અનામિકાને પત્ર: 50

.

પ્રિય અનામિકા,

મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે મારો આ પચાસમો સુવર્ણજયંતિ પત્ર આવા વિષય પર લખવો પડશે!!!

મુંબઈ શહેર પર ત્રાસવાદી હુમલાએ સમગ્ર ભારત દેશમાં આતંકના ઓછાયા પાથર્યા. ભારત દેશના જ નહીં, માનવજાતના ઇતિહાસમાં એક કાળું, કલંકિત પ્રકરણ ઉમેરાયું. અનામિકા! માનવતાને લજાવતાં આવાં ઘૃણાસ્પદ અમાનવીય કૃત્યોને વખોડવા માટે શબ્દો ઓછા જ પડે!

વિવિધ ભારતીય સુરક્ષા દળોએ તદ્દન વિપરીત સંયોગોમાં જાન પર ખેલીને આતંકવાદને જે જવાબ આપ્યો તે શબ્દાતીત છે. આપણે સૌ ભારતવાસીઓએ જાંબાઝોની મર્દાનગી અને કર્તવ્યનિષ્ઠા પર ગર્વ લેવો જોઈએ.

આ ત્રાસવાદી ઘટનાની દૂરોગામી અસરો તો વખત વીતતાં જણાશે. અનામિકા! આવી ઘટનાઓને વિશ્વની સભ્યતા પર બર્બરતાપૂર્ણ આક્રમણ ન લેખી શકાય?   જે સંસ્કૃતિને આજના સ્તરે પહોંચાડવામાં કરોડો માનવીઓનાં સમર્પણે સદીઓનો સમય લીધો, તે સંસ્કૃતિ આવતી કાલે મુઠીભર લોકોના હાથે બે-પાંચ પળોમાં ક્ષત-વિક્ષત થઈ જાશે?

હદ થઈ ગઈ છે હવે! જગતભરમાં વકરતા આતંકવાદ સામે માનવજાતે લડી લેવાનો સમય આવી ચૂક્યો છે.

અહીં દેશમાં આઘાતથી મૂઢ થયેલ લોકહૈયે ધૂંધવાઈ રહેલો આક્રોશ હવે બહાર આવતો જણાય છે. જે રાષ્ટ્રનું હાર્દ મહાન હોય, પરંતુ શાસન વામણું હોય તે અધોગતિ જ નોતરે! નિર્માલ્ય અને દિશાહીન નેતૃત્વ પર પ્રજાનો રોષ ભભૂકવા લાગ્યો છે. નર્યા અંગત સ્વાર્થના પાયે ખડું ભ્રષ્ટાચારી રાજકારણ રાષ્ટ્રની શી ભૂંડી ગતિ કરે તે આજે સૌ જાણી ગયાં છે. રાજનેતાઓ પ્રજાવર્ગની ધધકતી લાગણીઓ વેળાસર સમજી શકશે?

આપણે પ્રાર્થીએ, અનામિકા, કે વિપત્તિનાં વાદળો ઘેરાતાં જાય છે ત્યારે રાષ્ટ્ર એક બનીને ખડું થાય, એકરાગે પડકારો ઝીલી લે અને અને દેશને ઉગારવાના સંન્નિષ્ઠ પ્રયાસોમાં સૌ અબ ઘડી જોતરાઈ જાય તમારા મિત્રોમાં આ વિશે ચર્ચા છેડજો.

સસ્નેહ આશીર્વાદ.

Add comment December 1, 2008

અનામિકાને પત્ર: 49

પ્રિય અનામિકા, 

ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?

ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!

અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.

રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.

1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો – નાબાલિગ – હોવાથી તેના મામાએ તેના ‘પ્રોટેક્ટર ઓફ કિંગ’ તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.

1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.

પાંચેક વર્ષના શાસનકાળ (1553 – 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.

આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.

એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 – 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!

તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.

.

1 comment November 24, 2008

અનામિકાને પત્ર: 48

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે.  કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.

બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.

આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. ‘મેગ્ના કાર્ટા’ અને ‘હેબિયસ કોર્પસ એક્ટ’ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા ‘The King’s Story’  વાંચી.

પછી  ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી  વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો.  હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.

આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.

મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા  ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.

અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.

1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!

ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?

શેષ વાતો આવતા પત્રમાં…. સસ્નેહ આશીર્વાદ.

.

Add comment November 24, 2008

અનામિકાને પત્ર: 47

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું.

મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી છે. માનવજાતના વિકાસ માટે સંયમપૂર્ણ અને વિવેકપૂર્ણ વિચારવિનિમય અનિવાર્ય છે.

માત્ર ધર્મ અને વિજ્ઞાન જ નહીં, કોઇ પણ વિષય પર એકાંતી દ્રષ્ટિ, ઉપલકિયું જ્ઞાન, અજ્ઞાન, મમત્વ કે અહંકારમાંથી જન્મેલ ‘મારો મત જ સાચો’ તેવો દુરાગ્રહ સભ્યતાને રૂંધે છે.

ધર્મ અને વિજ્ઞાન બંને જીવનનાં અપરિત્યાજ્ય આયામો છે જે સમાજને આધાર આપે છે. જે વ્યક્તિ બંને આયામોને જ્યાં સુધી તેના અંતરંગ સ્વરૂપમાં સમજી ન શકે, ત્યાં સુધી તેના વિશે વિવાદ ન છેડે તે સમાજ માટે ઇષ્ટ છે.

અનામિકા! ધર્મ તથા વિજ્ઞાન બંને, તેમના શુદ્ધ સ્વરૂપમાં, સત્યની ખોજમાં મદદરૂપ છે. કહેવાતા ધર્મના ઠેકેદાર સમા ગણ્યાગાંઠ્યા ‘ધર્મરક્ષકો’ની બુદ્ધિવિહિન  ધર્માંધતા તથા વિજ્ઞાનના ચશ્મા પહેર્યાનો ભ્રમ સેવતા કેટલાક રેશનાલિસ્ટોની બુદ્ધિ-પરિમિત દ્રષ્ટિ – બંને ખતરનાક છે – સમાજ માટે, અને માનવજાત માટે પણ. નર્યા બુદ્ધિવાદને સહારે વિકસતા વિજ્ઞાનને કેટલાં અચલ સત્ય લાધ્યાં છે? એકાંગી દ્રષ્ટિમાં કદી પૂર્ણતા, સમગ્રતા સમાઈ શકે કરી? અસંયમિત ધર્માંધતા કે અપરિપક્વ રેશનાલિઝમ કદી સમાજનું ભલું કરી શક્યા નથી.

તમને જણાતા તમારા કહેવાતા ‘સત્ય’ને સમાજ પર શોર-શરાબાથી કે તાકાતથી ઠોકવું તેમાં મને તો સભ્યતાની અવગતિ જણાય છે. અન્યની દ્રષ્ટિને, ભાવનાને, જીવનકલાને યથોચિત આદર આપવામાં ધર્મનું ગૌરવ છે. તે જ રીતે અન્યના મત કે અભિપ્રાયને, વિચારને, સિદ્ધાંતને ગ્રંથિ-મુક્ત થઈ સહિષ્ણુતાથી અવલોકવો, બુદ્ધિથી ઉપર ઊઠીને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી પરખવો અને ત્યાર પછી જ પોતાને સત્ય જણાતા અવલોકન કે વિચારને ઘોષિત કરવું તે સાચા રેશનાલિસ્ટનું લક્ષણ છે.

પરિશુદ્ધ ધર્મ હૃદયમાં, જીવનમાં વણાઇ જાય છે. તે જીવનમૂલ્યોને ઉજાગર કરી માનવજીવનને સૌંદર્ય બક્ષે છે, જ્યારે મૂળભૂત ધર્મમાંથી ફલિત ધર્મસ્વરૂપો કે આધારવિહોણા સંપ્રદાયો માનવજાતને વાડાઓમાં ધકેલી જીવનને બદસૂરત કરે છે.

પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ધર્મને કયા સ્વરૂપે અપનાવીશું?

ધર્મ અને વિજ્ઞાનની પરિભાષાને ઊંડા મંથન પછી જ સમજી શકાય છે. સાચો બુદ્ધિવાદી, વિવેકશીલ માનવી તો મતમતાંતરોની વ્યર્થ ચર્ચાથી પર રહી, ધર્મ અને વિજ્ઞાનનાં વિશિષ્ટ પ્રયોજનોને સ્વીકારી, બંનેનાં વિવેકપૂર્ણ સમન્વયથી જીવનપથ દીપાવશે. તે પોતાની જીવન યાત્રા સત્યની ખોજમાં ઉચિત માર્ગે નિશ્ચલતાથી આગળ ધપાવશે.

અનામિકા! તું તારા મિત્રોને આ સમજાવજે. ક્ષુલ્લક, અર્થવિહોણા મતભેદોને વળગી સંબંધ તોડવા કે પોતાના દ્રષ્ટિબિંદુને અંતિમ સત્ય માની વાડામાં પૂરાઈ જવામાં બુદ્ધિવાદની હાર છે. તેમના વચ્ચે સંવાદ પુનઃ સ્થાપિત કરજે.

આવો નિખાલસ સંવાદ તમારા મિત્રવર્તુળના જ નહીં, સમાજના અને માનવજાતના હિતમાં છે.

સ્વાસ્થ્ય સંભાળશો. … સસ્નેહ આશીર્વાદ.

.

6 comments October 22, 2008

અનામિકાને પત્ર: 46

.
પ્રિય અનામિકા,

આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું?

1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા.

હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા! આ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો સમયગાળો હતો. ત્યારે પણ પ્રાગમાં યહૂદીઓ ઉપેક્ષિત, અપમાનજનક સ્થિતિમાં જીવતા. આઇન્સ્ટાઇનને પોતાના જાતભાઈઓ માટે અનુકંપા થઈ.

તે પછી તેમને ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના પોલિટેકનીકમાં નિમણૂક મળી. 1913માં આઇન્સ્ટાઇનને જર્મની તરફથી ખાસ ઓફર મળી – બર્લિનના કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરપદની. મિલેવાએ જર્મની જવા અનિચ્છા બતાવતાં આઇન્સ્ટાઇન એકલા જ બર્લિન ગયા. તેમનું લગ્નજીવન ખંડિત થયું.

બર્લિનમાં આ મહાન વૈજ્ઞાનિકે એલ્સા નામક એક પ્રેમાળ વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1913થી 1933 સુધી વીસ વર્ષો માટે બર્લિનમાં રહી આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્રના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો. 1905 થી 1915 સુધી તેમણે સંશોધન કરી થિયરી ઓફ રિલેટીવિટી (Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત ) રજૂ કરી વિજ્ઞાનજગતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. તેમણે સ્પેસ-ટાઈમ અને મેટર-એનર્જી વિશેના ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. તેમના વિખ્યાત સમીકરણ “E equals mC2″ને કારણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં નવી દિશાઓ ખુલી ગઈ.

અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં. અનામિકા! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ-બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા!!! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું.

થોડાં વર્ષોમાં જર્મનીનું રાજકારણ ડહોળાવા લાગ્યું હતું. નાઝીવાદના ઉદય સમયે જર્મનીના વાતાવરણમાં આઇન્સ્ટાઇનને ગૂંગળામણ થતી હતી.

હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન (Princeton, New Jersey, USA) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન-સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું. આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી, બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા.

