામે પ્રતિભાવાન અભિનેત્રી ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય હતો. સ્પેલબાઉંડ આલ્ફ્રેડ હિચકોકની ચિરસ્મરણીય ફિલ્મ બની રહી છે. 

છેલ્લે- ગ્રેગરી પેક વિશે એક વાત ઉમેરું. અનામિકા! હોલિવુડની મશહૂર અભિનેત્રી  ઓડ્રી હીપબર્નની ડેબ્યુ ફિલ્મ વિશે તું જાણે છે?

ઓડ્રી હીપબર્નની પ્રથમ ફિલ્મ પેરેમાઉંટ પિક્ચર્સની રોમન હોલિડે. હોલિવુડના મશહૂર ફિલ્મ દિગ્દર્શક વિલિયમ વાયલર (બેન હર  ફેઈમ ડાયરેક્ટર) ની ફિલ્મ રોમન હોલિડેમાં અભિનેત્રી તરીકે પ્રથમ વાર ચમકતી ઓડ્રી હીપબર્નને આ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર (એકેડેમી) એવોર્ડ મળ્યો. રોમન હોલિડેમાં હીરોઇન ઓડ્રી હીપબર્ન અને હીરો તરીકે ગ્રેગરી પેક.

 

અનામિકા! કેવી કેવી મઝેદાર છે આ બધી વાતો! આવી અવનવી જાણકારી સાથે ફિલ્મોને માણવાની મઝા કોઈ ઓર જ હોય છે. સસ્નેહ આશીર્વાદ.


Add comment April 30, 2008

અનામિકાને પત્ર: 37

.

*

પ્રિય અનામિકા,

વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !

તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.

હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ -  તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!

આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.

થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.

રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ - જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.

‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.

અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.

બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક - સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો.  અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!

સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.

જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.

1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.

 આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?

અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.

*  *  *


Add comment March 9, 2008

અનામિકાને પત્ર: 36

.

પ્રિય અનામિકા,

લાંબા સમયગાળા પછી તને પત્ર લખી રહ્યો છું.

મારી વિદ્યાર્થિની ચિ. પ્રીતિને તું જાણે છે. પ્રીતિના લગ્નપ્રસંગને કારણે અમે ઘણા વ્યસ્ત રહ્યા.

તમે ત્યાં બરફની ચાદર ઓઢીને બેઠા છો તેવો તમારો ફોન અહીં અમને ઠંડી ચડાવી ગયો છે. અઠવાડિયાથી વાતાવરણ થીજી ગયું છે. અનામિકા! ઘણા વર્ષો પછી આવી રોમ રોમ હરખાવતી ઠંડી અમે માણીએ છીએ.

અનામિકા! હવે ગયા પત્રના અનુસંધાને મુદ્દાની વાત પર આવું.

નટસમ્રાટ જયશંકર ‘સુંદરી’ 1926માં ફરી ‘મુંબઈ-ગુજરાતી નાટક મંડળી’માં જોડાયા ત્યારે ગુજરાતી પ્રજાને સિનેમા- ચલચિત્રનું ઘેલું લાગી ચૂક્યું હતું અને નાટક પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું હતું.

રમણભાઈ નીલકંઠના ‘રાઈનો પર્વત’માં યાદગાર અભિનય પછી 1932માં જયશંકર ‘સુંદરી’ પોતાને વતન ઉત્તર ગુજરાતના વિસનગર ખાતે પહોંચી ગયા. આમ છતાં, ‘સુંદરી’ પ્રસંગોપાત નાટ્યરસિકોને માર્ગદર્શન આપતા રહ્યા; રસિકલાલ પરીખ અને જશવંત ઠાકર જેવા સમર્થ નટકલા ઉપાસકોને નાટ્યપ્રવૃત્તિઓમાં ‘સુંદરી’ એ ઘણો સહયોગ આપ્યો.

