ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ

1757ની પ્લાસીની લડાઈએ હિંદુસ્તાનનો ઇતિહાસ પલટી નાખ્યો. ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નખાયો.

બંગાળામાં પલાશી (પ્લાસી) ની પાસે માત્ર બે-પાંચ ઘડીના યુદ્ધને અંગ્રેજો જીતી ગયા. ના, અંગ્રેજો જીત્યા ન હતા. બે-પાંચ રાષ્ટ્રદ્રોહીઓની ગદ્દારીએ બંગાળને હરાવી દીધું; હિંદુસ્તાનને હરાવી દીધું.

પ્રત્યેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ તેને ગૌરવ બક્ષે છે. સંસ્કૃતિ, ઇતિહાસ અને રાષ્ટ્રપ્રેમમાંથી પ્રજામાં પોતીકાપણાની સભાનતા જન્મે છે. તેમાં રાષ્ટ્રની અસ્મિતા ઝલકે છે. જે પ્રજા રાષ્ટ્રની અસ્મિતા અને અખંડતાની ગરિમાને રક્ષી નથી શકતી, તે પ્રજા રાષ્ટ્રના વિનાશને નોતરે છે. રાષ્ટ્રવાદથી પ્રેરિત સમર્થ અને સમુચિત નેતૃત્વ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે.

બંગાળનો નવાબ અંગ્રેજો સામે લડવા નીકળી પડ્યો. તેના જ સાથીઓ સત્તા અને આર્થિક લાભની લાલચમાં, રાષ્ટ્રને ભૂલીને અંગ્રેજોના પડખે ભરાઈ બેઠા. સમાજની મોખરે ઊભેલ આગેવાનો પ્રજાને આવો દગો દઈ શકે? બંગાળ પાસે મીરજાફર જેવો સેનાપતિ તેમજ અમીચંદ-જગતસેઠ જેવા ધનકુબેરો પ્રજાના પથદર્શક અગ્રેસરો હતા. પ્રજાને ખબર સુદ્ધાં ન પડી અને અંગ્રેજોના છળ પ્રપંચમાં સમાજની કહેવાતી આગેવાની વેચાઈ ગઈ! રાષ્ટ્રદ્રોહ શબ્દને મીરજાફર-અમીચંદ-જગતસેઠ જેવા પર્યાય મળ્યા.

પ્રભાતે જે બંગાળ સ્વાધીન હતું તે રાતના ઓછાયા ઊતરતાં પરાધીન થઈ ગયું. હિંદુસ્તાન બ્રિટીશ હકૂમતની બેડીઓમાં જકડાયું. ઇતિહાસની એક ચીસ ફરી ઊઠી કે દેશને હરાવવા માટે દુશ્મન અધિક શક્તિમાન હોવો જરૂરી નથી.

જે પ્રજા જાગ્રત નથી, તેના હાલ શું થાય તે પ્લાસીનું યુદ્ધ બતાવે છે. વામણા આગેવાનો નેતૃત્વનાં મહોરાં પહેરી નીકળી પડે, ત્યારે પ્રજાની સજગતા આવશ્યક બને છે.

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં હિંદુસ્તાનનું તકદીર બદલનારી 1757ની ઐતિહાસિક પ્લાસીની લડાઈ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હિંદુસ્તાન પર વિદેશી આક્રમણો

ઇસવીસન પૂર્વે 326 ના વર્ષમાં હિંદુસ્તાન પર મેસેડોનિયા – ગ્રીસ દેશના એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું આક્રમણ થયું. ભારત પર આ પ્રથમ નોંધપાત્ર વિદેશી આક્રમણ ગણાય છે.

મેસેડોનિયા (ગ્રીસ) નો શહેનશાહ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ (સિકંદર) વિશ્વવિજેતા બનવા યુરોપના ગ્રીસથી નીકળ્યો હતો. ઇસવીસન પૂર્વે 326 ( ઇપૂ 326 અર્થાત 326 BC) માં સિકંદર ઉર્ફે એલેક્ઝાન્ડર હિંદુસ્તાનના ઉત્તરમાં રાજા પોરસ (પુરૂ) સાથે ટકરાયો. ઝેલમ નદીના તીરે અપ્રતિમ શૌર્ય સાથે લડવા છતાં પોરસ હાર્યો. સિકંદર વિશે અને સિકંદર-પોરસના યુદ્ધ વિશે વિવાદો છે, છતાં હકીકત એ છે કે સ્વાર્થ, દ્વેષ અને લાલચથી અંધ બનેલા તત્ત્વોએ એલેક્ઝાન્ડરને પગપેસારો કરવામાં મદદ કરી અને ઉત્તર હિંદુસ્તાનના કેટલાક પ્રદેશો પર પહેલી વાર વિદેશી આણ વર્તાઈ.