તેમણે અમેરિકન નાગરિકત્વ અપનાવ્યું, પણ તેમનું જીવન ખૂબ સાદગીભર્યું અને એકાકી બનતું ચાલ્યું. પ્રિન્સ્ટનમાં તેમનું રહેઠાણ તદ્દન સાદું હતું. નાનકડા રૂમમાં લાકડાના સાદા ખુરશી-ટેબલ પર આ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કાર્ય કરતા. પગમાં મોજાં ભાગ્યે જ પહેરતાં. નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુનો ઉપયોગ કરતા. અનામિકા! આઇન્સ્ટાઇનની મહાનતા એ કે જ્યારે કોઇ મુલાકાતીને મળતા ત્યારે ભારોભાર સૌજન્યપૂર્વક મળતા. કોઇને અણસાર સરખો ન આવે કે તેની સમક્ષ વીસમી સદીનો અસાધારણ મેધાવી વૈજ્ઞાનિક છે.

1954ના એપ્રિલની 18મી તારીખે મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું અવસાન થયું. અનામિકા! આવા મહામાનવોની સરળ જીવન કથામાં પણ કેટકેટલી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે!

સસ્નેહ આશીર્વાદ.

2 comments October 17, 2008

અનામિકાને પત્ર: 45

.

 

પ્રિય અનામિકા,

તમારા જર્મન મિત્ર સાથેની તમારી ચર્ચાના મુદ્દા મેં વાંચ્યા. સરસ.

બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોને ઉકેલવા થઈ રહેલા બિગ બેંગ પ્રયોગની વાતો અને જીનિવા-સ્થિત અણુ સંશોધન સંસ્થા સર્ન (CERN) થી શરૂ થયેલી તમારી વાતો મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન સુધી પહોંચી તે જાણ્યું. આઇન્સ્ટાઇન વિશેના તારા પ્રશ્નો હું આવકારું છું.

અનામિકા! આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)ની બુદ્ધિ-પ્રતિભા અને વિચારશીલતાથી હું પ્રભાવિત છું. સામાન્ય પરિવારના સાધારણ સંયોગોમાંથી ઊભા થઈ આઇન્સ્ટાઇન કેવી અસાધારણ ઊંચાઈ પર પહોંચ્યા!

આઇન્સ્ટાઇનનો જન્મ 14 માર્ચ, 1879ના રોજ જર્મનીના એક નાનકડા ગામમાં યહૂદી (Jew) પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમનો પરિવાર મ્યુનિચ શહેરના એક પરગણામાં રહેવા ગયો. ત્યાં તેમના પિતા પોતાના ભાઈની સાથે વ્યવસાયમાં જોડાયા.

જન્મે જ્યુ  એવા આ મહાન વૈજ્ઞાનિકનો અભ્યાસ ક્રિશ્ચિયન કેથોલિક શાળામાં થયો. ઘરમાં આછાપાતળા યહૂદી સંસ્કાર, શાળામાં ખ્રિસ્તી ધર્મનું વાતાવરણ. તું કલ્પી શકીશ, અનામિકા, કે કુમળા બાળમાનસ પર આની શું અસર થાય! વિરોધાભાસ વચ્ચે રીબાતા બાળ આઇન્સ્ટાઇનના હૃદયમાં પ્રણાલિકાગત ધર્મની કોઇ ભાવના ન જાગી, તેમને રૂઢિગત ધર્મ પ્રત્યે અશ્રદ્ધા જ રહી.

આઇન્સ્ટાઇનના કાકાને ઇલેક્ટ્રો-કેમિકલ ફેક્ટરી હતી. કાકાથી પ્રભાવિત થયેલા આઇન્સ્ટાઇનને ગણિતમાં ભારે રુચિ જાગી, સાથે વિજ્ઞાનમાં. તેમનાં સંગીતજ્ઞ માતાએ આઇન્સ્ટાઇનને સંગીતનો શોખ લગાડ્યો. મોડું બોલતા શીખેલા આઇન્સ્ટાઇનના બાળપણની કરુણતા એ કે તે ક્યારે પણ અભ્યાસમાં ન ઝળકી શક્યા! શાળાની લશ્કરી શિસ્ત તો તેમને ભારે અકારી લાગતી. બાળપણથી આઇન્સ્ટાઇન અમાનવીય દમનના વિરોધી બન્યા.