1949માં ‘ગુજરાત વિદ્યાસભા’નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે રમણભાઈ નીલકંઠના અમર સર્જન ‘રાઈનો પર્વત’ના નાટ્યપ્રયોગની જવાબદારી જયશંકર ‘સુંદરી’એ લીધી. તને નવાઈ લાગશે, અનામિકા! જાલકાનું પાત્ર રમણભાઈના પુત્રી વિનોદિની નીલકંઠ દ્વારા ભજવાયું. જયશંકર ‘સુંદરી’ના દિગ્દર્શનમાં નાટક એવું સુંદર ભજવાયું કે ગુજરાતી રંગભૂમિના વિકાસ માટે ‘ગુજરાત વિદ્યાસભા’એ નક્કર આયોજન ઘડી કાઢ્યું. તે અનુસાર રંગભૂમિ માટે ‘નાટ્યવિદ્યામંદિર’ અને તેના પ્રાયોગિક ઘટક તરીકે ‘નટમંડળ’ની રચના કરી. આ સમગ્ર પ્રવૃત્તિઓના સંકલન અર્થે ગુરુપદે જયશંકર ‘સુંદરી’ની વરણી થઈ. રંગમંચના કલાકારો-દિગ્દર્શકોંની તાલીમાર્થે ‘સુંદરી’એ ભારે વિચાર-વિમર્શ પછી અભ્યાસક્રમ ઘડ્યો.

અનામિકા! ગુજરાતી રંગભૂમિની પદ્ધતિસર તાલીમ માટેનો આ પ્રથમ વ્યવસ્થિત અભ્યાસક્રમ.

ભારતમાં નાટ્યશાસ્ત્ર-રંગભૂમિની આવી સર્વાંગી, ઘનિષ્ઠ તાલીમ વિશે કોઇએ કદી વિચાર્યું નહતું.

1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં  ગુજરાતી નાટ્યકાર ચં.ચી. મહેતાના પ્રયત્નોથી નાટ્યવિભાગનો આરંભ થયો અને ડ્રામેટિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસની શરૂઆત થઈ. ઉપકુલપતિ હંસાબહેન મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની) ને પણ તેનો શ્રેય જાય છે.

એમ. એસ. યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્ર-રંગભૂમિનો સ્નાતક અભ્યાસક્રમ ઘડવા માટે જયશંકર ‘સુંદરી’નો ‘નાટ્યવિદ્યામંદિર’નો અભ્યાસક્રમ આધાર બન્યો. પછી તો જશવંત ઠાકરના પ્રયત્નોથી 1960માં અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તે પછી 1970માં અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં પણ નાટ્યવિભાગ શરૂ થયો.  આમ, જયશંકર ‘સુંદરી’એ આરંભેલ કાર્યપ્રવૃત્તિ ગુજરાતમાં આવકાર પામી.

અનામિકા! ‘સુંદરી’ના કેટલાક વિશિષ્ટ નાટ્યપ્રયોગોની વાત હવે પછી તને લખીશ.  ચિ. ગુડિયા તેના નવા એમપીથ્રી પ્લેયર પર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી તને યાદ કરે છે તેમ તેનો ફોન હતો.

ચિ. અમરને સંભાળીને ડ્રાઈવ કરવા કહેજે. તમારા બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થું છું. સસ્નેહ આશીર્વાદ.

* *  * *  * *  * *


2 comments February 3, 2008

અનામિકાને પત્ર: 30

.

પ્રિય અનામિકા,

અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર.

મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે.

પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી મારે ત્યાં આવ્યો- આવતાં વેંત પેઈન્ટિંગ સામે થીજી ગયો. મારી સામે ફરી સસ્મિત બોલ્યો – “ઈમ્પ્રેશનિઝમ? ”

મારો આ ભત્રીજો ફાઈન આર્ટસની ડિગ્રી સાથે એનિમેશનની દુનિયામાં ઊભરતી પ્રતિભા છે. ઈન્દોરમાં તે કારકિર્દી કંડારી રહ્યો છે. કાર્ટૂન – એનિમેશનના ફિલ્ડમાં તેની માસ્ટરી છે. તે પેઈન્ટિંગ પારખી ગયો.

હા, તે પેઈન્ટિંગ “ઈમ્પ્રેશનિઝમ” ના પ્રણેતા મોને (Claude Monet 1840-1926) નું છે. મોનેની પ્રખ્યાત વોટરલિલિ સિરિઝ નું ચિત્ર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિન્ટ થઈ તૈયાર થયું છે. યુરોપના પ્રવાસેથી પાછા ફરતા મારા એક કલાચાહક બાળ-મિત્ર મારા માટે લેતા આવ્યા છે. આભાર એ મિત્રનો!

કલાક્ષેત્રનો રસ જીવનપોષક હોય છે.

