.
પ્રિય અનામિકા,
શ્રી અરવિંદ દર્શન પરનાં વ્યાખ્યાનોનો તેં લાભ લીધો તે એક સત્કર્મ જ ગણાય.
મહાયોગી શ્રી અરવિંદ વિશે તને થયા તેવા પ્રશ્નો ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી અરવિંદના પૂર્વાશ્રમ વિશે, ખાસ કરીને બાલ્યાવસ્થા વિશે થોડું જાણે છે.
શ્રી અરવિંદનો જન્મ ઈસ 1872ની પંદરમી ઑગસ્ટના દિને બંગાળના કલકત્તામાં થયો હતો.
તેમના પિતાનું નામ ડો. કૃષ્ણધન ઘોષ. ડો. કૃષ્ણધન ઘોષ કલકત્તાની મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવી 1859માં ડોક્ટર થયા. યુવાન અને મહત્વાકાંક્ષી ડો. કૃષ્ણધન ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત (ઇંગ્લેંડ) ગયા. ઇંગ્લેંડમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી, સર્જન બની ડો. કૃષ્ણધન ભારત પાછા ફર્યા. ઉત્તર-પૂર્વ હિંદુસ્તાનમાં તેમણે સર્જન તરીકે નામના મેળવી.
ડો. કૃષ્ણધનનાં લગ્ન બંગાળના સામાજીક આગેવાન રાજનારાયણ બોઝનાં પુત્રી સ્વર્ણલતાદેવી સાથે થયાં. સ્વર્ણલતાદેવી વિદ્વત્તાનો અવતાર હતાં.
અનામિકા! મોટી નવાઈની વાત એ કે શ્રી અરવિંદના પિતા ડો. કૃષ્ણધન પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇંગ્લિશ સમાજથી ભારે પ્રભાવિત હતા. સંતાનોનો ઉછેર અંગ્રેજી ઢબ-છબથી થાય તે માટે તેમણે પોતાના ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો.
1879માં શ્રી અરવિંદની ઉંમર સાતેક વર્ષની હતી ત્યારે ડો. કૃષ્ણધન અને સ્વર્ણલતાદેવી પોતાનાં ચાર સંતાનો -ત્રણ પુત્રો અને પુત્રી સરોજિની –ને લઈ ઇંગ્લેંડ પહોંચ્યાં. અનામિકા! એક મહત્વની ઘટના એ ઘટી કે ઇંગ્લેંડમાં જ સ્વર્ણલતાદેવીએ પોતાના ચોથા પુત્રને જન્મ આપ્યો (આ ચોથા પુત્ર તે શ્રી અરવિંદના સૌથી નાના ભાઈ અને બંગાળના ક્રાંતિવીર બારીન્દ્ર ઘોષ).
ઘોષ દંપતિએ ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેંડના માંચેસ્ટરમાં એક પાદરીને ત્યાં ઉછેર માટે મૂક્યા. બધી વ્યવસ્થા કરી, ડો. કૃષ્ણધન પત્ની સાથે સરોજિની અને બાળ બારીન્દ્રને લઈ ભારત પાછા ફર્યા.
ઇંગ્લેંડમાં રહી ભાઈઓ સાથે શ્રી અરવિંદ અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતા ગયા. શ્રી અરવિંદ અંગ્રેજી ઉપરાંત પ્રાચીન-અર્વાચીન ભાષાઓ ગ્રીક , લેટિન, ફ્રેંચ, ઇટાલિયન અને જર્મનમાં પારંગત બન્યા.
ચૌદ વર્ષ ઇંગ્લેંડમાં ગાળી શ્રી અરવિંદ એકવીસ વર્ષની ઉંમરે 1893ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા.
અનામિકા! આ શ્રી અરવિંદના બાળપણની એક ઝલક. તેમની પૂરી જીવનઝાંખી રોમાંચક છે.
પણ ફરી ક્યારેક બીજી વાતો. સસ્નેહ આશીર્વાદ.
.
If you please thro light on mental development of Sri Aurobindo. First time we get this details on Gujarati net. Please tell us more
LikeLike
મારાં પપ્પા પણ શ્રી અરવિંદ તથા શ્રી મતાજી ને ખૂબ જ માન આપે છે..!
LikeLike