હિંદુસ્તાનના ઇતિહાસમાં દેશની એકતા અને અખંડતા પર કુહાડો મારતા રાષ્ટ્રદ્રોહી તત્ત્વોની કલંકિત કરતૂતોનો એક સિલસિલો શરૂ થયો.

આઠમી સદીમાં મહંમદ બિન કાસિમની સિંધ પર ચડાઈ પછી મહમુદ ગઝની અને મહમ્મદ ઘોરીએ હિંદુસ્તાનને ઘમરોળ્યું. ચૌદમી સદીમાં તૈમૂર લંગના આક્રમણે હિંદુસ્તાનને હચમચાવ્યું. આંતરિક ખટપટોમાં રચ્યાપચ્યા દેશી રાજ્યકર્તાઓમાં કુસંપને કારણે વિદેશી આક્રમણકર્તાઓ ફાવતા રહ્યા.

સૌથી મહત્ત્વની દૂરગામી અસરો કરનાર વિદેશી આક્રમણ સોળમી સદીમાં થયું. મધ્ય એશિયામાંથી મોગલ (મુઘલ) શાસક બાબરની હિંદુસ્તાન પરની ચડાઈએ દેશના તકદીરની દિશા બદલી. ઈસ 1526 માં મોગલ બાદશાહ બાબર અને દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. ઇબ્રાહીમ લોદીની હાર થઈ. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) માં બાબરના વિજય સાથે હિંદુસ્તાનમાં મોગલ વંશના શાસનની શરૂઆત થઈ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

હિંદુસ્તાન આવેલ યુરોપિયન પ્રજાઓમાં સર્વોપરી અંગ્રેજો

ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ હતી.

1498માં પોર્ટુગાલનો સાહસિક દરિયાખેડૂ વાસ્કો દ ગામા હિંદુસ્તાનના દક્ષિણ પશ્ચિમ કિનારે પહોંચ્યો. ભારતના પશ્ચિમ દરિયાકિનારે કાલિકટ પહોંચનાર વાસ્કો દ ગામા યુરોપથી સમુદ્ર રસ્તે હિંદ પહોંચનાર પ્રથમ યુરોપિયન હતો.

સોળમી સદી પછી યુરોપથી પોર્ટુગીઝ, ડેનિશ, ડચ, ફ્રેંચ, બ્રિટીશ આદિ યુરોપિયન પ્રજાઓ વચ્ચે ભારતમાં વ્યાપાર અને સત્તા ફેલાવવા હરીફાઈ થતી રહી. સત્તરમી સદીમાં હિંદુસ્તાનમાં મજબૂત પગદંડો  જમાવવા યુરોપના પોર્ટુગલ, ઇંગ્લેંડ, ફ્રેંચ આદિ દેશો સક્રિય બન્યા. અઢારમી સદીમાં હિંદુસ્તાનમાં વેપાર કરવા કે સત્તા જમાવવા યુરોપિયન પ્રજાઓ વચ્ચે સ્પર્ધા તીવ્રતર બની. પોર્ટુગીઝને હાથ ટચુકડા પ્રદેશો રહ્યા અને અંગ્રેજ પ્રજા સર્વોપરી રહી. 1757ના નિર્ણાયક પ્લાસીના યુદ્ધના ફળસ્વરૂપે ભારતમાં અંગ્રેજ હકૂમતનો મજબૂત પાયો નખાયો.

તત્કાલીન હિંદુસ્તાનનાં અસંખ્ય રાજા-રજવાડાંઓ વચ્ચે વ્યાપક કુસંપ અને ખટરાગોનો અંગ્રેજોએ લાભ લીધો. ભાતભાતનાં છળકપટ અને કાવાદાવાઓથી અંગ્રેજોએ હિંદુસ્તાનને પોતાના ભરડામાં લઈ લીધું.

બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આર્મેનિયન વેપારીઓનો સાથ 

યુરેશિયા પ્રદેશમાં આવેલ આર્મેનિયા ભૂતકાલીન સોવિયેટ યુનિયન (યુએસએસઆર)નો એક હિસ્સો હતો, પણ આજે સ્વતંત્ર દેશ છે. સદીઓ અગાઉ આર્મેનિયાના કેટલાક વતનીઓ પોતાનો દેશ છોડી, વ્યાપાર અર્થે હિંદુસ્તાન આવી સ્થાયી થયેલા. મોગલ કાળમાં આર્મેનિયાના વ્યાપારીઓ સમૃદ્ધ બન્યા. સમૃદ્ધ પ્રદેશ બંગાળમાં વસેલા આર્મેનિયન વેપારીઓ બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીને પ્રસંગોપાત સહકાર આપતા. 1757માં પ્લાસીની લડાઈ (બેટલ ઑફ પ્લાસી) માં બ્રિટીશ ઇસ્ટ ઇંડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવને આર્મેનિયન વ્યાપારીઓનો વિશેષ સાથ મળ્યો. કહે છે કે પ્લાસીની લડાઈમાં અંગ્રેજોને જીતાડવામાં મીરજાફર, અમીચંદ અને જગત શેઠના કાવાદાવાઓનો ફાળો હતો; સાથે આર્મેનિયાના બંગાળ સ્થિત વેપારીઓનો પણ ખાસ્સો  ફાળો હતો.

પ્લાસીનું યુદ્ધ પ્રજાને બોધ આપે છે કે સમાજની પડખે ભરાયેલા પણ પ્રજાને ખંજર ભોંકી શકે છે. ગદ્દારી તો દેશની ચિંતા કરનાર હિતેચ્છુનો રૂપાળો અંચળો ઓઢીને પણ આવી શકે છે. જ્યાં રાષ્ટ્રનિષ્ઠા નથી, રાષ્ટ્રભાવના નથી, ત્યાં પતન છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતમાં અંગ્રેજી રાજ્યના પાયા નાખતી પ્લાસીની લડાઈ

પ્લાસીની લડાઈમાં અંગ્રેજોનો વિજય થતાં ભારતમાં બ્રિટીશ શાસનના પાયા નખાયા.

વર્ષ 1757માં બેટલ ઑફ પ્લાસી અથવા પ્લાસીની લડાઈ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળાના નવાબ સિરાજ-ઉદ-દૌલા વચ્ચે  ખેલાઈ. પલાશીની લડાઈ અથવા પ્લાસીની લડાઈ અથવા પ્લાસીનું યુદ્ધ (1757)  ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કારણ કે તેમાં અંગ્રેજો સામે બંગાળના નવાબની હાર થતાં બંગાળ ઇસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં ગયું અને હિંદુસ્તાનમાં અંગ્રેજી હકૂમતનો ઉદય થયો.

બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા (સિરાજ ઉદ દૌલા / સિરાજુદ્દૌલા) ને હિંદુસ્તાનમાંના ફ્રેંચ શાસનનો સાથ હતો. પ્લાસીની લડાઈમાં એક તરફ હતી સેનાપતિ મીરજાફરની આગેવાનીમાં બંગાળના લશ્કર અને ફ્રેંચ લશ્કર સાથેની જંગી સંયુક્ત સેના; તો બીજી તરફ હતી રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચેની નાનકડી અંગ્રેજ સેના. બંને સેનાઓ બંગાળની તત્કાલીન રાજધાની મુર્શિદાબાદ પાસે પલાશી (પ્લાસી) ખાતે ટકરાઈ.

હિંદુસ્તાનનો ઇતિહાસ ગવાહ છે કે દેશને પાયમાલ કરવામાં બહારના દુશ્મનોનો જેટલો હાથ છે, તેટલો જ હાથ દેશમાં બેઠેલા સ્વાર્થી તકવાદીઓનો છે. મુત્સદ્દી અંગ્રેજ નાયક રોબર્ટ ક્લાઇવના ધૂર્તતાભર્યા પ્રપંચોમાં  મીરજાફર, અમીચંદ અને જગત શેઠ જેવા દેશવાસીઓ જોડાયા. આર્મેનિયાથી આવી, અહીં સ્થાયી થયેલા આર્મેનિયન વેપારીઓ પણ અંગ્રેજ પક્ષે કાવાદાવામાં ભળ્યા. સત્તા અને સંપત્તિની લાલચમાં મુઠીભર દેશદ્રોહીઓએ સિરાજ ઉદ-દૌલાનો વિશ્વાસઘાત કર્યો.