અનામિકા! સ્કૂલના અભ્યાસ દરમ્યાન મેં વડોદરાની બરોડા જુનિયર ચેમ્બર દ્વારા યોજિત એક રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં સર્ટિફીકેટ મેળવ્યું ત્યારથી આજ સુધી ચિત્રકલામાં મારો રસ જળવાઈ રહ્યો છે. સ્કૂલમાં “સાહિત્ય પાઠાવલિ” તથા સ્વ. ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિના ઈતિહાસમાં પણ સુંદર ચિત્રો રહેતાં. પાઠ્યપુસ્તકોએ ચિત્રકલા અને શિલ્પકલાને માણતાં શીખવ્યું.

વડોદરા હું દસેક વર્ષ રહ્યો. સમય મળ્યે હું કોઈ એક મ્યુઝિયમ પહોંચી જતો. મેં કલાકો વડોદરા સયાજી બાગ મ્યુઝિયમ અને પેલેસ મ્યુઝિયમના ચિત્રો અને શિલ્પકૃતિઓ સામે ગુજાર્યા છે.

સચિત્ર પાઠ્યપુસ્તકોના કારણે માઈકલએંજેલો (Michelangelo 1475 – 1564) , રાફેલ (Raphael 1483 – 1520) અને લિયોનાર્ડો દ વિન્ચી (વિન્શી) (Leonardo da Vinci 1452 – 1519) પર બાળપણથી ખૂબ પ્રેમ. પણ પાબ્લો પિકાસો (Pablo Picasso 1881 -1973) માં મને સાધારણ રસ પડ્યો. મારી કલાદ્રષ્ટિની મર્યાદા કે ઊણપ પણ હોઈ શકે.

પૉલ સિઝાન (સિઝન્ન) (Paul Cezanne 1839 – 1906) અને વિન્સેન્ટ વાન ગો ( વિન્સેન્ટ વાન ગોઘ Vincent Van Gogh 1853 – 1890) સ્વીકાર્ય, પણ પિકાસો નહીં.

અનામિકા! ઈમ્પ્રેશનિઝમ (Impressionism) મુવમેન્ટ ફ્રાંસમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થઈ.

સિઝાન અને રેનોર (Pierre Auguste Renoir) સાથે મોનેએ તેના પ્રસારમાં યોગદાન આપ્યું. સિઝાન જેવા ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટરની પાયાની માન્યતા કંઈક એવી કે કુદરતમાં પ્રકૃતિતત્વોનું સ્વરૂપ ભૌમિતિક આકારોમાંથી પ્રગટ થાય છે. ઈમ્પ્રેશનિસ્ટ માત્ર રંગોના લસરકાઓથી પ્રકાશની અવનવી અસરો ઊભી કરી કોઈ સબ્જેક્ટની ઝલક મેળવે છે.

પિકાસોએ વળી ભૌમિતિક આકારોમાં ચોરસ અને લંબચોરસ જેવા આકારોને પ્રાધાન્ય આપી પેઈન્ટ કરવાનું શરૂ કર્યું. પિકાસોની ચિત્રકલા-શૈલી ક્યુબિઝમ (Cubism) ને નામે ઓળખાઈ.

અનામિકા! અમૃતા શેરગીલ પર એક અતિ સુંદર સચિત્ર પુસ્તક થોડો સમય પહેલાં મેં જોયું હતું. પ્રકાશનની વિગતો યાદ નથી. ધ્યાનમાં આવશે તો તને જરૂર મોકલીશ. સસ્નેહ આશીર્વાદ.

.


1 comment September 15, 2007

અનામિકાને પત્ર: 29

.

પ્રિય અનામિકા,

તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો.

કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત!

મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?

અનામિકા! તેં અંગ્રેજી ફિલ્મો પર મારી સલાહ માગી છે. આના પર વાત માંડું તો દિવસો નીકળી જાય. તું માનીશ? અનામિકા ! 16 એમ એમ પડદા પર લોરેલ-હાર્ડીની ફિલ્મ શાળાજીવનમાં જોઈ હતી.

કોલેજમાં આવ્યા સુધી મેં ભાગ્યે જ બીજી કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ હશે. ગ્રેજ્યુએશન પછી અંગ્રેજી ફિલ્મમાં રસ પડ્યો.

અમદાવાદમાં અંગ્રેજી ફિલ્મ્સ માટે બે થિયેટર્સમાં જવાનું વધારે થતું : ભદ્ર પાસે એડવાન્સ ટોકિઝ અને આશ્રમ રોડ પર નટરાજ ટોકિઝ..

