.
પ્રિય અનામિકા,
આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું?
1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા.
હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા! આ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો સમયગાળો હતો. ત્યારે પણ પ્રાગમાં યહૂદીઓ ઉપેક્ષિત, અપમાનજનક સ્થિતિમાં જીવતા. આઇન્સ્ટાઇનને પોતાના જાતભાઈઓ માટે અનુકંપા થઈ.
તે પછી તેમને ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના પોલિટેકનીકમાં નિમણૂક મળી. 1913માં આઇન્સ્ટાઇનને જર્મની તરફથી ખાસ ઓફર મળી – બર્લિનના કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરપદની. મિલેવાએ જર્મની જવા અનિચ્છા બતાવતાં આઇન્સ્ટાઇન એકલા જ બર્લિન ગયા. તેમનું લગ્નજીવન ખંડિત થયું.
બર્લિનમાં આ મહાન વૈજ્ઞાનિકે એલ્સા નામક એક પ્રેમાળ વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1913થી 1933 સુધી વીસ વર્ષો માટે બર્લિનમાં રહી આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્રના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો. 1905 થી 1915 સુધી તેમણે સંશોધન કરી થિયરી ઓફ રિલેટીવિટી (Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત ) રજૂ કરી વિજ્ઞાનજગતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. તેમણે સ્પેસ-ટાઈમ અને મેટર-એનર્જી વિશેના ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વિખ્યાત સમીકરણ “E = mc2“ને કારણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં નવી દિશાઓ ખુલી ગઈ.
અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં. અનામિકા! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ-બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા!!! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું.
થોડાં વર્ષોમાં જર્મનીનું રાજકારણ ડહોળાવા લાગ્યું હતું. નાઝીવાદના ઉદય સમયે જર્મનીના વાતાવરણમાં આઇન્સ્ટાઇનને ગૂંગળામણ થતી હતી.
હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન (Princeton, New Jersey, USA) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન-સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું. આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી, બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા.
તેમણે અમેરિકન નાગરિકત્વ અપનાવ્યું, પણ તેમનું જીવન ખૂબ સાદગીભર્યું અને એકાકી બનતું ચાલ્યું. પ્રિન્સ્ટનમાં તેમનું રહેઠાણ તદ્દન સાદું હતું. નાનકડા રૂમમાં લાકડાના સાદા ખુરશી-ટેબલ પર આ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કાર્ય કરતા. પગમાં મોજાં ભાગ્યે જ પહેરતાં. નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુનો ઉપયોગ કરતા. અનામિકા! આઇન્સ્ટાઇનની મહાનતા એ કે જ્યારે કોઇ મુલાકાતીને મળતા ત્યારે ભારોભાર સૌજન્યપૂર્વક મળતા. કોઇને અણસાર સરખો ન આવે કે તેની સમક્ષ વીસમી સદીનો અસાધારણ મેધાવી વૈજ્ઞાનિક છે.
1955ના એપ્રિલની 18મી તારીખે મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું અવસાન થયું. અનામિકા! આવા મહામાનવોની સરળ જીવન કથામાં પણ કેટકેટલી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે!
સસ્નેહ આશીર્વાદ.
કદાચ પહેલી વખત આ બ્લોગની મુલાકાત લઇ રહ્યો છું
આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે થોડુ ધણુ જાણતો હતો પણ અહીં ઘણી રસપ્રદ માહિતી વાંચી આ મહાન વૈજ્ઞાનિક વિશે ઘણી માહિતી સંગ્રહ આપે કર્યો લાગે છે.
LikeLike