23 જૂન, 1757ના દિવસે પ્લાસીનું યુદ્ધ ખરેખરો જંગ ન રહેતાં થોડા કલાકોની નાટકીય ઝપાઝપી બની રહી. બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા હાર્યો. કહો કે સ્વાર્થી રાષ્ટ્રદોહીઓએ રોબર્ટ ક્લાઇવને જીતાડ્યો. બંગાળ પર બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો થયો. દેશવાસીઓની નબળાઈઓ પારખી ગયેલા અંગ્રેજોએ સો વર્ષમાં તો આખા હિંદુસ્તાન પર સત્તા જમાવી. 1757ના પ્લાસીના યુદ્ધમાં કાવતરાખોરોની દગાબાજીએ દેશને બસો વર્ષ માટે બ્રિટીશ હકૂમતનો ગુલામ બનાવી દીધો.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિશેષ નોંધ: ગાયિકા ગૌહર જાન તથા અમૃત કેશવ નાયક

કલકત્તાના ગૌહર જાનના માતાપિતા બ્રિટીશ કે અમેરિકન-બ્રિટીશ હોવાની વાત છે, પણ તેમનાં પૂર્વજો  આર્મેનિયન મૂળનાં હોવાનું મનાય છે. અને તેમનું મૂળ નામ એંજેલિના. આર્મેનિયા યુરેશિયા પ્રદેશનો એક દેશ. સૈકાઓ પૂર્વે કેટલાક આર્મેનિયન પરિવારો દેશ છોડી હિંદુસ્તાન આવ્યા હતા. વ્યાપાર વિકસાવી અહીં ઠરીઠામ થયા હતા. તેમણે ભેગી કરેલી સંપત્તિથી તેઓ શાસકોને પણ મદદ કરતા. 1757ની પ્લાસીની લડાઈ (પ્લાસીનું યુદ્ધ કે બેટલ ઑફ પ્લાસી) માં રોબર્ટ ક્લાઈવ ના નેતૃત્વમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ, તેમાં બંગાળ સ્થિત આર્મેનિયન વેપારીઓએ છૂપો ભાગ ભજવ્યો હોવાની વાતો પણ છે.

ગુજરાતી રંગભૂમિ પર એક ઝબકાર: અમૃત કેશવ નાયક

આજે 27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન (World Theatre Day).

યાદ કરીએ આથમતી ઓગણસમી સદી અને ઊગતી વીસમી સદીનો એ સંધિકાળ. વિસ્તરતા ગુજરાતી નાટ્યજગતનો એ સમય. ત્યારે રંગમંચ પર એક સિતારો ઝબકી ગયો: અમૃત કેશવ નાયક. ટૂંકી શી જિંદગીમાં અમૃત નાયક મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ગીતકાર અને સંગીતકાર, અભિનેતા અને દિગ્દર્શકની કારકિર્દીમાં ઝળકી ગયા.

અમૃત કેશવ નાયક મૂળે અમદાવાદના વતની. વર્ષ 1877માં અમદાવાદના તરગાળાવાડ – કાળુપુર વિસ્તારમાં દુર્ગામાતાની પોળમાં તેમનો જન્મ. નાની ઉંમરમાં મુંબઈ પહોંચ્યા. ગુજરાતી રંગમંચ પર અભિનય આપવાની શરૂઆત કરી. સમય જતાં દિગ્દર્શન પણ સંભાળ્યું. પારસી-ગુજરાતી નાટકોમાં ગીતકાર ઉપરાંત સંગીતકારનું કામ પણ સંભાળ્યું. વિખ્યાત અંગ્રેજ નાટ્યકાર શેક્સપિયરના ટ્રેજેડી નાટકોને તેમણે રૂપાંતરિત કર્યાં. ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં તેમનાં નાટકો ભજવાયાં. અમૃત નાયકનાં શેક્સપિયરનાં નાટકોમાં હેમ્લેટ આધારિત ‘ખૂન-એ-નાહક’ અને રોમિયો એંડ જુલિયેટ આધારિત ‘બઝ્મ-એ-ફાની’ વગેરે સારો આવકાર પામ્યાં. નાટક ઉપરાંત તેઓ ગઝલ અને નવલકથા ક્ષેત્રે પણ ખીલી ઊઠ્યા. અમૃત નાયક ‘શિવશંભુ શર્માનો ચિકો’ના ઉપનામથી સાહિત્ય સર્જન કરતા. બ્રિટીશ શાસનના વિરોધી તે એવી દેશદાઝ ધરાવતા હતા કે અંગ્રેજોની ખફાનજરમાં પણ આવ્યા હતા! તેમનાં રાષ્ટ્રવાદી આગઝરતાં લખાણો કલકત્તા (કોલકતા) નાં સુપ્રસિદ્ધ હિંદી દૈનિક ‘ભારતમિત્ર’ અને અંગ્રેજી પ્રકાશન ‘અમૃતબઝાર પત્રિકા’માં પ્રસિધ્ધિ પામ્યાં હતાં.