તે સમયે કલાત્મક અંગ્રેજી ફિલ્મો પ્રસિદ્ધિમાં ઓછી આવતી. મારી જોયેલી શરૂઆતની ફિલ્મ્સમાં મસાલા મુવીઝ પણ હતી. મેટ્રો-ગોલ્ડવિન-મેયર (એમજીએમ) દ્વારા નિર્મિત રિચાર્ડ બર્ટનનું “વ્હેર ઈગલ્સ ડેર”, લી માર્વિન અને સાથી બારકસોનું “ડર્ટી ડઝન”, સ્ટેન્લી કુબ્રિકનું “સ્પાર્ટકસ”, કોલંબિયાનું “ગન્સ ઓફ નેવરોન”…. સ્પાર્ટકસ અમદાવાદના રૂપાલી થિયેટરના વિશાળ 70 એમએમ સ્ક્રીન પર જોઈ હતી તેવું યાદ છે.

યુવાનીમાં, જે ફિલ્મોએ સિનેમાને કલા તરીકે જોવાની દ્રષ્ટિ આપી તેમાં સેસિલ બી. ડેમિલીની “ટેન કમાન્ડમેન્ટ્સ” અને સ્ટેન્લી કુબ્રિની “2001 : અ સ્પેસ ઓડેસી” થી લઈ જેક નિકોલસન અભિનીત “વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ”નો સમાવેશ થાય.

“ટેન કમાન્ડમેન્ટ્સ” અને “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ” અવારનવાર સ્ટાર મુવિઝ કે અન્ય ચેનલ્સ પર આવતાં રહે છે; હું જોવાનું ચૂકતો નથી!

ડેવિડ લીન ના “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ”માં એલેક ગિનેસનો યાદગાર અભિનય અને ફિલ્મની લાજવાબ સિનેમેટોગ્રાફી જીવનભર નહીં ભૂલાય “ ધ મેગ્નિફિસંટ સેવન” ના યુલ બ્રાયનર, સ્ટીવ મેક્વીન અને ચાર્લ્સ બ્રોન્સનને કોઈ ભૂલી શકે? “ગન્સ ઓફ નેવરોન” માં એંથની ક્વીન અને એંથની ક્વેઈલ સાથે ગ્રેગરી પેકના સાહસો રોમાંચક લાગતાં.

ઉત્તમ ફોટોગ્રાફીની વાત આવે તો “લોરેન્સ ઓફ અરેબિયા” અચૂક યાદ આવે. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર ફ્રેડરીક યંગ (ફ્રેડી યંગ / એફ. એ. યંગ) ની ફોટોગ્રાફી થિયેટરના વિશાળ પડદે તો ઘણી માણી હતી, છતાં આજે ચેનલ પર આ ફિલ્મ આવે ત્યારે વારંવાર માણી લેવાની ઈચ્છા રોકી શકાતી નથી.

“લોરેન્સ ઓફ અરેબિયા”નું સ્ટારકાસ્ટ એટલે …. અ…ધ….ધ…..ધ! હોલિવુડના અભિનયના મહારથીઓનો મોટો મેળો! પીટર ઓ’ટૂલી, ઓમર શરીફ, એલેક ગિનેસ, એંથની ક્વીન, એંથની ક્વેઈલ, આર્થર કેનેડી!

ફ્રેડરીક યંગની ફોટોગ્રાફી “રયાન્સ ડોટર”માં પણ સુંદર હતી. રયાન્સ ડોટરમાં આયરીશ મુગ્ધા તરીકે સારાહ માઈલ્સ હતી; ઉપરાંત પાગલ તરીકે જહોન મિલ્સનો અભિનય દાદ માગી લે તેવો હતો. ટ્રેવર હાવર્ડને મેં તે ફિલ્મમાં પ્રથમ વખત જોયા તેવું સ્મરણ છે.

હોલિવુડના ફિલ્મ સંગીતની વાત આવે તો સદાબહાર ફિલ્મ્સમાં “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”, “ફિડલર ઓન ધ રૂફ” અને “માય ફેર લેડી” અવશ્ય યાદ આવે. થીમ મ્યુઝિકમાં મારી પસંદ “ગોડ ફાધર” અને “2001 : અ સ્પેસ ઓડેસી” પર ઊતરે.