યુવાનવયે આઇન્સ્ટાઇન સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ શહેરના પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટમાં જોડાયા. યુરોપની આ પ્રસિદ્ધ શિક્ષણસંસ્થામાં અભ્યાસ દરમ્યાન આઇન્સ્ટાઇન ફિઝિક્સનો અભ્યાસ કરતાં કરતાં હંગેરિયન સહાધ્યાયી મિલેવાને દિલ દઈ બેઠા. અભ્યાસ પૂરો થતાં આઇન્સ્ટાઇન સ્વિસ નાગરિકત્વ અપનાવી સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થયા. સરકારી પેટંટ ઓફિસમાં તેમને નોકરી મળી;  તેમણે મિલેવા સાથે લગ્ન પણ કર્યાં. જો કે તેમનું દાંપત્યજીવન ઉષ્માભર્યું ન નીવડ્યું છતાં બે પુત્રો માતા-પિતાને સાંકળતી કડી બની રહ્યા.

અહીં વિરામ લઉં, અનામિકા? આઇન્સ્ટાઇનની જીવનકહાણી બીજા પત્રમાં આગળ લખીશ… સસ્નેહ આશીર્વાદ.

.

1 comment October 12, 2008

અનામિકાને પત્ર: 44

.

પ્રિય અનામિકા,

અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે.

પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી. નોસ્ટ્રાડેમસ અને માયા સંસ્કૃતિનાં વિનાશક સંકેતો મીડિયામાં ચમક્યા કરે છે.

મારા પત્ર પછી તમારા મિત્રવર્તુળમાં  તમે માયા સંસ્કૃતિ પર ચર્ચા કરી તે આનંદની વાત. ચર્ચાના તાંતણા વળી લેટિન અમેરિકાના હોન્ડુરાસનાં જંગલોમાં ભટકતા જહોન લોઇડ સ્ટિફન્સ તથા ગ્રીક સંસ્કૃતિના, હોમરના ટ્રોયના આશિક હાઇનરિશ શ્લિમેન (હેઇન્રિશ શ્લીમાન Heinrich Schliemann 1822-1890) સુધી પહોંચ્યા! વાહ! પણ મને સાચો સંતોષ ત્યારે મળ્યો, અનામિકા, જ્યારે તેં પ્લિની ધ યંગર વિશે પૃચ્છા કરી.

હજી ગયા અઠવાડિયે મારા ક્લિપિંગ્સ-ડાયરી-નોટ્સના ખજાનાને ફંફોસતાં 24 ઓગસ્ટના પોમ્પિની ભયાવહ કહાણી હાથ લાગી હતી અને મન ગમગીનીમાં ડૂબી ગયું હતું.

ઈસુની સર્વપ્રથમ શતાબ્દીની વાત.

યુરોપના ઇટાલી દેશની ગિરિતળેટીનું નગર પોમ્પિ. રોમન સામ્રાજ્યના ઉદય સાથે ફૂલી-ફાલી રહ્યું હતું.

રોમના સમ્રાટ ઓક્ટેવિયસ ઓગસ્ટસ (63 BC – 14 AD) ના સુવર્ણયુગમાં પોમ્પિની સમૃદ્ધિ ટોચે પહોંચી હતી. ઓગસ્ટ્સના અવસાનને હજી માંડ 75 વર્ષ પૂરાં થયાં હતાં.

24 ઓગસ્ટ, ઈ.સ. 79નો તે ગોઝારો દિન.  હજારો વર્ષોથી સુપ્ત વિસુવિયસ જ્વાળામુખી અચાનક ફાટ્યો, આગની જ્વાળાઓ ઓકાવા લાગી અને લાવાના રેલા નીકળ્યા.