મુંબઈમાં સત્યાવીસેક વર્ષની ઉંમરે નાટ્યકાર અમૃત નાયક અને ભારતીય ગ્રામોફોન રેકોર્ડનાં પ્રથમ સુપર સ્ટાર ગાયિકા ગૌહર જાનની નિકટ આવ્યા.

ભારતીય ગ્રામોફોન રેકોર્ડનાં પ્રથમ સુપર સ્ટાર ગાયિકા ગૌહર જાન

હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીતની દુનિયામાં નામના કમાનાર આર્મેનિયન મૂળનાં ગૌહર જાન તત્કાલીન ગ્રામોફોન કંપની (ગ્રામોફોન કંપની ઑફ ઇન્ડિયા) ના પ્રથમ રેકોર્ડિંગ સ્ટાર ગાયિકા તરીકે પ્રતિષ્ઠિત હતાં. અમૃત નાયક – ગૌહરજાનનો અંતરંગ સંબંધ લોકનજરે પણ ચડ્યો, પરંતુ તે ખીલે – ન ખીલે ત્યાં તો 1907માં અમૃત કેશવ નાયકનું અકાળ અવસાન થયું. માત્ર ત્રીસ વર્ષની ટૂંકી ઉંમરમાં ગુજરાતી રંગભૂમિનો આશાસ્પદ સિતારો આથમી ગયો.

આજે આપણે અમૃત કેશવ નાયકને ગુજરાતી અને ઉર્દુ રંગમંચના કાબેલ અભિનેતા અને દિગ્દર્શક તરીકે જ નહીં, સાથે ગીતકાર અને સંગીતકાર તરીકે યાદ કરીએ છીએ. વળી તેમને સફળ ગઝલકાર તથા નવલકથાકાર તરીકે પણ માન મળે છે.

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયકથી ગૌહર જાન અને આર્મેનિયાથી પ્લાસીની લડાઈના તાણાવાણા કેવી દુ:ખદ રોમાંચકતાથી વણાયેલા છે!

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનામિકા: લેખ ‘પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ’: સંક્ષિપ્ત માહિતી

