.
.
પ્રિય અનામિકા,
તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ!
આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ.
તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ, અને વિચારીએ; આ વ્યવસ્થા સર્જાય છે વિચારશીલતાથી, કર્તવ્યશીલતાથી, સર્જનશીલતાથી.
વિશ્વવ્યવસ્થાનાં કેટલાંક પરિબળો છે, પરંતુ સાચું પૂછો તો દુનિયાને દોરવે છે થોડા મૂઠી ઊંચેરા માનવી. નોખી ભાત પાડતા અસાધારણ ચરિત્રો.
આ વિરલા એક તેજ લિસોટા સમાન જીવન જીવી જાય છે; સમાજમાં તરંગો જગાવી જાય છે; સદીઓને ઝળાંહળાં કરી જાય છે.આ વિરલાઓ વિચારક હોય છે, સર્જક હોય છે, પથ-પ્રદર્શક હોય છે. તેમનાં વિચારો, તેમનાં કાર્યો, તેમની કૃતિઓ ઈતિહાસનાં નવાં પૃષ્ઠો રચે છે. ફલત: સંસ્કૃતિનું આલેખન થતું રહે છે, જતન પણ થતું રહે છે.
પ્રાચીન કાળથી આજ સુધી વિભિન્ન પ્રદેશોમાં પથપ્રદર્શક જન્મતા જ રહ્યા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ વિરલાઓનું અદભુત યોગદાન રહ્યું છે. તેમની સપૂર્ણ યાદી કઈ રીતે બનાવી શકાય? અસંભવ!
આપણા અતિપ્રાચીન વૈદિક કાળના ઋષિ-મુનિઓથી લઈ મહર્ષિ અરવિંદ, સોક્રેટિસ થી નિત્શે, વાલ્મિકીથી કાલિદાસ, એરિસ્ટોટલથી આઈન્સ્ટાઈન, હોમર, શેક્સપિયર, ચંદ્રગુપ્ત-ચાણક્ય, ઓગસ્ટસ સિઝર, લિયોનાર્ડો દ વિંચિ (વિંશિ), રાફેલ અને રેમ્બ્રાં, બિથોવન અને મોઝાર્ટ ….. કોને યાદ કરો? કોને નહીં? વિવાદ થતા રહેશે અને યાદી લંબાતી જ રહેશે. પરંતુ તે સૌના જીવન અને વિચારો-કાર્યો વિશે જાણવું તે સંસ્કૃત મનુષ્યનું લક્ષણ છે.
આવા અસંખ્ય નામી-અનામી વિરલાઓએ આપણા માનવ-અસ્તિત્વને અર્થ આપ્યો છે. આપણે આ સત્ય કદી ન ભૂલીએ! ….. સસ્નેહ આશીર્વાદ.
2 thoughts on “અનામિકાને પત્ર: 3”