.
પ્રિય અનામિકા,
હરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ” વિષે તું જાણવા ઈચ્છે છે.
એક વાતનો સ્વીકાર કરું? મહાન સર્જકોની અમર કૃતિઓને નાનકડા પત્રોમાં સમાવવી પડકારરૂપ કાર્ય બની જાય છે. વળી આ કૃતિઓ વાંચ્યે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. છતાં હું મારી યાદદાશ્ત તથા સમજ પ્રમાણે ન્યાય આપવા પ્રયત્ન કરતો રહું છું. કદાચ મારા પ્રયત્ન તને તે ઉત્તમ કૃતિઓ વાંચવા પ્રેરણા આપે!
હરમાન હેસ(Hermann Hesse 1877-1962) મૂળે તો જર્મન. શાંતિપ્રિય, અધ્યાત્મવાદી. ભારતીય ફિલોસોફીથી તો ભારે પ્રભાવિત. હિંદુ ધર્મ તથા તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ. જીવનને તાત્ત્વિક દ્રષ્ટિથી જીવવાનો તેમનો સંકલ્પ. 1921માં વતન છોડ્યું. સ્વિટ્ઝરલેંડ જઈ શેષ જીવન વીતાવ્યું. મઝાની વાત એ કે ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાં પણ સ્વિટ્ઝરલેંડમાં વસેલા. હરમાન હેસ તથા રોમાં રોલાંને મૈત્રી હતી.
1923માં તેમની “સિદ્ધાર્થ” નવલકથા સાથે હરમાન હેસની ખ્યાતિ ઓર વધી ગઈ.
“સિદ્ધાર્થ”ની કથા હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર આલેખાઈ છે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ આ નવલકથાનો નાયક છે. ધીર, ગંભીર, બુદ્ધિમાન. તેવો જ સમજદાર તેનો મિત્ર ગોવિંદો છે. બંને મિત્રો જીવનને ગંભીરતાથી લે છે. બંનેને જીવનના, અસ્તિત્વના અર્થની ખોજ કરવી છે.
બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.
ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી ભગવાન બુદ્ધ ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે. એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે.
સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે.
અને યૌવનાના અંતરતલમાંથી પ્રગટેલું તે પ્રગલ્ભ ચુંબન સિદ્ધાર્થના તપ્ત હૃદયને શાતા આપે છે. સાથે સાથે તે કમલાના અતૃપ્ત સ્ત્રી હૃદયને તૃપ્ત કરે છે. કમલા સિદ્ધાર્થના સંતાનની માતા બને છે.
સિદ્ધાર્થ પ્રેમતૃપ્તિને હૃદયમાં ભરી ફરી ભ્રમણ પર નીકળી પડે છે.
વર્ષો વીતી જાય છે…….
ગોવિંદો ભિક્ષુજીવન ગાળતો દેશાટન કરતો રહે છે. ફરતા ફરતા એક ગામ પહોંચે છે. તેને જાણવા મળે છે કે નદીકિનારે ઝૂંપડીમાં એક વૃદ્ધ નાવિક રહે છે. સંતપુરૂષ સમ નિર્મળ જીવન ગાળે છે. સંતની પ્રતિષ્ઠા દૂર-સુદૂર ફેલાઈ છે. ગોવિંદો તેમને મળવા પહોંચે છે.
અરે! આ તો સિદ્ધાર્થ!
બંને મિત્રો હૃદય ખોલીને વાતો કરે છે. સિદ્ધાર્થની સાદગી, જીવનની સરળતા અને વિચારોની ગહનતા ગોવિંદાને પ્રભાવિત કરે છે. સિદ્ધાર્થ કહે છે: આ નદીને નિહાળો … તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો … ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે …. શબ્દોના ભ્રમમાં ન ફસાઓ … શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે … ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે … અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો …
ગોવિંદો અવાક છે. તેને પોતાના વર્ષોના ભિક્ષુજીવનની યથાર્થતા વિષે મંથન જાગે છે. સિદ્ધાર્થ તેનાથી મૂઠી ઊંચો છે તેવું તેને લાગે છે.
ગોવિંદો વૃદ્ધ સિદ્ધાર્થને એક ચુંબનની વિનંતી કરે છે. સિદ્ધાર્થ પ્રેમપૂર્વક ગોવિંદાને એક ચુંબન કરે છે …
અને આ શું ચમત્કાર? ગોવિંદા સમક્ષ અલૌકિક કાંતિયુક્ત અનેકાનેક તેજસ્વી ચહેરા પ્રગટ થાય છે … ચહેરાઓની બહુવિધતામાં કોઈક અનુપમ ઐક્ય જણાય છે….. તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી હોય છે… પરિશુદ્ધ પ્રેમના દિવ્ય સાક્ષાત્કારથી ગોવિંદાનું હૃદય અવર્ણનીય આનંદથી પરમ તૃપ્તિ પામે છે.
કેવી સુંદર કથા! અનામિકા! હોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર કોનરાડ રુક્સે હરમાન હેસની “સિદ્ધાર્થ” પરથી અંગ્રેજીમાં એક ફિલ્મ બનાવેલી. તેમાં જાણીતા અભિનેતા શશી કપૂરે સિદ્ધાર્થ તરીકે તથા અભિનેત્રી સીમી ગરેવાલે કમલા તરીકે અભિનય આપેલો.
સપ્રેમ આશીર્વાદ.
જ્ઞાન વધે એવી માહિતિ વાંચવાનું મન થાય તેવી ભાષામાં પત્રરુપ્પે મૂકો છો. આવો પ્રયોગ બીજા ગુજરાતી બ્લોગ પર જોયો નથી. ગુજરાતી વાચકોને ખૂબ ગમશે.
LikeLike