ખુશહાલીમાં કિલ્લોલતું પોમ્પિ વિસુવિયસમાં ભરખાઈ ગયું. તેની પાસેનું બીજું નગર હર્ક્યુલેનિયમ પણ તબાહ થઈ ગયું. પોમ્પિ જે હાલતમાં લાવા અને રાખના ખડકો વચ્ચે દબાઈ ગયું, તે જ હાલતમાં આજે સચવાઈ રહ્યું છે. માનવો, પદાર્થો, ચીજ-વસ્તુઓ, ઇમારતો … જે  જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં આજે આપણને અવશેષરૂપે મળી આવે છે. કાંઈક કામ કરતાં, બેઠેલાં, સૂતેલાં માનવ અવશેષો જ્વાળામુખીની વેગીલી વિનાશકતાની વાતો કહે છે. પોમ્પિનાં ખંડેરો હોનારતનો તાદ્રશ ચિતાર આપે છે.

પોમ્પિની વાત પ્લિની ધ યંગરના ઉલ્લેખ વિના અપૂર્ણ જ લેખાય.

અનામિકા! પ્લિની ધ યંગર તે સમયના ઇટાલીનો એક લેખક અને કાનૂનવિદ. પ્લિની ધ યંગરનાં દુર્લભ લખાણોમાં રોમન શાસનની, પોમ્પિની, વિસુવિયસના કાળતાંડવની વાતો જાણવા મળે છે. તેમના કાકા પ્લિની ધ એલ્ડર રોમન શાસનમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા. પ્લિની ધ એલ્ડરને પ્રકૃતિ, પ્રાકૃતિક ઘટનાઓ અને ફિલોસોફીમાં ઊંડો રસ. વિસુવિયસ ફાટવાના દિને પ્લિની ધ એલ્ડર પોમ્પિમાં હતા. કહે છે કે જ્વાળામુખીની અસરોનો અભ્યાસ કરતાં અને કમભાગી લોકોને મદદ કરતાં કરતાં પ્લિની ધ એલ્ડર શહીદીને વર્યા. પોમ્પિના દુર્ઘટના સ્થળથી દૂર રહી પ્લિની ધ યંગરે વિસુવિયસ વિસ્ફોટને નજરે નિહાળ્યો. તેમનાં લખાણોમાંથી  વિસુવિયસના જ્વાળામુખીએ નોતરેલા પોમ્પિના સર્વનાશનો દારૂણ ચિતાર મળે છે.

અનામિકા! પ્રકૃતિમાતા ક્યારેક જ રોષે ભરાય છે, પણ જ્યારે તેમ થાય છે ત્યારે માનવીની કહેવાતી પ્રગતિ, શક્તિઓ અને સિદ્ધિઓના ધજાગરા ઉડાડી દે છે. માનવજાત આ પાઠ હંમેશા યાદ રાખી શકે તો સારું!

અનામિકા! મા ધરતીના, કુદરતના, માનવસભ્યતાના સંવર્ધન અર્થે સદા પ્રયત્નશીલ રહેશો સસ્નેહ આશીર્વાદ. 

.

1 comment September 2, 2008

અનામિકાને પત્ર: 43

.

પ્રિય અનામિકા,

ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે.

આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું?

હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘કુમારસંભવમ્’ તો પ્રથમ હરોળમાં જ હોય ને! મેઘદૂતમાં રામગિરિ પર્વત પર બેઠેલો યક્ષ હતો તો હિમાલયનો નિવાસી. હિમાલયની અલકાનગરીના રાજવી કુબેર અને કુબેરના ચિત્રરથ બાગનો રક્ષક તે આપણો ભગ્નહૃદયી યક્ષ. મેઘદૂત એટલે હૃદયના તારોને ઝણઝણાવી જતી કથા.

અનામિકા! હિમાલયની યાદ અપાવતી કાલિદાસની અન્ય કૃતિ તે કુમારસંભવ.

સાહિત્યનાં વિવિધ રસોમાં તરબોળ કુમારસંભવની કથા પરાકાષ્ઠાએ રૌદ્ર રસ અને વીર રસ દ્વારા રોમાંચ પ્રેરે છે.