  • It is unfortunate that such a great Nation as India failed to stand unitedly whenever challenged by the foreign invasions
  • Incidents from the history of India suggest that the selfish and short-sighted rulers couldn’t rise to the occasion
  • The Battle of Plassey (1757) was fought between the united armies of the Nawab of Bengal Siraj-Ud-Daulah and the French on one side, and the army of British East India Company on the other
  • Playing dirty games of power and money the British army, led by Robert Clive, comfortably won the battle. Mir Jafar, Amichand and Jagatseths were the names that proved disloyal to their own Native land. The Armenian business community in Bengal betrayed the Nawab and supported the English people. Bengal was defeated and placed under the East India Company rule
  • The battle of Plassey (1757) paved the way for almost two centuries’ British rule in India
  • Amrit Keshav Nayak (1877-1907) was born in Ahmedabad, but established himself as a leading actor-director on the budding Gujarati stage in Mumbai
  • Gauhar Jaan (1873-1930), an Indian singer of Armenian roots (?), was one of the first star singers in India, whose singing was recorded on a 78 rpm gramophone record by Gramophone Company (later Gramophone Company of India, known for His Master’s Voice label) in 1902
  • Amrit Keshav Nayak and Gauhar Jaan had developed a brief, intimate relationship that ended with an untimely death of Amrit Nayak in 1907
  • હિંદુસ્તાનના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં કઠતો વિદેશી આક્રમણો સમયનો કુસંપ
  • દેશી રાજ-રજવાડાઓમાં આંતરિક ફાટફૂટ અને સ્વાર્થાંધ શાસકોમાં દીર્ઘદ્રષ્ટિનો અભાવ
  • સિકંદરથી માંડી મહમુદ ગઝની, મહમ્મદ ઘોરી અને બાબરને ફળી હિંદુસ્તાનની પ્રજામાં અને રાજ્યકર્તાઓમાં રાષ્ટ્રભાવનાની કમી
  • યુરોપથી આવેલ પોર્ટુગીઝ, ડેનિશ, ડચ, ફ્રેંચ, બ્રિટીશ આદિ યુરોપિયન પ્રજાઓમાં સૌથી સફળ અંગ્રેજો
  • બ્રિટીશ હકૂમતનો પાયો નાખવામાં નિર્ણાયક પ્લાસીની લડાઈ (પ્લાસીનું યુદ્ધ 1757)
  • રોબર્ટ ક્લાઇવના બ્રિટીશ આર્મી સામે બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાની હાર; પરિણામે હિંદુસ્તાનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ શાસનનો આરંભ
  • આર્મેનિયન મૂળ (?) નાં હિંદુસ્તાની ગાયિકા ગૌહર જાન (1873-1930) ભારતીય ગ્રામોફોન રેકોર્ડનાં પ્રથમ સ્ટાર ગાયિકા
  • એક આડવાત- પ્લાસીની લડાઈમાં ભારતમાં સ્થિત આર્મેનિયન વંશના વ્યાપારીઓએ અંગ્રેજોને આપ્યો સાથ.
  • 27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન (World Theatre Day)
  • અમદાવાદના અમૃત કેશવ નાયક (1877-1907) મુંબઈની રંગભૂમિ પર સફળ અભિનેતા – દિગ્દર્શક
  • હિંદુસ્તાનની ગ્રામોફોન કંપનીની શરૂઆતની રેકોર્ડ (1902) પર ગૌહર જાનનું કંઠ્યસંગીત
  • અમૃત કેશવ નાયક અને ગૌહર જાનને અલ્પકાલીન પણ અંતરંગ સંબંધો

** * *** * **** ** * ** * * ** *

આટલું નોંધો: મીડિયામાં ગૌહર જાનના પિતા બ્રિટીશ કે અમેરિકન અંગ્રેજ હોવાનું લખાયું છે, પરંતુ પૂર્વજો આર્મેનિયાનાં હોવાના ચર્ચાસ્પદ ઉલ્લેખ પણ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

 

5 thoughts on “પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ

  1. આશરે ઓગણીસસો વર્ષ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવનાર કિંગ્ડમ ઓફ આર્મેનિયા પ્રથમ સામ્રાજ્ય હતું.
    આશરે પંદરસો વર્ષ પહેલાં તેના ભાગલા પડ્યા. તે પછી તેના પર તુર્ક આદિ આક્રમણો થતાં રહ્યાં. વિદેશીઓના આક્રમણ-ત્રાસથી બચવા આર્મેનિયન લોકો આસપાસના પ્રદેશોમાં હિજરત કરતાં ગયાં.
    ઇતિહાસ કહે છે કે સદીઓ અગાઉ યુરેશિયામાંથી આર્મેનિયન પરિવારો હિંદુસ્તાન આવ્યા. સોળમી સદી પછી આર્મેનિયાના હિસ્સાઓ ઓટ્ટોમાન – ઇરાનિયન સામ્રાજ્ય નીચે કચડાયા. હિંદમાં મોગલ સમય દરમ્યાન પણ પર્શિયા-ઇરાન -અફઘાનિસ્તાન વિસ્તારોમાંથી આર્મેનિયન પરિવારો ભારતના પશ્ચિમ કિનારે સુરત તથા પૂર્વ કિનારે કલકત્તા-બંગાળમાં આવી વસ્યા. ઘણે ભાગે તેઓ વ્યાપારના બળે ધન-સંપત્તિ ધરાવતા થયા હતા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s