અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 49

પ્રિય અનામિકા,

ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?

ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!

અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.

રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.

1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો – નાબાલિગ – હોવાથી તેના મામાએ તેના ‘પ્રોટેક્ટર ઓફ કિંગ’ તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.

1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.

પાંચેક વર્ષના શાસનકાળ (1553 – 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.

આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.

એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 – 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!

તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.

.

8 thoughts on “અનામિકાને પત્ર: 49

  1. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    Like

Leave a reply to Pancham Shukla જવાબ રદ કરો