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” માં જૂલી એન્ડ્રૂઝના નટખટી અભિનય પર તો આજે ય ફિદા થઈ જવાય. દરેકે જોવા જેવી ફિલ્મ!

હોલિવુડ - અમેરિકા – ઈંગ્લેંડના ફિલ્મ ઉદ્યોગની વાત કરતા હોઈએ ત્યારે ચાર્લી ચેપ્લિન, આલ્ફ્રેડ હિચકોક અને જેમ્સ બોન્ડ વિના તો મારો પત્ર તદ્દન ફિક્કો લાગશે. બીજાં ઘણાં બધાં વિષે હું લખતો જ રહીશ તો યે અંત જ નહીં આવે! એમ તો, એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ માટે મેં હજી ક્યાં લખ્યું છે? પણ હવે તારો વારો.

અનામિકા! તેં આ પૈકી કઈ ફિલ્મ્સ જોયેલી છે? લખજે. સસ્નેહ આશીર્વાદ.


1 comment September 13, 2007

અનામિકાને પત્ર: 27

.

પ્રિય અનામિકા,

ચિ. અમર સાથે વીક-એન્ડમાં તમારી મિત્ર મંડળી સંગીત પર વિચાર વિમર્શ કરવાની છે. સરસ સમાચાર.

બિથોવન અને મોઝાર્ટ પર તો તારા અમેરિકન મિત્રો ય માહિતી આપશે.

રિચાર્ડ વેનર (Richard Wagner 1813-1883)નું નામ તમારા નવયુવાન જર્મન મિત્રના હોઠે ચડી આવ્યું તે ખુશીની વાત. બાકી આ જર્મન કોમ્પોઝર વેનરને નવી પેઢી કેટલું જાણે? વેનર વેનર

શાસ્ત્રીય જ્ઞાન વિના પણ હું પાશ્ચાત્ય સંગીતને તો માણતો રહ્યો છું. બિથોવન પર મને વિશેષ ભાવ છે જ. બી.બી.સી. (BBC) પર બિથોવનને સાંભળવામાં આનંદ આવ્યો છે. ઇન્ટરનેટ પર બીબીસીની વેબસાઈટ પર બિથોવનના ફ્રી ડાઉનલોડને કેમ બંધ કરેલ હશે?

સંગીતની દુનિયામાં મને યાન્ની પર બેહદ પ્રેમ છે. હું જ્યારે કોમ્પ્યુટર પર લખતો હોઉં છું, ત્યારે ક્યારેક સંગીત પણ સાંભળતો રહું છું.  યાન્નીનાં “ધ રેઈન મસ્ટ ફોલ (The rain must fall)” , “વ્હીસ્પર્સ ઈન ધ ડાર્ક (Whispers in the dark)” કે “ફ્લાઈટ ઓફ ફેન્ટેસી (Flight of fantasy)” સાંભળતાં સાંભળતાં લખવાની મઝા ઓર જ હોય છે!

બિથોવન અને મોઝાર્ટની તુલનામાં રિચાર્ડ વેનરથી આપણે ગુજરાતીઓ લગભગ અજાણ છીએ.

રિચાર્ડ વેનરનો જન્મ 1813માં. વેનર દંપતિનું નવમું સંતાન. એક વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. માતાએ એક પ્રેમાળ પુરુષ સાથે બીજાં લગ્ન કરતાં રિચાર્ડ વેનર અપર-પિતાની છત્રછાયામાં ઉછર્યાં. આઠ વર્ષની ઉંમરે અપર-પિતા પણ સ્વર્ગે સિધાવ્યા.

કિશોર વેનર સંગીતના અભ્યાસમાં આગળ વધતા ગયા. એકવીસ વર્ષે મ્યુઝિકની દુનિયામાં ઓરકેસ્ટ્રા કંડકટર તરીકે તેમણે નામ મેળવ્યું. પછી વ્યાવસાયિક અને અંગત જીવનમાં સફળતા અને નિષ્ફળતાની સંતાકૂકડી વચ્ચે વેનર વર્ષો સુધી યુરોપમાં રઝળપાટ કરતા રહ્યા- જર્મનીથી લેટવિયા (રશિયા), ઈંગ્લેંડ, ફ્રાંસ

વેનરની પેરિસની કારકિર્દીનાં ત્રણ વર્ષ તો દારુણ નિષ્ફળતાનાં રહ્યાં. લોકોએ તેમના સંગીત કાર્યક્રમોનો હુરિયો બોલાવ્યો!! પૈસેટકે ખુવાર થયેલા વેનરને બે વાર જેલમાં જવું પડ્યું, પણ તેમણે હિંમત ન ગુમાવી.