પર્વતરાજ હિમાલયનાં લગ્ન મેનકા સાથે થયાં હતાં. મેનકાના ગર્ભમાં પ્રજાપિતા દક્ષની દુહિતા સતીએ પ્રવેશ કર્યો.. તું જાણે છે, અનામિકા, કે પૂર્વજન્મમાં દક્ષપુત્રી સતી ભગવાન શિવજીનાં ધર્મપત્ની હતાં. આ જન્મમાં સતીજી પર્વતરાજનાં પુત્રી તરીકે અવતર્યાં, તેથી પાર્વતી કહેવાયાં. નારદ મુનિએ પાર્વતીજી આ જન્મમાં પણ ભગવાન શંકરનાં અર્ધાંગિની બનશે તેવી ભવિષ્યવાણી કરી. યૌવના પાર્વતીજી તપમાં લીન મહાદેવ શંકરની સેવામાં રત થયાં.

તે સમયે તારકાસુર નામક મહાબલી રાક્ષસ સર્વત્ર મહાત્રાસ વર્તાવી રહ્યો હતો. તારકાસુરથી ત્રસ્ત, ભયભીત દેવરાજ ઇંદ્રને બ્રહ્માજીએ સૂચન કર્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને તેમનો જે કુમાર (પુત્ર) સંભવે, તે મહાપરાક્રમી કુમાર જ તારકાસુરનો વધ કરી શકશે. દેવરાજ ઇંદ્રના અનુરોધથી કામદેવ તથા ઋતુરાજ વસંતની લીલાથી  શિવજીના તપમાં ભંગ થયો. તપભંગ થવાથી કોપિત મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને તેમાંથી પ્રગટેલ ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મીભૂત થયા. પણ સાથે જ, શિવજીને પાર્વતીજી પર અનુરક્તિ જાગી.

ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો. પાર્વતીજીએ પરમ વીર, તેજસ્વી પુત્ર કાર્તિકેયને જન્મ આપ્યો. યુવાવસ્થામાં મહા વીર કાર્તિકેય દેવોના સૈન્યના સેનાપતિ બન્યા. કાર્તિકેયની નિશ્રામાં દેવસેનાએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું.

સ્વયં કાર્તિકેય અને તારકાસુર વચ્ચે મહાસંગ્રામ થયો. ભારે શૌર્ય દાખવી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો.

અધર્મ, અનીતિનો પરાજય થયો. સંસારમાં પુનઃ ધર્મની સ્થાપના થઈ. અનામિકા! મહાકવિ કાલિદાસના કુમારસંભવની ગાથા તારી ડાયરીમાં ટપકાવી લેજે.

સસ્નેહ આશીર્વાદ.

.

3 comments August 25, 2008

અનામિકાને પત્ર: 42

.
પ્રિય અનામિકા,

અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમાચારોની રસપ્રદ લિંક્સ વાંચી.

સૌને પ્રશ્ન થઈ રહ્યો છે: યુએસએના 44મા પ્રેસિડેન્ટ કોણ બનશે?

અમેરિકાના પ્રમુખપદના લોકપ્રિય અશ્વેત ઉમેદવાર ઓબામા વિશે ઢગલાબંધ વાતો ચર્ચામાં છે. સ્થાનિક મીડિયાએ ઓબામાની હનુમાન ભક્તિ ગાઈ-વગાડીને ચગાવી છે. આમે ય, અમેરિકન પ્રમુખપદ અને અમેરિકાના પ્રમુખો અંગે ચોવટ થતી જ રહેતી હોય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટસ વિશે બેશુમાર જાણી-અજાણી વાતો મળતી રહે છે. તારા અમેરિકન મિત્રો સાથે થોડી અવનવી વાતો કરવી છે?

અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (1789-97) હતા તમે જાણો જ છો. વર્તમાન અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ યુએસએના 43મા પ્રમુખ છે; પરંતુ જો પ્રમુખોનાં વ્યક્તિગત નામોની યાદી જોઈએ તો જ્યોર્જ બુશનો ક્રમાંક 42મો છે. આનું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડ છે. અમેરિકાના પ્રમુખપદ પર ગ્રોવર ક્લીવલેન્ડ બે અક્રમિક મુદત – નન-કન્સીક્યુટિવ ટર્મ્સ – માટે ચૂંટાયા: પ્રથમ ટર્મ 1885-1889 માટે 22મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર ગ્રોવર ક્લીવલેન્ડ બીજી ટર્મ 1893-97 માટે 1893માં પ્રમુખપદે ફરી ચૂંટાયા, ત્યારે તેમને અમેરિકાના 24મા પ્રમુખ ગણવામાં આવ્યા.

અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ (1933-45) બાર વર્ષો સુધી વ્હાઈટ હાઉસ રહ્યા. પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટના સમય સુધી નવ-નિર્વાચિત અમેરિકન પ્રમુખનો સોગંદવિધિ 4 માર્ચના રોજ થતો; તેમના સત્તાકાળમાં અમેરિકન બંધારણમાં ફેરફાર થતાં સોગંદવિધિ 20 જાન્યુઆરીએ કરાવવાની પ્રથા શરૂ થઈ. આમ, પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટ 1933માં 4થી માર્ચના રોજ સત્તા સંભાળનાર છેલ્લા પ્રમુખ બન્યા: સાથે જ 1937માં 20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રથમ અમેરિકન પ્રમુખ પણ રૂઝવેલ્ટ બન્યા.

ચાર અમેરિકન પ્રમુખોની તેમના પ્રમુખપદના હોદ્દા દરમ્યાન હત્યા થઈ છે: અબ્રાહમ લિંકન (1861-65), જેમ્સ ગારફિલ્ડ (1881), વિલિયમ મેકકિન્લી (1897-1901) તથા જહોન એફ. કેનેડી (1961-63).

અમેરિકાના 9મા પ્રેસિડેન્ટ વિલિયમ હેંન્રી હેરિસન (1841)ની કરૂણતા એ કે પ્રમુખપદે ચૂંટાયાના (4 માર્ચ,1841) એક જ મહિનામાં ન્યૂમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું (4 એપ્રિલ, 1841).

અને છેલ્લે એક હળવી વાત કરી લઉં? અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ ટાફ્ટ (1908-1913) હતા. પ્રેસિડેન્ટ ટાફ્ટ તેમના પુરોગામી પ્રમુખોની માફક તાજા દૂધ માટે વ્હાઈટ હાઉસમાં ગાય રાખતા હતા. વિલિયમ ટાફ્ટ વ્હાઈટ હાઉસમાં ગાય પાળનાર છેલ્લા પ્રમુખ હતા!!! છે ને ચટપટી વાતો? સસ્નેહ આશીર્વાદ.
.

1 comment July 31, 2008

અનામિકાને પત્ર: 41

.

પ્રિય અનામિકા,

સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.

મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.

અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન  માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.

અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.

મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.

માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC– 900 AD) માં પૂરબહારમાં વિકસી. ધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.

અનામિકા! નવાઈની વાત એ કે તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.

જે ગણી ગાંઠી પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.

સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.

લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.

માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012 સુધીનું છે.

શું 2012માં દુનિયા નાશ પામશે?

માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.

અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.

જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર પરથી  પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.

આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.

* * * * *

7 comments June 3, 2008

Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 49
Pinki on અનામિકાને પત્ર: 47
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 47
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 47
sanjayoscar on અનામિકાને પત્ર: 47
Neela on અનામિકાને પત્ર: 47
Chirag Patel on અનામિકાને પત્ર: 47
આલ્બર્ટ આઇન્સ્ટાઇન ત… on અનામિકાને પત્ર: 46

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats