અનામિકાને પત્રો · રાજા રવિવર્મા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા · સયાજીરાવ ગાયકવાડ

અનામિકાને પત્ર: 10

.

પ્રિય અનામિકા,

મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.

અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.

1870માં વડોદરાના મહારાજા ખંડેરાવ અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર જેવા વિષયોનો અભ્યાસ કર્યો.

ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.

અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.

આ જ વર્ષમાં વડોદરા કોલેજનો પાયો નખાયો.

વડોદરા કોલેજ આજે એમ. એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. લલિત કલાઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું કલાભવન જગપ્રસિદ્ધ બન્યું.

વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, રાજા રવિવર્મા, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી …. અને બીજા ઘણા બધા!.

મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.

અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.

8 thoughts on “અનામિકાને પત્ર: 10

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s