જિંદગીના છેલ્લા તબક્કામાં તેમની શ્રેષ્ઠ સર્જનશક્તિ બહાર આવીરહી હતી ત્યારે વેનરની મુલાકાત પ્રસિદ્ધ જર્મન તત્વચિંતક (ફિલોસોફર) ફ્રેડરિક નિત્શે (Friedrich Nietzsche) સાથે થઈ.

નિત્શે ત્યારે યુનિવર્સિટી ઓફ બેઝેલ (Basel) માં ફિલોલોજીના પ્રોફેસર હતા.

નિત્શેએ વેનરને પ્રોત્સાહન આપ્યું અને વેનરના સંગીતને લોકપ્રિય કરવા પ્રયત્નો કર્યા. આ તે સમયની વાત છે જ્યારે જર્મનીએ તાજેતરમાં જ ફ્રાંસ પર વિજય મેળવ્યો હતો. વર્સેઈના કિલ્લામાં (Palace of Versailles) “ગ્રેટ હોલ ઓફ મિરર્સ” માં  જર્મન  શહેનશાહ વિલિયમ પહેલાનો શાનદાર રાજ્યાભિષેક વિધિ થયો હતો.તે સમયે મહાન જર્મન રાજકારણી, મુત્સદ્દી, દેશભક્ત, લોહપુરુષ ઓટ્ટો બિસ્માર્ક (Otto Von Bismarck) જર્મનીના ઈમ્પીરિયલ ચાન્સેલર હતા. જર્મનીના શહેનશાહ વિલિયમ પહેલાની હાજરીમાં રિચાર્ડ વેનરનો કાર્યક્રમ ખૂબ પ્રસિદ્ધિ પામ્યો.

વેનરની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા. ત્યાર પછી લંડનમાં રોયલ આલ્બર્ટ હોલમાં વેનર ફેસ્ટીવલ યોજાયો. પરંતુ એક તરફ જ્યારે વેનરની કદર થવા લાગી ત્યારે લથડતી તબિયતના કારણે તેમની ક્રિયાશીલતામાં પણ ઓટ આવવા લાગી.

1883માં રિચાર્ડ વેનરનું અવસાન થયું.

સંગીતની દુનિયામાં રિચાર્ડ વેનરનું યોગદાન શું?

જ્યારે યુરોપિયન સંગીતના રોમેંટીક પિરિયડમાં શુબર્ટ, વેબર આદિ સંગીતકારો ગીત અને પિયાનોના મુઝિકલ પીસ (piano pieces) ને મહત્વ આપતા હતા, ત્યારે રિચાર્ડ વેનર સંગીત સાથે કથાનક કૃતિઓ રજૂ કરવામાં પ્રયત્નશીલ રહ્યા.

રિચાર્ડ વેનર દ્વારા ઓપેરામાં સંગીત સાથે કાવ્ય અને નાટ્યતત્વો (દ્રશ્ય-શ્રાવ્ય / દૃશ્ય-શ્રાવ્ય. તત્વો) ને સફળતાપૂર્વક સંયોજવામાં આવ્યાં. (His operas were highlighted not only with music but also with poetic and scenic elements)

રિચાર્ડ વેનરની તારા મિત્રોની તારી ચર્ચા ફળદાયી બનો તેવી આશા. સસ્નેહ આશીર્વાદ.

.


1 comment September 6, 2007

અનામિકાને પત્ર: 10

.

પ્રિય અનામિકા,

મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.

અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.

1870માં વડોદરાના મહારાજા ખંડેરાવ અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર જેવા વિષયોનો અભ્યાસ કર્યો.

ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.

અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.

આ જ વર્ષમાં વડોદરા કોલેજનો પાયો નખાયો.

વડોદરા કોલેજ આજે એમ. એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. લલિત કલાઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું કલાભવન જગપ્રસિદ્ધ બન્યું.

વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, રાજા રવિવર્મા, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી …. અને બીજા ઘણા બધા!.

મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.

અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.


3 comments January 3, 2007


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

સુરેશ જ… on અનામિકાને …
સુરેશ જ… on અનામિકાને …
અનિમેષ … on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
સુરેશ on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats